ચૂંટણી કાર્યક્રમ મુજબ, ૨૯મી ઓગસ્ટે ઉમેદવારી પત્રો ભરવાના રહેશે અને ૩૦મી ઓગસ્ટે ફોર્મની ચકાસણી હાથ ધરાશે
Chota Udepur,તા.૨૭
છોટા ઉદેપુર જિલ્લાની નસવાડી એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC )ની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર થતાં જ વેપારી આલમમાં ભારે અસંતોષ અને નારાજગીનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને ઉમેદવારી ફોર્મ ભરવા માટે માત્ર એક જ દિવસનો સમય મળવા સામે અને વેપારી વિભાગમાં મતદારોની સંખ્યામાં થયેલા જંગી ઘટાડા સામે સવાલો ઉઠ્યા છે.
નસવાડી APMC ની કુલ ૧૬ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જે પૈકી ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૫૩૩ મતદારો અને સહકારી ખરીદ-વેચાણ મંડળી વિભાગની ૨ બેઠકો માટે ૬૩ મતદારો નોંધાયા છે. જોકે, સૌથી વધુ વિવાદ વેપારી વિભાગની બેઠકોને લઈને ઊભો થયો છે. વેપારી વિભાગની ૪ બેઠકો સામે આખરી મતદારયાદીમાં માત્ર ૨ જ મતદારોના નામ સામે આવ્યા છે. પરિણામે, જો આ બંને મતદારો ઉમેદવારી નોંધાવે તો તેઓ બિનહરીફ ચૂંટાઈ આવે અને બાકીની ૨ બેઠકો ખાલી રહે તેવી વિચિત્ર સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે.સ્થાનિક વેપારીઓના જણાવ્યાનુસાર, અગાઉની છઁસ્ઝ્ર ચૂંટણીમાં વેપારી વિભાગમાં આશરે ૩૭૮ મતદારો હતા. સરકારના નીતિ-નિયમો અને લાયસન્સ સંબંધિત નવી શરતોના કારણે આ વખતે મોટાભાગના વેપારીઓ મતાધિકારથી વંચિત રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે, જેનાથી બજાર સમિતિના સંચાલનમાં વેપારીઓનું યોગ્ય પ્રતિનિધિત્વ ન જળવાવાનો ભય વ્યક્ત થઈ રહ્યો છે.
ચૂંટણી કાર્યક્રમ મુજબ, ૨૯મી ઓગસ્ટે ઉમેદવારી પત્રો ભરવાના રહેશે અને ૩૦મી ઓગસ્ટે ફોર્મની ચકાસણી હાથ ધરાશે, જ્યારે ૯મી સપ્ટેમ્બરે મતદાન યોજાશે. રક્ષાબંધનના તહેવારના તુરંત બાદ ઉમેદવારી પત્ર ભરવા માટે માત્ર એક જ દિવસનો ગાળો મળતાં ઉમેદવારો માટે વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થઈ છે.

