Mumbai,તા.21
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે સીરિઝ રમવાની હતી, પરંતુ તે રદ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ડિસેમ્બરમાં જ નવી સીરિઝ બનાવવાની યોજના બનાવી છે. ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીત્યા પછી બાંગ્લાદેશ સામે તેની પહેલી સીરિઝ રમવાની હતી, પરંતુ ત્યાંની વર્તમાન પરિસ્થિતિને જોતાં બોર્ડે તેને રદ કરવાનો નિર્ણય કર્યો છે.
RevSportzના રિપોર્ટ પ્રમાણે ભારત અને શ્રીલંકા વચ્ચે 21 થી 30 ડિસેમ્બર દરમિયાન પાંચ મેચની T20 સીરિઝ રમાશે. બધી મેચ બે સ્થળો (વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમ) પર રમાશે. પ્રથમ બે મેચ ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં અને બાકીની ત્રણ મેચ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને બાંગ્લાદેશ ICC ફ્યુચર ટૂર પ્રોગ્રામના ભાગ રૂપે ત્રણ ODI અને એક T20I સીરિઝ રમવાના હતા. આ સીરિઝ કોલકાતા અને કટકમાં રમવાની હતી. PTI એ BCCI ના એક સૂત્રને ટાંકીને અહેવાલ આપીને કહ્યું હતું કે, બોર્ડને બાંગ્લાદેશ સામે શ્રેણી રમવાની મંજૂરી મળી નથી.
BCCI એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને સીરિઝ રદ કરવા માટે પત્ર લખ્યો હતો. PTI એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના એક અધિકારીને ટાંકીને કહ્યું, ‘અમને BCCI તરફથી સીરિઝ રદ કરવાની જાણ કરતો પત્ર મળ્યો. અમે હવે નવી તારીખોની રાહ જોઈ રહ્યા છીએ.’

