Surat,તા.૧૦
શહેરના સચિન વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં રહેતી ૨૧ વર્ષીય પ્રિયંકા કુમારીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
મળતી માહિતી મુજબ, પ્રિયંકાકુમારી મૂળ બિહાર રાજ્યની વતની હતી અને છેલ્લા કેટલાક સમયથી પરિવાર સાથે સુરતના સચિન વિસ્તારમાં રહેતી હતી. પરિવાર રોજગારી અર્થે સુરતમાં સ્થાયી થયો હતો. પ્રિયંકા અને તેની બહેનો પેપર લાઇનમાં કામ કરીને પરિવારને આર્થિક રીતે સહારો આપતી હતી.
પરિવારજનોના જણાવ્યા મુજબ, ઘટનાના દિવસે પ્રિયંકાએ પોતાની તબિયત સારી ન હોવાનું જણાવી કામ પર જવાનું ટાળ્યું હતું, જ્યારે તેની બહેનો રોજની જેમ કામ પર નીકળી ગઈ હતી. સાંજના સમયે બહેનો ઘરે પરત ફરતાં ઘરના મુખ્ય દરવાજાને અંદરથી બંધ હાલતમાં જોયો હતો. અનેક વખત અવાજ આપવા છતાં કોઈ પ્રતિસાદ ન મળતા આસપાસના સ્થાનિક લોકોને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્રિત કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન પરિવારજનોએ જણાવ્યું હતું કે, પ્રિયંકાના પિતા લાંબા સમયથી બીમાર રહેતા હોવાથી તે સતત માનસિક ચિંતામાં રહેતી હતી. જોકે આપઘાત પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પોલીસ વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ અન્ય તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.
રોજિંદી મહેનત કરીને પરિવારને સંભાળતી યુવતીના અચાનક અવસાનથી સગા-સંબંધીઓ અને સ્થાનિકોમાં પણ શોકની લાગણી ફેલાઈ છે. હાલ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.

