Surendranagar, તા.5
લખતર-વિરમગામ હાઇવે પર ગેથળા હનુમાનજી મંદિર પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષાચાલક વિશાલ કનુભાઇ હાજીપરાને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આદલસર ગામના વતની વિશાલ કનુભાઇ હાજીપરા પોતાની રિક્ષા લઈને કડુ ગામથી લખતર તરફ આવી રહ્યા હતા. ગેથળા હનુમાનજી મંદિર પાસેથી તેઓ આદલસર ગામ તરફ વળતા હતા તે સમયે લખતર તરફથી પૂરઝડપે આવી રહેલી એક કાર તેમની રિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માતના કારણે રિક્ષાચાલક વિશાલ હાજીપરાને હાથ અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક ખાનગી વાહન મારફતે લખતરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં કાર અને રિક્ષા બંનેને ભારે નુકસાન થયું હતું. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે, લખતર-વિરમગામ હાઇવે પર છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના બનાવો વારંવાર સામે આવી રહ્યા છે.

