સ એવાયં મયા તેऽદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ
ભક્તોऽસિ મે સખા ચેતિ રહસ્યં હ્યેતદુત્તમમ્
(મે-તૂં મારો, ભક્તઃ-ભક્ત, ચ-અને, સખા-પ્રિય સખા, અસિ-છે, ઇતિ-માટે, સઃ એવ-તે જ, અયમ્-આ, પુરાતનઃ-પુરાતન, યોગઃ-યોગ, અદ્ય-આજે, મયા-મેં, તે-તને, પ્રોક્તઃ-કહ્યો છે, હિ-કેમકે, એતત્-આ, ઉત્તમમ્-ઘણું ઉત્તમ, રહસ્યમ્-રહસ્ય છે.)
તૂં મારો ભક્ત અને પ્રિય સખા છે માટે તે જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે કેમકે આ ઘણું ઉત્તમ રહસ્ય છે.
આ શ્ર્લોકમાં ‘મયા પ્રોક્તઃ’ એમ ભૂતકાળનો પ્રયોગ કર્યો છે.ખરેખર તો યોગ હજી હવે કહેવાનો છે અથવા કહી રહ્યો છું તેવો પ્રયોગ થવો જોઇએ પણ યોગ જુનો છે એટલે તેનું કર્મણિ ક્રિયાપદ પણ જુનું બતાવાયું છે.આ યોગ બીજા કોઇને નહી અને મને જ શા માટે કહો છો? એવો પ્રશ્ન થાય એટલે કારણ બતાવ્યું છે.તું ભક્ત અને મિત્ર છે એટલે.ભક્ત એટલે ભક્તિ કરે તે.ભક્ત અને આજ્ઞાપાલન ભક્તિ,આજ્ઞાનું પાલન કરે તેને ભક્તિ કહેવાય.જે કપરાકાળમાં સાથ આપે તેને મિત્ર કહેવાય.અર્જુનમાં આ બે લક્ષણો છે.
‘ભક્તોऽસિ મે સખા ચેતિ’ અર્જુન ભગવાનને પોતાના પ્રિય સખા પહેલાંથી જ માનતા હતા પરંતુ ભક્ત હાલમાં જ થયા છે.આદેશ અને ઉપદેશ સખાને નહી પરંતુ દાસ કે શિષ્યને જ દેવામાં આવે છે.અર્જુન હવે ભગવાનને શરણે ગયા ત્યારે જ ભગવાનના ઉપદેશનો આરંભ થયો.જે વાત સખાને પણ કહેવાતી નથી,એ વાત પણ શરણાગત્ શિષ્યની સાથે પ્રગટ કરી દેવાય છે.અર્જુન ભગવાનને કહે છે કે ‘હું આપનો શિષ્ય છું, એટલા માટે આપને શરણે આવેલા મને બોધ આપો.’ એટલા માટે ભગવાન અર્જુનની સામે પોતાની જાતને પ્રગટ કરી દે છે,રહસ્ય ખોલી દે છે.અર્જુનનો ભગવાન પ્રત્યે ઘણો જ વિશેષ ભાવ હતો,ત્યારે તો તેમણે વૈભવ અને અસ્ત્ર-શસ્ત્રોથી સુસજ્જિત ‘નારાયણી સેના’નો ત્યાગ કરીને નિઃશસ્ત્ર ભગવાનનો પોતાના ‘સારથી’ના રૂપમાં સ્વીકાર કર્યો હતો.
સાધારણ લોકો ભગવાનની આપેલી વસ્તુઓ કે જે પોતાની છે જ નહી તેને પોતાની માને છે પરંતુ જે વાસ્તવમાં પોતાના છે તે ભગવાનને પોતાના માનતા નથી.તે લોકો વૈભવશાળી ભગવાનને ન જોતાં તેમના વૈભવને જ જુવે છે.વૈભવને જ સાચો માનવાથી તેમની બુદ્ધિ એટલી ભ્રષ્ટ થઇ જાય છે કે તેઓ ભગવાનનો અભાવ જ માની લે છે એટલે કે ભગવાન તરફ એમની દ્રષ્ટિ જતી જ નથી.કેટલાક લોકો વૈભવની પ્રાપ્તિના માટે જ ભગવાનનું ભજન કરે છે.ભગવાનને ચાહવાથી તો વૈભવ પણ પાછળ આવે છે પરંતુ વૈભવને ચાહવાથી ભગવાન આવી શકતા નથી.વૈભવ તો ભક્તના ચરણોમાં આળોટે છે,પરંતુ સાચા ભક્તો વૈભવની પ્રાપ્તિ માટે ભગવાનનું ભજન કરતા નથી.તેઓ વૈભવને ચાહતા નથી પરંતુ ભગવાનને ચાહે છે.વૈભવને ચાહવાવાળા મનુષ્યો વૈભવના ભક્ત(દાસ) હોય છે અને ભગવાનને ચાહવાવાળા મનુષ્યો ભગવાનના ભક્ત હોય છે.અર્જુને વૈભવ એટલે કે નારાયણી સેનાનો ત્યાગ કરીને ફક્ત ભગવાનને અપનાવ્યા તો રણભૂમિમાં ભિષ્મ,દ્રોણ,યુધિષ્ઠિર વગેરે મહાપુરૂષો હોવા છતાં પણ ગીતાનો મહાન દિવ્ય ઉપદેશ ફક્ત અર્જુનને જ પ્રાપ્ત થયો અને પછી રાજ્ય પણ અર્જુનને મળી ગયું.
‘સ એવાયં મયા તેऽદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ’ આ પદોનું તાત્પર્ય એ નથી કે મેં કર્મયોગને પૂર્ણ રીતે કહી દીધો છે પરંતુ તાત્પર્ય એ છે કે જે કંઇ કહ્યું છે તે પૂર્ણ છે.આગળ ભગવાનના જન્મના વિષયમાં અર્જુન દ્વારા કરવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપીને ભગવાન ફરીથી તે જ કર્મયોગના વર્ણનનો આરંભ કર્યો છે. ભગવાન કહે છે કે સૃષ્ટિના આદિમાં મેં સૂર્યને જે કર્મયોગ કહ્યો હતો તે જ આજે મેં તને કહ્યો છે.ઘણો સમય વીતી જવાથી તે યોગ અપ્રગટ થઇ ગયો હતો અને હું પણ અપ્રગટ જ હતો.હવે હું પણ અવતાર લઇને પ્રગટ થયો છું અને યોગને પણ ફરીથી પ્રગટ કર્યો છે.આથી અનાદિકાળથી જે કર્મયોગ મનુષ્યોને કર્મબંધનથી મુક્ત કરતો આવી રહ્યો છે તે આજે તને પણ કર્મબંધનથી મુક્ત કરી દેશે.
‘રહસ્યં હ્યેતદુત્તમમ્’ જે રીતે ગીતાના ૧૮/૬૬માં ભગવાને અર્જુન સમક્ષ ‘સર્વ ગુહ્યતમ્’ વાત પ્રગટ કરી કે ‘તું મારા શરણમાં આવી જા,હું તને સઘળા પાપોથી મુક્ત કરી દઇશ’ તે જ રીતે અહી ‘ઉત્તમ રહસ્ય’ પ્રગટ કરે છે કે ‘મેં જ સૃષ્ટિના આદિમાં સૂર્યને ઉપદેશ આપ્યો હતો અને તે જ ઉપદેશ હું આજે તને આપી રહ્યો છું.ભગવાન અર્જુનને જાણે એમ કહે છે કે તારો સારથી બનીને તારી આજ્ઞાનું પાલન કરવાવાળો થઇને પણ હું આજે તને તે જ ઉપદેશ દઇ રહ્યો છું,જે ઉપદેશ મેં સૃષ્ટિના આદિમાં સૂર્યને દીધો હતો.હું સાક્ષાત તે જ છું અને અત્યારે અવતાર લઇને ગુપ્ત રીતે પ્રગટ થયો છું-આ ઘણી જ રહસ્યની વાત છે.આ રહસ્યને આજે તારી સમક્ષ પ્રગટ કરી રહ્યો છું કેમકે તૂં મારો ભક્ત અને પ્રિય સખા છે.
સાધારણ મનુષ્ય તો વાત જ શી,સાધકની દ્રષ્ટિ પણ ઉપદેશ પ્રત્યે વધારે અને ઉપદેશક પ્રત્યે ઓછી જાય છે.આ પ્રસંગને વાંચવા-સાંભળવાથી ઉપદિષ્ટ ‘યોગ’ પર તો દ્રષ્ટિ જાય છે પરંતુ ઉપદેષ્ટા ભગવાન શ્રીકૃષ્ણ જ આદિ નારાયણ છે-એ ઉપર બહુધા દ્રષ્ટિ જતી નથી.જે વાત સાધારણ રીતે પકડમાં આવતી નથી,તે રહસ્યની હોય છે.ભગવાન અહી ‘રહસ્યમ્’ પદ વડે પોતાનો પરીચય આપે છે તેનો અર્થ એ છે કે સાધકની દ્રષ્ટિ સર્વથા ભગવાન તરફ જ રહેવી જોઇએ.
પોતાની જાતને ‘આદિ ઉપદેષ્ટા’ કહીને ભગવાન જાણે પોતાને જીવમાત્રના ‘ગુરૂ’ હોવાનું પ્રગટ કરે છે. નાટક ભજવતી વખતે જનતાની સામે અભિનેતા પોતાના અસલી સ્વરૂપને પ્રગટ કરતો નથી પરંતુ કોઇ અંગત માણસ સમક્ષ તે પોતાને પ્રગટ પણ કરી દે છે,એજી જ રીતે મનુષ્ય-અવતારના સમયે પણ ભગવાન અર્જુનની સમક્ષ પોતાનો ઇશ્વરભાવ પ્રગટ કરી દે છે,આ જ ઉત્તમ રહસ્ય છે.
કર્મયોગને પણ ઉત્તમ રહસ્ય માની શકાય છે.જે કર્મો વડે જીવ બંધાય છે (કર્મણા બધ્યતે જંતુઃ) તે જ કર્મો વડે તેની મુક્તિ થઇ જાય છે-એ ઉત્તમ રહસ્ય છે.પદાર્થોને પોતાના માનીને પોતાના માટે કર્મ કરવાથી બંધન થાય છે અને પદાર્થોને પોતાના નહી માનીને એટલે કે બીજાઓના માનીને ફક્ત બીજાઓના હિતના માટે નિઃસ્વાર્થભાવપૂર્વક સેવા કરવાથી મુક્તિ થાય છે.અનુકૂળતા-પ્રતિકૂળતા,શ્રીમંતાઇ-નિર્ધનતા વગેરે ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય,પ્રત્યેક પરિસ્થિતિમાં આ કર્મયોગનું પાલન સ્વતંત્રતાપૂર્વક થઇ શકે છે.
કર્મયોગમાં રહસ્યની ત્રણ વાતો મુખ્ય છે.
મારૂં કશું નથી કારણ કે મારૂં સ્વરૂપ સત-અવિનાશી છે અને જે કંઇ મળ્યું છે તે બધું અસત્-નાશવાન છે પછી અસત્ મારૂં કેવી રીતે હોઇ શકે? અનિત્યનો નિત્યની સાથે સબંધ કેવી રીતે હોઇ શકે? મારે માટે કંઇ નહી જોઇએ કારણ કે સત્-સ્વરૂપમાં અપૂર્તિ કે ઉણપ હોતી નથી પછી કંઇ વસ્તુની કામના કરવામાં આવે? અનુત્પન્ન અવિનાશી તત્વને માટે ઉત્પન્ન થવાવાળી નાશવાન વસ્તુ કેવી રીતે કામમાં આવી શકે?
પોતાના માટે કંઇ નથી કરવાનું.એમાં પહેલું કારણ એ છે કે પોતે ચેતન પરમાત્માનો અંશ છે અને કર્મ જડ છે.પોતે નિત્ય-નિરંતર રહે છે પરંતુ કર્મનો અને તેના ફળનો આદિ અને અંત હોય છે,એટલા માટે પોતાને માટે કર્મ કરવાથી આદિ-અંતવાળાં કર્મ અને ફળ સાથે પોતાનો સબંધ જોડાય છે.કર્મ અને ફળનો તો અંત થઇ જાય છે પરંતુ તેનો સંગ અંદર રહી જાય છે જે જન્મ-મરણનું કારણ બને છે.
ત્રીજું કારણ એ છે કે સ્વરૂપ સત્ અને પૂર્ણ છે તેથી તેમાં ક્યારેય ઉણપ આવતી નથી.ઉણપ ન આવવાના કારણે તેમાં કશું પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી.કર્મયોગમાં ‘કર્મ’ તો સંસારના માટે થાય છે અને ‘યોગ’ પોતાને માટે થાય છે પરંતુ પોતાના માટે કર્મ કરવાથી ‘યોગ’નો અનુભવ થતો નથી.કર્મયોગ સિદ્ધ થતાં કરવાનો રાગ,મેળવવાની લાલસા,જીવવાની ઇચ્છા અને મૃત્યુનો ભય-દૂર થઇ જાય છે.કર્મયોગનું બરાબર પાલન કરવામાં આવે તો જો કર્મયોગીમાં જ્ઞાનના સંસ્કાર હોય તો તેને જ્ઞાનની પ્રાપ્તિ અને જો ભક્તિના સંસ્કાર હોય તો તેને ભક્તિની પ્રાપ્તિ આપમેળે થઇ જાય છે.
વિવેકની પૂર્ણ જાગૃતિ ન હોવા છતાં પણ કર્મયોગીમાં એક નિશ્ચયાત્મિકા બુદ્ધિ રહે છે કે જે પોતાનું નથી તેની સાથે સબંધ વિચ્છેદ કરવાનો છે અને સાંસારીક સુખોને નહી ભોગવીને કેવળ સેવા કરવાની છે. આ નિશ્ચયાત્મિકા બુદ્ધિના કારણે તેના અંતઃકરણમાં સાંસારીક સુખોનું મહત્વ રહેતું નથી,પછી ‘ભોગોમાં સુખ છે’ એવા ભ્રમમાં તેને કોઇ નાખી શકતું નથી.આ એક નિશ્ચયને અટલ રાખવાથી જ તેનું કલ્યાણ થઇ જાય છે.સેવા,સુમિરણ,સત્સંગ,સ્વાધ્યાય વડે એવી નિશ્ચયાત્મિકા બુદ્ધિને બળ મળે છે.
વિનોદભાઇ માછી નિરંકારી

