રશિયન ઊર્જા નીતિ અંગે અમેરિકાના વિરોધાભાષનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ પ્રથમ ભારત પર ટેરિફ લાદવામાં આવી હતી
Kultaranta, તા.૧૩
રશિયન ક્રૂડ ઓઇલના મુદ્દે પશ્ચિમી દેશોના બેવડા ધોરણોની આકરી ટીકા કરતાં વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે અમેરિકાએ વૈશ્વિક ઊર્જા બજારને સ્થિર રાખવા માટે ભારતને રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા પ્રોત્સાહિત કર્યું હતું. અમેરિકાની પ્રતિબંધ નીતિ સમય સાથે બદલાય છે. ફિનલેન્ડના કુલતારાંતામાં એક કાર્યક્રમ દરમિયાન બોલતા જયશંકરે ૨૦૨૨માં યુક્રેન પર મોસ્કોના આક્રમણ બાદ રશિયન તેલની આયાત વધારવાના ભારતના નિર્ણયનો બચાવ કરતા કહ્યું હતું કે નવી દિલ્હી ભૂરાજકીય સ્થિતિની જગ્યાએ એનર્જી સિક્યોરિટી અને બજારની વાસ્તવિકતાને આધારે નિર્ણય કરે છે. ભારત રશિયા પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને રશિયન તેલ ખરીદવા જરૂરિયાત કરતાં વધુ તૈયારી દર્શાવે તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ભારતે બજારભાવ અને ઉપલબ્ધતાના આધારે ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે. યુક્રેન સંઘર્ષ પછી વૈશ્વિક તેલના ભાવમાં તીવ્ર ઉછાળો અટકાવવા વોશિંગ્ટને ભારતને રશિયન ક્રૂડ ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યું હતું. તે સમયે અમેરિકાએ ખાસ કરીને ભારતને તેલ બજારને સ્થિર કરવા માટે રશિયન તેલ ખરીદવા કહ્યું હતું. રશિયન ઊર્જા નીતિ અંગે અમેરિકાના વિરોધાભાષનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ પ્રથમ ભારત પર ટેરિફ લાદવામાં આવી હતી અને પછી અમેરિકાએ આ પ્રતિબંધો ઉઠાવી લીધા હતાં.ંયુરોપિયન દેશોની ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક સંઘર્ષો અંગે યુરોપનું વલણ ઘણી વખત નૈતિક અસ્પષ્ટતા દર્શાવે છે. કોઈ યુરોપીય દેશ પર ભારતીય હથિયારોથી હુમલો થયો નથી, પરંતુ ભારત સામે વપરાયેલા યુરોપીય હથિયારો વિશે હું એવું કહી શકતો નથી. વધુ સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું હતું કે યુરોપીય દેશોએ વર્ષોથી એવા દેશોને હથિયારો વેચ્યા છે, જે બાદમાં ભારત વિરુદ્ધ ઉપયોગ થયા હતાં. યુરોપ હથિયારો વેચે છે અને તે હથિયારો ભારત પર હુમલા કરવા માટે વપરાય છે. માત્ર આજે નહીં, પરંતુ ઘણા વર્ષોથી આવું થઈ રહ્યું છે.

