લંકાના રણમેદાનમાં યુદ્ધ થતાં પહેલાં છેલ્લી વખત રાવણને સમજાવવા ભગવાન શ્રીરામ વાલીપૂત્ર અંગદને રાવણની સભામાં મોકલે છે ત્યારે અંગદ રાવણને ઉપદેશ આપતાં કહે છે કે મનુષ્યમાં ચૌદ દુર્ગુણો એવા છે જેના હોવાથી તેને મૃતક માનવામાં આવે છે.આ ચૌદ દુર્ગુણો તારામાં છે તેથી તૂં તો મરેલો છે તને મરેલાને મારવામાં કંઇપણ પુરૂષત્વ નથી. ત્યારે રાવણ કહે છે કે હું તો જીવીત છું મરેલો કેવી રીતે? ત્યારે અંગદ કહે છે કે ફક્ત શ્વાસ લેતો હોય તેને જીવીત કહેવાતો નથી.શ્વાસ તો લુહારની ધમણ પણ લે છે.
અંગદે ચૌદ પ્રકારના મૃત્યુ રાવણને સમજાવ્યા હતા તે આજના સમયમાં પણ એટલા જ લાગૂ પડે છે.કોઇ વ્યક્તિમાં આ ચૌદ દુર્ગુણોમાંથી એકપણ જોવા મળે તો તેને મૃતક જ સમજવો જોઇએ.આપણે પણ વિચાર કરવાનો છે કે અમારા જીવનમાં આ દુર્ગણો તો નથી તેનું આત્મનિરીક્ષણ કરવાનું છે.
કૌલ કામબસ કૃપિન બિમૂઢા,
અતિ દરિદ્દ અજસી અતિ બૂઢા,
સદા રોગબસ સતત ક્રોધી,
વિષ્ણુ બિમુખ શ્રુતિ સંત બિરોધી,
તનુ પોષક નિંદક અધ ખાની,
જીવત શબ સમ ચૌદહ પ્રાની.
વામમાર્ગી,કામી,કંજૂસ,અત્યંત મૂઢ,અતિ દરિદ્દ,અ૫કીર્તિવાળો,અત્યંત વૃદ્ધ,સદા રોગી,હંમેશાંનો ક્રોધી, ભગવાનથી વિમુખ,શ્રુતિઓ તથા સંતોનો વિરોધી,પોતાના શરીરનું જ પોષણ કરનારો,પારકી નિંદા કરનારો અને પાપી…આ ચૌદ પ્રાણી જીવતા હોવા છતાં ૫ણ શબ સમાન છે.
(૧) કામવશ-જે વ્યક્તિ અત્યંત ભોગી હોય,કામવાસનામાં લિપ્ત રહેતો હોય, જે સંસારના ભોગોમાં જ ફસાયેલો રહે છે,વાસનામાં લીન રહે છે,જેના મનની ઇચ્છાઓ ક્યારેય પુરી થતી નથી અને જે ફક્ત પોતાની ઇચ્છાઓના આધિન થઇને જીવે છે તે મૃતક સમાન છે.
(ર) વામમાર્ગી-જે વ્યક્તિ સમગ્ર દુનિયાથી વિપરીત ચાલે છે,જે સંસારની તમામ વાતોની પાછળ નકારાત્મકતા જ શોધે છે,નિયમો,પરંપરાઓ અને લોકવ્યવહારથી ઉલ્ટા ચાલે છે તેને વામમાર્ગી કહે છે તે મૃતક સમાન છે.
(૩) કંજૂસ-જે વ્યક્તિ આર્થિક રીતે સંપન્ન હોવા છતાં ધર્મકાર્યમાં,દાન આપતાં અચકાય છે તે મૃતક સમાન છે.
(૪) અતિ દરીદ્ર-ગરીબી સૌથી મોટો અભિશાપ છે. જે વ્યક્તિ પાસે ધન,આત્મ-વિશ્વાસ,સન્માન અને સાહસ ન હોય તે મૃતક સમાન છે આવા ગરીબ વ્યક્તિનું ક્યારેય અપમાન ન કરવું પરંતુ તેને મદદ કરવી જોઇએ.
(૫) વિમૂઢ-અત્યંત મૂઢ એટલે કે મૂર્ખ વ્યક્તિ મરેલો જ સમજવો. જેની પાસે વિવેક બુદ્ધિ નથી અને દરેક કામમાં બીજાનો નિર્ણય લે છે તેને મૃતક સમજવો.મૂઢ વ્યક્તિ અધ્યાત્મને સમજી શકતો નથી.
(૬) અજસિ-એટલે જેને સંસારમાં બદનામી મળી છે, જે ઘર પરીવાર, કુટુંબ, સમાજ, નગર કે રાષ્ટના કોઇપણ કાર્યમાં સન્માન પ્રાપ્ત કરતો નથી તે મૃતક સમાન છે.
(૭) સદા રોગવશ-જે વ્યક્તિ નિરંતર બિમાર રહે છે તે મરેલો છે.શરીર રોગગ્રસ્ત હોય તો મન વિચલિત રહે છે, નકારાત્મકતા આવે છે તેથી તે જીવનના આનંદથી વંચિત રહે છે.
(૮) અતિ વૃદ્ધ-અત્યંત વૃદ્ધ વ્યક્તિ બીજા ઉપર આધારીત રહે છે તેનું શરીર અને બુદ્ધિ અસક્ષમ બની જાય છે એટલે ઘણીવાર તો તેના પરીવારજનો તેમના મૃત્યુની કામના કરે છે કે જેનાથી તેમને કષ્ટોથી મુક્તિ મળે એટલે અતિવૃદ્ધને મૃતક સમાન માનવો.
(૯) સતત ક્રોધી-ચોવીસ કલાક ક્રોધમાં રહેનાર, નાની નાની વાતોમાં ક્રોધ કરનાર મૃતક સમાન છે. ક્રોધના કારણે મન-બુદ્ધિ ઉપર તેનું નિયંત્રણ રહેતું નથી.પૂર્વજન્મના સંસ્કારના કારણે જીવ ક્રોધી બને છે.
(૧૦) અધ ખાની-જે વ્યક્તિ પાપકર્મોથી ધન ભેગું કરીને પોતાનું તથા પરીવારનું ભરણપોષણ કરે છે તે મૃતક સમાન છે, તેની સાથે રહેનાર પણ તેના જેવા બની જાય છે. હંમેશાં મહેનત અને ઇમાનદારીથી કમાણી કરવી,પાપની કમાણી પાપકર્મોમાં જ જાય છે.
(૧૧) તનું પોષક-પોતાના શરીરનું જ પોષણ કરનાર, પોતાના સ્વાર્થ માટે જ જે જીવે છે, સંસારના અન્ય જીવો પ્રત્યે જેને સંવેદના નથી તે મૃતક સમાન છે.શરીરને પોતાનું માનીને તેમાં મશગૂલ રહેવું એ મૂર્ખતા છે કારણ કે શરીર વિનાશી અને નષ્ટ થનાર છે.
(૧૨) નિંદક-જેને બીજાઓમાં ફક્ત ખામીઓ જ દેખાય, જે અન્ય વ્યક્તિના સારા કામની પણ આલોચના કરે છે તે મૃતક સમાન છે.
(૧૩) પરમાત્માથી વિમુખ-જે પરમાત્માનો વિરોધી છે, પરમતત્વમાં જેની આસ્થા નથી, જે એમ વિચારે છે કે પરમાત્મા તત્વ જેવું કંઇ છે જ નહી, અમે કરીએ તેમ જ થાય છે, સંસાર અમે જ ચલાવીએ છીએ આવો વ્યક્તિ મૃતક સમાન છે.
(૧૪) શ્રુતિ સંત વિરોધી-જે ધર્મશાસ્ત્રો અને સંતનો વિરોધી છે તે મૃતક સમાન છે.શ્રુતિ અને સંતો બ્રેકનું કામ કરે છે.અમારા જીવનને આડે માર્ગે જતાં રોકવાનું કામ કરે છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)