New Delhi,તા.3
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાથી અર્થતંત્ર પર ફુગાવા જન્ય દબાણ વધવાની આશંકા છે, જેનાથી આવનારા મહિનાઓમાં પરિવહન અને ઉત્પાદન ખર્ચ વધી શકે છે અને સામાન્ય વપરાશની વસ્તુઓ મોંઘી થઈ શકે છે.
રેટિંગ એજન્સી ક્રિસિલે જાહેર કરેલા અહેવાલમાં આ અંદાજ વ્યક્ત કર્યો છે. સાથે જ આવનાર દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 15 મે પછીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આશરે 7.5 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઈ ચૂક્યો છે અને જો ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા સ્તરે જળવાઈ રહેશે, તો આ વધારો નજીકના ભવિષ્યમાં 10 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે.
એટલે કે હજુ પણ ઈંધણમાં 3 રૂપિયા આસપાસના ભાવ વધે તેવું અનુમાન છે. જો આવું થાય તો તેની અસર સમગ્ર અર્થતંત્રમાં પરિવહન ખર્ચમાં વધારા દ્વારા જોવા મળશે, જેનાથી ખાદ્યપદાર્થો અને અન્ય વસ્તુઓ બંનેની મોંઘવારી વધશે.
અહેવાલ મુજબ, ઈંધણની કિંમતોમાં વધારાની સીધી અસર મોંઘવારી પર પડશે. ઈંધણની કિંમતોમાં 7.5 રૂપિયા પ્રતિ લીટરના વધારાથી છૂટક મોંઘવારી આશરે 0.36 ટકા વધી શકે છે. જો ઈંધણની કિંમતો 10 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી જાય છે, તો છૂટક મોંઘવારીમાં આશરે 0.48 ટકાનો વધારો થઈ શકે છે.
ઈંધણના ભાવ વધવાની સૌથી વધુ અસર માર્ગ પરિવહન પર પડશે કારણ કે તેના ખર્ચનો લગભગ 42 ટકા હિસ્સો ઈંધણ પર નિર્ભર છે. જેનાથી માલસામાનની હેરફેર મોંઘી થઈ જશે અને તેની અસર રોજિંદી વસ્તુઓની કિંમતો પર પડશે. દેશમાં આશરે 71 ટકા માલસામાનની હેરફેર માર્ગ પરિવહન દ્વારા જ થાય છે.
ક્રિસિલના જણાવ્યા અનુસાર, પરિવહન ખર્ચ વધવાથી દૂધ, ફળ, કઠોળ, ચા-કોફી, મસાલા અને માછલી જેવા ખાદ્ય ઉત્પાદનોની કિંમતોમાં વધારો આવી શકે છે કારણ કે આ મોટા પાયે પરિવહન નેટવર્ક પર નિર્ભર છે. કાપડ, ક્નઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, લાકડાના ઉત્પાદનો, સિમેન્ટ અને સિરામિક્સ જેવા ક્ષેત્રોમાં પણ ખર્ચ વધશે.
રસાયણ, કોલસો અને ધાતુ ક્ષેત્ર પણ મોંઘવારીની ઝપેટમાં આવશે. આવી સ્થિતિમાં કંપનીઓ ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખી શકે છે અથવા ઉત્પાદનના જથ્થામાં કાપ મૂકી શકે છે. સપ્ટેમ્બર 2025માં GST દરોમાં કરવામાં આવેલા કાપથી થોડી રાહત મળી છે, પરંતુ ઊંચા ઊર્જા ખર્ચની અસરને તે સંપૂર્ણપણે સંતુલિત કરી શકશે નહીં.
રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત 112 ડોલર પ્રતિ બેરલ રહી છે, જે સમગ્ર વર્ષના અંદાજિત 95 ડોલર પ્રતિ બેરલ કરતા વધારે છે.
જો કે, એકંદર મોંઘવારી હાલમાં ભારતીય રિઝર્વ બેંકના ચાર ટકાના લક્ષ્યાંકથી નીચે છે, પરંતુ આગળ જતાં તેમાં વધારો થવાનો અંદાજ છે. તેમ છતાં તે રિઝર્વ બેંકના બે થી છ ટકાના દાયરામાં રહી શકે છે.
રિઝર્વ બેંક મોંઘવારીના વલણો, ખાસ કરીને સ્થાનિક અપેક્ષાઓ અને વ્યાપક ભાવ વધારાના જોખમ પર નજર રાખશે. આ સાથે જ રિઝર્વ બેંકની નજર નબળા ચોમાસા અને અલ નીનો જેવી હવામાન સંબંધી પરિસ્થિતિઓ પર પણ રહેશે, જેના કારણે ખાદ્ય મોંઘવારી વધવાની આશંકા છે.

