Ahmedabad, તા.10
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) દ્વારા ગ્રાહકોના હિતમાં વધુ એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા `શ્રી સિદ્ધેશ્વર પેસિફિક’ પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવનાર અમદાવાદના મહિલા ગ્રાહકને સમયસર કબજો ન આપવા બદલ ગુજરેરાએ બિલ્ડર પેઢી મેસર્સ એસ. પી. ઇન્ફ્રા અને તેના ભાગીદારો વિરૂદ્ધ કડક વલણ અપનાવ્યું છે. ઓથોરિટીના સભ્ય ડો. એમ. ડી. મોડિયાની કોરમે બિલ્ડરને નિર્ધારિત સમયમાં વ્યાજ સહિત ફ્લેટનો દસ્તાવેજ અને પ્રત્યક્ષ કબજો સોંપવાનો હુકમ કર્યો છે.
આ કેસની વિગતો અનુસાર, અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા ફરિયાદી શ્રીમતી વૈશાલી મિલિંદ શાહ દ્વારા એડવોકેટ આર. પી. દેસાઈ મારફતે વડોદરાની ભાગીદારી પેઢી મેસર્સ એસ. પી. ઇન્ફ્રા અને તેના ભાગીદારો મનિષભાઇ, પ્રવિણભાઇ, કિશોરભાઇ, સુરેશભાઇ અને રવિ પાનસુરીયા વિરૂદ્ધ ગુજરેરા સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ફરિયાદીએ બિલ્ડરના પ્રોજેક્ટમાં ફ્લેટ નંબર એ-101 કુલ રૂપિયા 38 લાખની કિંમતે બુક કરાવ્યો હતો અને જૂન 2024 સુધીમાં રૂપિયા 29 લાખ ચૂકવી પણ દીધા હતા. કરાર મુજબ બિલ્ડરે ડિસેમ્બર 2024 સુધીમાં ફ્લેટનો કબજો સોંપવાનો હતો, પરંતુ બિલ્ડર નિયત સમયમાં કબજો આપવામાં નિષ્ફળ રહ્યો હતો. ગુજરેરા દ્વારા આ અંગે સામાવાળા બિલ્ડરને નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં તેઓ હાજર ન રહેતા ઓથોરિટીએ કાયદા મુજબ એકતરફી કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરેરાએ આ મામલે કાયદાકીય જોગવાઈઓ અને બેંકના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ નોંધ્યું કે બિલ્ડરે કરાર પૂર્વે જ કુલ રકમના 10 ટકાથી વધુ રકમ સ્વીકારીને રેરા એક્ટની કલમ 13(1) નો સ્પષ્ટ ભંગ કર્યો છે.
આ ગંભીર બેદરકારી બદલ ગુજરેરા સચિવને બિલ્ડર સામે કાયદેસરની સુઓમોટો કાર્યવાહી કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. ફરિયાદી ગ્રાહક બાકી રહેતી રૂપિયા 9 લાખની રકમ ચૂકવવા તૈયાર હોવાથી ઓથોરિટીએ તેમના હિતમાં ચુકાદો સંભળાવ્યો છે.
ઓથોરિટીએ પોતાના આદેશમાં જણાવ્યું છે કે પ્રોજેક્ટનું વપરાશનું પ્રમાણપત્ર (યુઝ પરમિશન) મળ્યા બાદ બિલ્ડરે ગ્રાહકને બાકી રકમ અને સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા નોટિસ આપવી પડશે. ગ્રાહક દ્વારા આ રકમ ચૂકવ્યાના 30 દિવસમાં બિલ્ડરે ફ્લેટનો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી આપી શાંત અને પ્રત્યક્ષ કબજો સોંપવો પડશે.
આ સાથે જ બિલ્ડરે ગ્રાહક પાસેથી લીધેલી રૂપિયા 29 લાખની રકમ પર જાન્યુઆરી 2025 થી એપ્રિલ 2026 સુધીનું વાર્ષિક 11 ટકા લેખે થતું વ્યાજ 45 દિવસમાં ચૂકવવું પડશે, તેમજ મે 2026 થી ફ્લેટનો પ્રત્યક્ષ કબજો ન સોંપાય ત્યાં સુધી દર મહિને નિયમિત રીતે 11 ટકા લેખે વ્યાજ ચૂકવતા રહેવું પડશે. આ ઉપરાંત બિલ્ડરે ફરિયાદીને કાનૂની ખર્ચ પેટે રૂપિયા 5,000 અલગથી ચૂકવવાનો રહેશે.

