Mumbai,તા.24
આઈપીએલ 2026 માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સનું પ્રદર્શન કથળી રહ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 103 રનથી મળેલી હાર એ મુંબઈ ઇન્ડિયન્સના ઇતિહાસની સૌથી મોટી હાર છે. મેચ બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ સ્વીકાર્યું હતું કે પાવરપ્લેમાં શરૂઆતી વિકેટો ગુમાવવી ટીમ માટે ભારે પડી અને ત્યાંથી જ મેચ હાથમાંથી સરકી ગઈ હતી.
CSK તરફથી સંજુ સેમસને આક્રમક બેટિંગ કરતા માત્ર 54 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી પોતાની પાંચમી આઈપીએલ સદી ફટકારી હતી. જવાબમાં 208 રનનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. હાર્દિકે જણાવ્યું કે, “પાવરપ્લેમાં વિકેટો ગુમાવવી અમને મોંઘી પડી. અમે એ દબાણમાંથી ક્યારેય બહાર આવી શક્યા નહીં. અમારે વધુ સારી બેટિંગ કરવાની જરૂર હતી.”
વેસ્ટ ઈન્ડિઝના સ્પિનર અકીલ હુસૈને મુંબઈના બેટ્સમેનોને રમવાની કોઈ તક આપી નહોતી. તેણે સૂર્યકુમાર યાદવ (35) અને તિલક વર્મા (37) વચ્ચેની 73 રનની ભાગીદારી તોડીને મુંબઈની હાર નક્કી કરી દીધી હતી. અકીલે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી હતી.
આ હાર બાદ મુંબઈ ઇન્ડિયન્સ માટે હવે પ્લેઓફની સફર ઘણી કઠિન બની ગઈ છે. હાર્દિકે કહ્યું કે હવે અમારે બેસીને વિચારવું પડશે કે ક્યાં ફેરફાર કરવાની જરૂર છે. ટીમ પાસે હવે આગામી મેચ પહેલાં વિચારવા માટે થોડા દિવસો છે અને તેઓ સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરવા પર ધ્યાન આપશે.

