Ahmedabad,તા.૧૯
દેશના લોકલાડીલા એવા વડાપ્રધાન મોદીના ૭૬મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ CM Bhupendra Patel અમદાવાદમાં વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનના શુભારંભ કરાવી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે વિકાસની સાકર ચાખી લીધી છે, એટલે દેશના લોકોનો આજે પણ તેમના પર ભરોસો છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ વિકાસની સાથે પર્યાવરણને પણ એટલું જ મહત્ત્વ આપે છે. તેમણે ‘મિશન લાઇફ’ નો મંત્ર આપ્યો છે. વડાપ્રધાનએ ‘કેચ ધ રેઇન’ ‘એક પેડ માં કે નામ’ અને પ્રાકૃતિક ખેતી જેવાં અભિયાન શરૂ કરાવ્યાં, જે આજે જનઆંદોલન બની ગયાં છે. વડાપ્રધાનએ વિકાસની સાથે હંમેશાં પર્યાવરણ સંરક્ષણની ચિંતા કરી છે, વિશ્વ ગુજરાતી સમાજનું ‘હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાન એ જ દિશા તરફનો પ્રશંસનીય પ્રયાસ છે. લોકો પોતાના ઘરમાં શાકભાજી ઉગાડશે, એટલે તેમને પર્યાવરણ અને વિકાસની સમજ વધારે સ્પષ્ટ થશે, એવું તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનની દૂરંદેશી અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીને પરિણામે જ આજે ગિફ્ટ સિટી વૈશ્વિક ફાઇનાન્શિયલ હબ બની ચૂક્યું છે. નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ કરાવી, આજે ગુજરાત વૈશ્વિક મૂડીરોકાણમાં મોખરે છે. દુનિયાની ટોચની ૫૦૦ કંપનીઓમાંથી ૧૦૦ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. વર્ષ ૨૦૦૧માં એક લાખ પંચાસી હજાર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હતી, આજે ૨૭ લાખથી વધારે એમએસએમઇ ગુજરાતમાં છે અને લાખો લોકોને રોજગારી આપી રહી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ ભાવેશ ભાઈ લાખણીને મુખ્ય મંત્રી ના હસ્તે કિચન ગાર્ડનના ૭૬,૦૦૦ રોપા વિતરણના અનોખા અભિયાન માટે ગોલ્ડન બુક ઑફ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
વિશ્વમાં અને ભારતમાં વસતા ગુજરાતીઓ વતી વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ ભાવેશ એસ લખાણી એ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીએ પર્યાવરણ રક્ષણ માટે કાર્યરત ૩૫ જેટલા સ્ટાર્ટઅપનાં ઉત્પાદન અને સેવાઓનું પ્રદર્શન -વેચાણ માટે તૈયાર કરાયેલા સ્ટોલ્સની મુલાકાત લઈને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ ભાવેશ લાખાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સંસ્થાના મહામંત્રી સુધીર એસ. રાવલે અભિયાન અંગે વિગતવાર વાત કરી હતી. આ સમારંભમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. આ હોદ્દેદારો અને સંસ્થા સાથે જોડાયેલા તેમજ પર્યાવરણ સંરક્ષક સ્ટાર્ટઅપ ચલાવતા યુવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

