Mumbai,તા.02
ભારતીય ક્રિકેટ ટીમે રવિવારેકોલકાતામાં રમાયેલા T20 વર્લ્ડ કપના કરો યા મરોના સુપર 8 મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હરાવી દીધુ હતું. 196 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ સેમસનની 50 બોલમાં અણનમ 97 રનની વિસ્ફોટક ઈનિંગના દમ પર આ ટોટલ ચેઝ કરી લીધો અને સેમિફાઈનલની ટિકિટ હાંસલ કરી લીધી.
પરંતુ ભારતની આ ભવ્ય જીત બાદ ચર્ચા માત્ર સેમસનની જ નથી થઈ રહી. પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર પણ છવાઈ ગયો. તેણે અનેક સવાલોના સ્પષ્ટ જવાબ આપ્યા. જોકે, આ દરમિયાન તિલક-દુબેના બહાને ગંભીરનું દર્દ પણ છલકાયું. તેણે કહ્યું કે, ‘એ જોઈને સારું લાગ્યું કે, મેચમાં નાના યોગદાનની પણ પ્રશંસા થઈ રહી છે. કારણ કે, વર્ષોથી અમુક જ લોકોને શ્રેય આપવાનો ટ્રેન્ડ હતો.’
ટુર્નામેન્ટની શરૂઆતમાં સેમસનને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. બહારથી જોતાં એવું લાગતું હતું કે તેને ખરાબ ફોર્મને કારણે બહાર રાખવામાં આવ્યો છે. પરંતુ ગંભીરે સ્પષ્ટ કર્યું કે, ‘આ ખૂબ જ સમજી-વિચારીને લેવાયેલો નિર્ણય હતો. અમને ખબર હતી કે સંજુમાં કેટલી ક્ષમતા છે. તેના નામે ત્રણ T20 સદી છે. દરેક ખેલાડી મુશ્કેલ સમયમાંથી પસાર થાય છે. ક્યારેક-ક્યારેત તેને દબાણમાંથી બહાર કાઢવો પણ જરૂરી હોય છે. અમને વિશ્વાસ હતો કે જરૂર પડ્યે તે વર્લ્ડ કપમાં ચોક્કસ પ્રદર્શન કરશે.’
પ્રેસ કોન્ફરન્સમાં સૌથી ચોંકાવનારી વાત ત્યારે આવી જ્યારે ગંભીરે સ્પષ્ટ કર્યું કે, ‘મને આંકડા પર વધુ વિશ્વાસ નથી. હું આંકડા પર વિશ્વાસ નથી કરતો. T20 ક્રિકેટ સમજણ અને આત્મવિશ્વાસનો ખેલ છે. જે અનુભવ છે એ જ કેપ્ટન સાથે શેર કરું છું. અંતિમ નિર્ણય કેપ્ટનનો હોય છે.’ તેણે કહ્યું કે, મોટું યોગદાન ચર્ચામાં રહે છે. પરંતુ નાના યોગદાનને કોઈ યાદ નથી રાખતું. નાનું યોગદાન જે ટીમને જીત અપાવવામાં મદદ કરે છે, તે પણ ખૂબ મહત્ત્તવપૂર્ણ હોય છે. વાસ્તવમાં એ વાત કોઈનાથી છૂપાયેલી નથી રહી કે, 2007ની T20 વર્લ્ડ કપ ફાઈનલ અથવા 2011ની ફાઈનલમાં ગંભીરે ટીમ માટે મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. પરંતુ તેનું સૌથી વધુ ક્રેડિટ તત્કાલીન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યું. ભારત હવે સેમિફાઈનલમાં 5 માર્ચે મુંબઈમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.

