Mumbai,તા,05
તમિલનાડુમાં અત્યારે સુપરસ્ટાર થલાપતિ વિજય રાજકારણમાં સક્રિય થવાને કારણે તો ચર્ચામાં છે જ પરંતુ તેઓ તેમની લવલાઈફ માટે પણ ચર્ચામાં છે. 27 વર્ષના લગ્નજીવન બાદ વિજય અને તેમની પત્ની સંગીતા સોરનલિંગમ વચ્ચે છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી હોવાની વિગતો સામે આવી છે, જે તેના ફેન્સ માટે આઘાતજનક છે. આ હાઈ-પ્રોફાઈલ ડિવોર્સ કેસ અત્યારે કોર્ટમાં ચાલી રહ્યો છે, જેમાં અનેક ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે.
વર્ષ 2026માં વિજયના લગ્નજીવનમાં સર્જાયેલા વિવાદનું સત્ય લોકોની સામે આવ્યું છે. સંગીતાએ છૂટાછેડાની અરજી સાથે વિજય પર માનસિક ત્રાસના અને એક્સ્ટ્રા મેરિટલ અફેર(લગ્નેતર સંબંધો) હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે. 25 ઓગસ્ટ 1999ના રોજ લગ્ન કરનાર આ કપલને બે સંતાનો છે. બંનેના લવ મેરેજ હોવા છતાં આ 3 દાયકા જૂનો સંબંધ તૂટવાની કગાર પર છે.
સંગીતા અને વિજયની લવ સ્ટોરી કોઈ ફિલ્મી વાર્તા જેવી હતી. સંગીતા યુકેમાં સ્થિત એક મોટા તમિલ ઉદ્યોગપતિની પુત્રી હતી અને તે વિજયની ફેન હતી. 1996માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પૂવે ઉનક્કગા’ની સફળતા બાદ તે વિજયને લંડનથી ભારત અભિનંદન આપવા અને મળવા આવી હતી. પ્રથમ મુલાકાતમાં જ વિજય પ્રભાવિત થયા હતા અને 3 વર્ષના ડેટિંગ બાદ બંનેએ લગ્ન કર્યા હતા. જોકે, 27 વર્ષ બાદ હવે આ સંબંધમાં તૂટવાની અણી પર છે.
વિજયનું લગ્નજીવન તૂટવા પાછળ અભિનેત્રી તૃષા કૃષ્ણનનું નામ સતત ચર્ચાઈ રહ્યું છે. આક્ષેપ છે કે તૃષા સાથેના સંબંધોને કારણે જ વિજય અને સંગીતા વચ્ચે અંતર વધ્યું છે. વિજય અને તૃષાએ ‘ઘિલ્લી’, ‘લિયો’ અને ‘કુરુવી’ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંનેને અનેકવાર છૂપી રીતે મળતા પણ જોવામાં આવ્યા છે, જેના કારણે સોશિયલ મીડિયા પર તૃષાને ભારે ટ્રોલ કરવામાં આવે છે. જોકે, તૃષાએ હંમેશા આ ટ્રોલ્સનો મક્કમતાથી સામનો કર્યો છે.થલાપતિ વિજય અને તૃષા વચ્ચે ઉંમરનો 8 વર્ષનો તફાવત છે. જોકે અત્યાર સુધી આ બંને કલાકારોમાંથી કોઈએ પણ પોતાના સંબંધોની સત્તાવાર પુષ્ટિ કરી નથી. પરંતુ તમિલનાડુના રાજકીય ગલિયારાઓમાં એવી જોરદાર ચર્ચા છે કે વિજય તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો અને રાજકીય સ્થિરતા બાદ તૃષા સાથે લગ્ન કરી શકે છે. અત્યારે વિજય પોતાની નવી રાજકીય ઇનિંગ અને પર્સનલ લાઈફના આ વિવાદ વચ્ચે સતત લાઈમલાઈટમાં છે.

