Uttarakhand તા.22
વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામનાં કપાટ આજે સવારે વૈદિક મંત્રોચ્ચાર અને પૂરા વિધી વિધાન સાથે શ્રધ્ધાળુઓ માટે ખોલવામાં આવતા પુરૂ ધામ અને બર્ફીલા પહાડો `હર હર મહાદેવના’નાદથી ગુંજી ઉઠયા હતા.
કેદારનાથ-ગંગોત્રી ધામમાં બિન હિન્દુઓનાં પ્રવેશ પર પ્રતિબંધ છે. પણ જે હિન્દુ નથી પરંતુ સનાતન ધર્મમાં શ્રધ્ધા ધરાવે છે તેમણે એક સોગંદનામુ આપવુ પડશે અને ફરજીયાત પંચ ગત્ય ગ્રહણ કરવુ પડશે.
શિયાળાના લાંબા 6 મહિનાના વિરામ બાદ બાબા કેદારના દરબારમાં ફરી એકવાર ભક્તોનો મેળાવડો જામ્યો છે. મંદિરના મુખ્ય દ્વારાને ફૂલોથી સજાવવામાં આવ્યા છે અને સવારથી જ હજારો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે. ભોલેનાથના જયકારાથી આખું કેદારઘાટી ગુંજી ઉઠ્યું છે.
કેદાર્થનાથ મંદિરના કપાટ ખુલતા પૂર્વે મંદિરમાં વિશેષ પૂજા અને વિધિ-વિધાન કરવામાં આવ્યા હતા. સવારે 6ઃ20 કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે કપાટ ખોલવામાં આવ્યા ત્યારે વાતાવરણ અત્યંત ભાવુક અને આધ્યાત્મિક બની ગયું હતું. આ ખાસ અવસરે મંદિર પરિસરમાં સેનાના બેન્ડે પણ પોતાની પ્રસ્તુતિ આપી હતી.
શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવતી ભવ્ય આરતી અને હર હર મહાદેવના નાદથી બરફથી ઢંકાયેલા પહાડો પણ ગુંજી ઉઠ્યા હતા. કપાટ ખુલ્યા બાદ પ્રથમ પૂજા દેશના વડાપ્રધાનના (Prime Minister) નામે કરવામાં આવી છે.
આ વર્ષે ચારધામ યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં અંદાજે 19 લાખ ભક્તોએ આ પવિત્ર યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગત વર્ષે 51 લાખથી વધુ યાત્રીઓએ બાબાના દર્શન કર્યા હતા અને આ વર્ષે તે આંકડો વધવાની પૂરેપૂરી શક્યતા છે.
શ્રદ્ધાળુઓની સુવિધા માટે પ્રશાસને હેલિકોપ્ટર સેવા અને રહેવાની વ્યવસ્થા પણ કરી છે. યાત્રીઓની ભીડને જોતા દર્શનનો સમય પણ લંબાવવામાં આવ્યો છે જેથી દરેક ભક્ત શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે.
કેદાર્થનાથ ધામની પવિત્રતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. આ વખતે બદ્રીનાથ, કેદાર્થનાથ અને ગંગોત્રી ધામમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે વ્યક્તિઓ સનાતન ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે પરંતુ હિંદુ નથી, તેઓએ એક સોગંદનામું રજૂ કરવું પડશે. ગંગોત્રી મંદિર સમિતિએતો બિન-સનાતનીઓ માટે પંચગવ્ય ગ્રહણ કરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે.
આ વ્યવસ્થા ધાર્મિક આસ્થાની સુરક્ષા જાળવવા માટે કરવામાં આવી છે. કેદાર્થનાથ પહોંચવા માટે ભક્તો ગૌરીકુંડથી પગપાળા માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. રસ્તામાં ઠેર-ઠેર ભંડારા અને મેડિકલ કેમ્પની સુવિધા ઉભી કરવામાં આવી છે. ભક્તો માટે સવારે વહેલા 04ઃ00 કલાકે મંદિરના દ્વાર ખોલવામાં આવશે અને મોડી રાત્રિ સુધી દર્શનની સુવિધા ઉપલબ્ધ રહેશે.
મંદિર પરિસરમાં રીલ, વીડિયોગ્રાફી, મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ
રુદ્રપ્રયાગઃ આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા અને મંદિરની મર્યાદા જાળવવા માટે કેટલાક કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કેદારનાથ મંદિર પરિસરમાં હવે મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભક્તો મંદિરની અંદર કે પરિસરમાં ફોટોગ્રાફી, વીડિયો અથવા સોશિયલ મીડિયા રીલ્સ બનાવી શકશે નહીં.
જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, આવતીકાલે એટલે કે 23 એપ્રિલે બદ્રીનાથ ધામના કપાટ પણ ખોલવામાં આવશે, જ્યારે ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર 19 એપ્રિલથી જ ખુલી ચૂક્યા છે. આ સાથે જ ઉત્તરાખંડની ચારધામ યાત્રા હવે પૂર્ણ રીતે કાર્યરત થઈ ગઈ છે.

