New Delhi, તા. 17
સરકાર દેશનાં અસંગઠિત ક્ષેત્રનાં કામદારો જેમ કે ડિલિવરી બોય, ડ્રાઇવર વગેરે અને ખાનગી ક્ષેત્રનાં એવા કર્મચારીઓ માટે એક નવી પેન્શન યોજના લાવી રહી છે, જેઓ હાલમાં EPFOની પેન્શન યોજનાનો લાભ નથી મેળવી શકતાં.
આ યોજના ‘EPFO 3.0’ સુધારાઓનો એક ભાગ હશે. આમાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલું રોકાણ સુરક્ષિત સરકારી જામીનગીરીઓમાં (Government Securities) રોકવામાં આવશે, જેનાં પર દર વર્ષે વ્યાજ પણ ઉમેરાતું રહેશે.
આ યોજનાની ખાસિયત એ છે કે જ્યારે કર્મચારી 55 વર્ષનો થશે ત્યારે તે નક્કી કરી શકશે કે તેણે પોતાનાં નિવૃત્તિ ભંડોળનો ઉપયોગ કઈ રીતે કરવો છે. ત્યાં સુધી આ ખાતું પ્રોવિડન્ટ ફંડની જેમ જ ચાલશે. ત્યારબાદ, 60 વર્ષની ઉંમરે પહોંચતાં જ ખાતામાં જમા થયેલી કુલ રકમ તે સમયનાં વ્યાજના દર મુજબ દર મહિને પેન્શન અથવા તો નિયમિત ઉપાડમાં ફેરવાઈ જશે.
નેશનલ પેન્શન સિસ્ટમ કરતાં આ યોજના વધુ ફ્લેક્સિબલ અને જોખમ વિનાની હશે, કારણ કે આમાં વાસ્તવિક વ્યાજ મળતું રહેશે. કર્મચારીઓ પાસે પોતાની જરૂરિયાત મુજબ માસિક પેન્શન નક્કી કરવાની છૂટ રહેશે.
જો તેઓ ઈચ્છે તો વ્યાજ જેટલી રકમ પેન્શન તરીકે લઈ શકે છે જેથી તેમનું મુખ્ય ભંડોળ સુરક્ષિત રહે, અથવા તો શરૂઆતમાં વધારે પેન્શન મેળવવા માટે મુખ્ય ભંડોળમાંથી પણ ઉપાડ કરી શકે છે.
આ યોજના હેઠળ ડિજિટલ પ્લેટફોર્મ પર દરેક સભ્યનું એક વ્યક્તિગત પેન્શન એકાઉન્ટ હશે, જેમાં કર્મચારી પોતે, કંપની, અથવા ત્રીજી સક્ષમ સંસ્થા દા.ત. સીએસઆર ફંડ તરફથી ફાળો આપી શકાશે.
ભારતની 55 કરોડની કુલ વર્કફોર્સમાંથી લગભગ 76 ટકા (41.8 કરોડ) લોકો અસંગઠિત ક્ષેત્રમાં છે જેમને આ યોજનાથી મોટું સામાજિક સુરક્ષા કવચ મળશે. આ ઉપરાંત, આમાં પત્ની, બાળકો અને અનાથ બાળકો માટે એક ‘ફેમિલી બેનિફિટ ફંડ’ પણ બનાવવામાં આવશે.

