અમરાવતી જિલ્લામાં મહિલા હોસ્પિટલના SNCU વોર્ડમાં ગઈકાલે મોડી રાત્રે આગ લાગી હતી, જેના કારણે મોટા પ્રમાણમાં ગભરાટ ફેલાયો હતો
Mumbai તા.૨૪
મહારાષ્ટ્રના અમરાવતીમાં એક દુઃખદ ઘટના બની છે. સોમવારે (૨૪ ઓગસ્ટ) સવારે ૩ઃ૩૦ વાગ્યે અહીં મહિલા હોસ્પિટલના નવા મકાનમાં સિક ન્યુબોર્ન કેર યુનિટ (SNCU)માં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આગમાં ત્રણ નવજાત બાળકોના મોત થયા હતા, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
SNCU માં સામાન્ય રીતે ૫૦થી ૬૦ નવજાત બાળકો હોય છે, જેમાં અકાળ જન્મ, ઓછા વજનવાળા અને ગંભીર રીતે બીમાર બાળકોનો સમાવેશ થાય છે. આગ લાગ્યા પછી તરત જ, હોસ્પિટલના કર્મચારીઓએ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું શરૂ કર્યું. ત્યારબાદ ફાયર ફાઇટર પણ ત્યાં પહોંચ્યા હતા. નવજાત બાળકોના મોત બાદ પરિવારના લોકો પણ બેભાન થઈ ગયા હતા.
મોડી રાત્રે લાગેલી આગથી સમગ્ર વોર્ડમાં ગભરાટ ફેલાયો હતો. કારણ નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. શરૂઆતની તપાસ સૂચવે છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે. જો કે, અધિકારીઓ દ્વારા હજુ સુધી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.
આગ લાગ્યા પછી તરત જ, સ્ટાફે યુનિટમાંથી નવજાત શિશુઓને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. આમ છતાં, આ ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ નવજાત બાળકોના મોત થયા છે. આ બાળકોને યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલ થયેલા કેટલાક બાળકોને ડિવિઝનલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. એવું જાણવા મળ્યું છે કે તેમાંથી ચારની સારવાર ચાલી રહી છે, જેમાંથી એકની હાલત ગંભીર છે.
ઘટના બાદ બાળકોની સારવાર કરનારા જિલ્લા સિવિલ સર્જન ડૉ. વિનોદ પવારે જણાવ્યું હતું કે કેટલાક બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંપૂર્ણ વિગતો અને આગ લાગવાનું કારણ તપાસ પુર્ણ થયા પછી જ જાણી શકાશે. આ ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા થયા છે.
આ ઘટના એવા સમયે બની છે, જ્યારે તાજેતરમાં દેશના અનેક શહેરોમાં હોટલમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે, જેમાં બે ડઝનથી વધુ લોકોના મોત થયા છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે આ ઘટનાઓમાંથી શીખવાને બદલે વહીવટી અધિકારીઓ ચૂપ કેમ રહે છે. હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે વહીવટીતંત્ર ઘટના પછી જ જાગે છે.

