Tehran,તા.૨૧
મધ્ય પૂર્વમાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે, ઈરાને બ્રિટનને કડક ચેતવણી આપી છે. ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે જો બ્રિટન અમેરિકાને ઈરાન સામે તેના લશ્કરી થાણાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે, તો તેને યુદ્ધમાં સીધી સંડોવણી ગણવામાં આવશે. તેમણે કહ્યું કે આનાથી બ્રિટિશ નાગરિકોના જીવનને જોખમમાં મુકાઈ શકે છે. અરાઘચીએ બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરના વલણ પર સવાલ ઉઠાવતા કહ્યું કે બ્રિટિશ વડા પ્રધાનના અસ્પષ્ટ અને એકપક્ષીય વલણને હવે સહન કરવામાં આવશે નહીં.
ઈરાનના વિદેશ પ્રધાને આરોપ લગાવ્યો કે બ્રિટન અને કેટલાક અન્ય યુરોપિયન દેશો ઈરાનના બદલો લેવાના પગલાં પર કડક વલણ અપનાવીને ઈઝરાયલી અને યુએસ હુમલાઓને અવગણી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરતા તેમણે લખ્યું, “મોટાભાગના બ્રિટિશ લોકો ઈરાન સામેના આ અનિચ્છનીય ઇઝરાયલી-યુએસ યુદ્ધમાં ભાગ લેવા માંગતા નથી. પોતાના લોકોના અવાજોને અવગણીને, વડા પ્રધાન કીર સ્ટાર્મર બ્રિટિશ જીવનને જોખમમાં મૂકી રહ્યા છે. તેઓ ઈરાન સામે આક્રમણ માટે યુકેના થાણાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપી રહ્યા છે. ઈરાન પોતાના સ્વ-બચાવના અધિકારનો સંપૂર્ણ ઉપયોગ કરશે.”
આ ધમકી એવા સમયે આવી છે જ્યારે અમેરિકા બ્રિટનના આરએએફ ફેરફોર્ડ એરબેઝનો ઉપયોગ કરી રહ્યું છે. અમેરિકન બોમ્બરો વારંવાર આ એરબેઝ પરથી આવતા અને જતા જોવા મળે છે. તાજેતરમાં, બે અમેરિકન મ્-૫૨ બોમ્બર વિમાનો અહીંથી લગભગ ૧૫ કલાક ચાલેલા મિશન પર ઉડાન ભરીને પાછા ફર્યા છે. બ્રિટને તાજેતરમાં જ અમેરિકાને તેના લશ્કરી મથકો, જેમ કે આરએએફ ફેરફોર્ડ અને ડિએગો ગાર્સિયાનો ઉપયોગ કરવાની પરવાનગી આપી છે. બ્રિટન કહે છે કે આ એક “રક્ષણાત્મક કાર્યવાહી” છે જેનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો કરતા ઈરાની મિસાઇલ મથકોનો નાશ કરવાનો છે.

