Surendranagar, તા.6
ધ્રાંગધ્રા શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવાના હેતુ સાથે પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જોગાસર તળાવ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ ધ્રાંગધ્રા શહેર માટે કરોડો રૂપિયાના વિકાસકામોની ભેટ આપી જનસુખાકારીમાં વધારો કર્યો હતો.
લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, મહારાજા રણમલસિંહજીએ જનકલ્યાણના ઉમદા હેતુથી નિર્મિત આ ઐતિહાસિક તળાવનું નગરપાલિકા દ્વારા જે સુંદર નવીનીકરણ કરાયું છે, તે પ્રશંસનીય છે. હવે ‘જોગાસર તળાવ’ નગરજનો માટે આસ્થા અને મનોરંજનનું સંગમસ્થાન બનશે, જ્યાં લોકો ગણપતિ દાદાના દર્શન સાથે શાંતિ અને આનંદની પળો માણી શકશે. વધુમાં તેમણે કેનાલ પર નવો રોડ અને ગ્રીનરી સાથેના વોકવેના આયોજનની પણ મહત્વની વિગતો આપી હતી.
ધ્રાંગધ્રાની પાયાની સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કરતા મંત્રીએ જાહેરાત કરી હતી કે, ધ્રાંગધ્રા નગરપાલિકા હવે ‘બ’ વર્ગમાંથી ‘અ’ વર્ગમાં ઉન્નત થઈ છે, જેના પરિણામે આગામી સમયમાં વિકાસ કામો માટે વધુ ગ્રાન્ટ પ્રાપ્ત થશે. તેમણે નોંધ્યું હતું કે અન્ય વિસ્તારોમાં પાણીની તંગી વચ્ચે પણ અહીંનો નિયમિત પાણી પુરવઠો અને મજબૂત આરસીસી રસ્તાઓનું નેટવર્ક શહેરને રાજ્યની `બેસ્ટ નગરપાલિકા’ બનાવવાની દિશામાં અગ્રેસર કરે છે.
આ તકે સાંસદ ચંદુભાઈ શિહોરાએ જોગાસર તળાવના ભવ્ય સ્વરૂપની પ્રશંસા કરતા કહ્યું હતું કે, નગરપાલિકાના શાસકોની મહેનતને પરિણામે અહીં બેસીને કોઈ `સ્વર્ગાપુરી’માં બેઠા હોય તેવો દિવ્ય અહેસાસ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રભારી મંત્રીના પ્રયત્નોથી ધ્રાંગધ્રાના અન્ય ઐતિહાસિક માનસરોવર તળાવના નવીનીકરણ માટે પણ રૂ. 42 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. તેમણે નગરજનોને કરોડોના ખર્ચે બનેલી આ જાહેર મિલકતોને પોતાની સમજીને તેની જાળવણી કરવા અને સ્વચ્છતા જાળવવા નૈતિક અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે અમૃત 2.0 યોજના અંતર્ગત અંદાજે રૂ. 4.00 કરોડના ખર્ચે નવનિર્મિત જોગાસર તળાવ અને ગાર્ડન ડેવલપમેન્ટના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવતર પ્રકલ્પથી શહેરના હાર્દ સમાન જોગાસર તળાવ હવે પ્રવાસન અને પર્યાવરણની દ્રષ્ટિએ આકર્ષણનું કેન્દ્ર બનશે, જેનો સીધો લાભ સ્થાનિક નાગરિકોને મળશે.
લોકાર્પણની સાથે-સાથે મંત્રીએ ધ્રાંગધ્રા શહેરની પાયાની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે ખાતમુહૂર્ત પણ કર્યા હતા. સ્વચ્છ ભારત મિશન અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજે રૂ. 6.35 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામો પૂર્ણ થતાં શહેરની સ્વચ્છતા અને માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.

