(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૩
Jamnagar જિલ્લાના પંચકોષી એ.ડી.વી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા બે આરોપીઓને રાજકોટ રેન્જની વિશેષ ટીમે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે પંચકોષી એ.ડી.વી. પોલીસને સોંપ્યા છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય ના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓ તેમજ અન્ય જિલ્લાઓમાં ગુનો આચરી ફરાર થયેલા આરોપીઓને શોધી કાઢવા વિશેષ અભિયાન હાથ ધરાયું છે. તેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયા તથા તેમની ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકિન્કલ એનાલિસિસના આધારે સતત તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે પો.સ.ઇ. પી.એ. ચૌહાણ, સંદીપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ તથા ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગર જિલ્લાના પંચકોષી એ.ડી.વી. પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર નં. ૦૭૮૮/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૩૩૧(૪) અને ૩૦૫(એ) હેઠળ નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર રહેલા બે આરોપીઓને મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગંધવાની પોલીસ સ્ટેશન વિસ્તારેથી ઝડપી પાડ્યા હતા.ઝડપાયેલા આરોપીઓમાં (૧) અજય સુરપાલ અજનાર, રહે. ગામ સાતઉમરી, તા. ગંધવાની, જિ. ધાર (મધ્યપ્રદેશ) અને (૨) વિજય બચકાભાઈ વાસ્કેલ, રહે. ગામ મોહનપુર, તા. ગંધવાની, જિ. ધાર (મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય છે.બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે જામનગર જિલ્લાના પંચકોષી એ.ડી.વી. પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે, જ્યાં તેમની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

