Surendranagar,તા.29
અનેકવાર રજૂઆત કર્યા પછી પણ સમસ્યાનો ઉકેલ આવતો નથી પરિણામે સ્થાનિકો સરકારથી ભારોભાર ખફા છે. ખારાઘોડા રણમાં વસતા અગરિયા પરિવારો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યાં છે. રણની મુલાકાતે પહોંચેલાં ભાજપના ધારાસભ્યનો અગરિયાઓએ જાહેરમાં ઉધડો લેતાં કહ્યું કે, નેતાઓ માત્ર ફોટો અને રિલ્સ માટે જ રણની મુલાકાત લે છે. ખરેખર તો અગરિયાઓ પ્રત્યે થોડી તો સંવેદના દાખવી પ્રશ્નો ઉકેલવા જોઈએ.
છેલ્લાં ઘણાં વખતથી પડતર પ્રશ્નાને લઈને અગરિયાઓ સરકાર સામે લડત આપી રહ્યા છે, પરંતુ પાટડીના ભાજપના ધારાસભ્ય પી.કે.પરમાર જ્યારે ખારાઘોડા રણની મુલાકાતે પહોંચ્યાં ત્યારે અગરિયા પરિવારોનો ગુસ્સો સાતમા આસમાને પહોચ્યો હતો. લોકોએ એવો આક્રોશ ઠાલવ્યો કે, નેતાઓ માત્ર ફોટો પડાવવા અને સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવા માટે રણની મુલાકાત લે છે. ખરેખર અગરિયાઓના હિતમાં કામ કરવું જોઈએ પરતું એવું થતું નથી. માત્ર સંવેદનાનો દેખાડો કરવામાં આવી રહ્યો છે.
અગરિયાઓએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, 18 મહિના પહેલા ભાજપના સાંસદે વચનો આપ્યા પણ હજુ સુધી ખારાઘોડા રણને લઈને એકેય પ્રશ્ન હલ થઈ શક્યો નથી. અગરિયાઓએ સવાલોનો મારો કરતા ધારાસભ્ય પણ મૂંઝાયા હતા. આખરે પ્રશ્નો ઉકેલવા ખાતરી આપતા મામલો થોડોક શાંત પડ્યો હતો.
છેલ્લાં ઘણાં વખતથી ખારાઘોડા રણમાં વસતા અગરિયા પરિવારોને આજે પણ પ્રાથમિક સુવિધા માટે વલખાં મારવા પડે છે. રણમાં મીઠું પકવતા પરિવારોને પીવા માટે શુદ્ધ પાણી પણ મળતું નથી. બાળકોએ શિક્ષણથી વંચિત રહેવું પડે તેવી સ્થિતી પરિણમી છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ વરસતાં મીઠાને મોટા પાયે નુકસાન પહોચ્યુ છતાંય સરકારે અગરિયાઓને કોઈ સહાય ચૂકવી નહી. રણમાં ભારે હાડમારી અને સુવિધાઓના અભાવ વચ્ચે પણ અગરિયાઓ મીઠું પકવે છે.

