૨૨ જુલાઈ ૧૯૪૭ના રોજ ભારતીય બંધારણ સભા દ્વારા ‘તિરંગા’ને રાષ્ટ્રીય ધ્વજ તરીકે મળ્યો હતો સત્તાવાર દરજ્જો
ત્રિરંગાના ત્રણ રંગો અને ૨૪ આરા ધરાવતું અશોક ચક્ર આપે છે શૌર્ય, શાંતિ, સમૃદ્ધિ અને અવિરત પ્રગતિનો સંદેશ
હર ઘર તિરંગા’ના ભાવ સાથે રાજ્યના તમામ નાગરિકો ‘ભારતીય ધ્વજ સંહિતા’નું અક્ષરશઃ પાલન કરી તિરંગાની ગરિમા જાળવે તે અનિવાર્ય
વિશેષ અહેવાલ:- ભાવિકા લીંબાસીયા
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર
૨૨મી જુલાઈ ૧૯૪૭નો દિવસ ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક ચિંતનમાં સુવર્ણ અક્ષરે કંડારાયેલો છે. આ એ પાવન દિવસ હતો જ્યારે આઝાદીના માત્ર ત્રણ સપ્તાહ પહેલાં, ભારતીય બંધારણ સભાએ એકસૂરે અને પૂર્ણ ગૌરવ સાથે ‘તિરંગા’ને સ્વતંત્ર ભારતનો અધિકૃત રાષ્ટ્રીય ધ્વજ તરીકે અંગીકાર કર્યો હતો. આથી જ, દર વર્ષે ૨૨મી જુલાઈને સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય ધ્વજ અંગીકાર દિન’ National Flag Adoption Day તરીકે અત્યંત શ્રદ્ધા, ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમ સાથે ઉજવવામાં આવે છે. સ્વતંત્રતાના અમૃત કાળમાં આ દિવસ ભૂતકાળની વિરાસતનું સ્મરણ કરાવવાની સાથે દેશ માટે પ્રાણોની આહુતિ આપનારા અમર શહીદો, ક્રાંતિકારીઓ અને બંધારણ સભાના તત્વચિંતકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ અવસર છે.
આપણા રાષ્ટ્રધ્વજના સર્જન પાછળ એક દીર્ઘ અને પ્રેરણાદાયી ઐતિહાસિક યાત્રા રહેલી છે. આ વિરાટ સંકલ્પના પાછળ આંધ્રપ્રદેશના મહાન સ્વતંત્રતા સેનાની અને ડિઝાઇનર પિંગલી વેંકૈયાનું અપ્રતિમ યોગદાન છે. તેમણે વિશ્વના વિવિધ દેશોના ધ્વજોનો ગહન અભ્યાસ કરીને ભારતની ભૂગોળ, વિવિધતા અને આધ્યાત્મિક ચેતનાને અનુરૂપ ધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી. પ્રારંભિક તબક્કામાં ૧૯૨૧માં પૂજ્ય ગાંધીજીની પ્રેરણાથી ધ્વજમાં ‘ચરખા’ને સ્થાન આપવામાં આવ્યું હતું, જે આત્મનિર્ભરતા અને સ્વદેશી ચેતનાનું પ્રતીક હતું. ત્યારબાદ ૨૨ જુલાઈ ૧૯૪૭ના રોજ બંધારણ સભાએ ચરખાના સ્થાને સારનાથના સિંહસ્તંભ પરથી લેવાયેલા ૨૪ આરા ધરાવતા ‘અશોક ચક્ર’નો સમાવેશ કરીને તિરંગાને આધુનિક અને સર્વસમાવેશી રૂપ આપ્યું.
તિરંગાની ત્રણેય પટ્ટીઓ અને મધ્યમાં બિરાજમાન અશોક ચક્ર ભારતીય સંસ્કૃતિના ઉચ્ચતમ આદર્શોને વાચા આપે છે. સૌથી ઉપરનો કેસરી રંગ શૌર્ય, સાહસ, ત્યાગ અને રાષ્ટ્ર કાજે સર્વસ્વ ન્યોછાવર કરવાની અદમ્ય ભાવનાનું સૂચક છે. મધ્યમાં રહેલો શ્વેત રંગ સત્ય, અહિંસા, શાંતિ અને પવિત્રતાનો સનાતન સંદેશ આપે છે, જે વિશ્વને ભારતની શાંતિપ્રિયતાનો પરિચય કરાવે છે. સૌથી નીચેનો લીલો રંગ દેશની સુજલામ્-સુફલામ્ સમૃદ્ધિ, કૃષિ સંસ્કૃતિ, પ્રકૃતિ સાથેના જોડાણ અને વિશ્વાસનું પ્રતીક છે. મધ્યમાં આવેલું ઘેરા વાદળી રંગનું અશોક ચક્ર એ દેશની અવિરત ગતિશીલતા અને ન્યાયપૂર્ણ વિકાસનું સક્ષમ પ્રતીક છે. તેના ૨૪ આરા આપણને ૨૪ કલાક નિરંતર કર્તવ્યપથ પર આગળ વધવાની અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.
ગુજરાત સરકાર રાષ્ટ્રીય પ્રતીકો અને ધ્વજની ગરિમાને જાળવી રાખવા માટે સતત કટિબદ્ધ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં યોજાયેલા ‘હર ઘર તિરંગા’ અને ‘મેરી માટી મેરા દેશ’ જેવા જન-અભિયાનોએ રાષ્ટ્રભક્તિની એક નવી અલખ જગાવી છે. ગુજરાતના ખૂણે-ખૂણે, સરકારી ભવનોથી લઈને પ્રત્યેક નાગરિકના ઘર પર લહેરાતો તિરંગો એ વાતનું પ્રતીક છે કે ગુજરાતનો નાગરિક રાષ્ટ્રીય અખંડિતતા માટે તન, મન અને ધનથી સમર્પિત છે. તમામ નાગરિકો ‘ભારતીય ધ્વજ સંહિતા’નું પવિત્રતાથી પાલન કરે, ધ્વજનો ક્યારેય અનાદર ન થાય તેની કાળજી રાખે અને ધ્વજ પ્રત્યેના સન્માનને પોતાના દૈનિક જીવનનો સહજ ભાગ બનાવે તે ઇચ્છનીય છે.
રાષ્ટ્રીય ધ્વજ અંગીકાર દિનના આ પાવન અવસરે આપણે સૌ એકજૂટ થઈને સંકલ્પ કરીએ કે આપણા શ્રમ, આચરણ, વિચાર અને કર્તવ્યપાલન દ્વારા ભારત દેશને વિશ્વમંચ પર એક સક્ષમ, સમૃદ્ધ અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરીશું. શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત અને ક્ષેત્રીય વિકાસથી લઈને દેશની સરહદોની સુરક્ષા સુધીના દરેક ક્ષેત્રમાં તિરંગાની શાન ઊંચી રહે તે માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત રહીએ. આપણો આ તિરંગો ગગનની અનંત ઊંચાઈઓમાં શાનથી લહેરાતો રહે અને તેની શીતળ છત્રછાયા હેઠળ આપણો દેશ અને રાજ્ય નૂતન પ્રગતિના સોપાનો સર કરતા રહે એ જ આપણી ખરી રાષ્ટ્રસેવા છે.

