New Delhi, તા. 11
દેશની સરકારી ઓઇલ કંપનીઓ (ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ)ને ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર પડતર કિંમત કરતાં સસ્તા ભાવે વેચવાને કારણે જુલાઈ મહિના સુધીમાં રૂા.59,000 કરોડથી વધુનું નુકસાન થયું છે.
રાજ્યસભામાં માહિતી આપતાં પેટ્રોલિયમ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે, આ આર્થિક બોજો હળવો કરવા માટે સરકારે કંપનીઓને રૂા.52,000 કરોડનું વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે.
સરકારે નાણાકીય વર્ષ 2023માં રૂા.22,000 કરોડ આપ્યાં હતાં અને બાકીના રૂા.30,000 કરોડ 2026 અને 2027 દરમિયાન ચૂકવવામાં આવશે. આમ છતાં, આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ સતત ઊંચા રહેવાને કારણે કંપનીઓ પર ખોટનો આંકડો મોટો રહ્યો છે.
આ નુકસાનનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ અને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ જળમાર્ગ બંધ થવાનાં કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસનાં ભાવમાં થયેલો 46 ટકા સુધીનો મોટો વધારો છે.
મોંઘવારીના આ સમયમાં સામાન્ય નાગરિકો પર બોજ ન પડે તે માટે સરકારે 14.2 કિલોના સિલિન્ડરની કિંમત રૂા.942 પર સ્થિર રાખી હતી, જેમાં સરકારે પોતાની તરફથી જૂન મહિનામાં પ્રતિ સિલિન્ડર રૂા.700 થી વધુ અને જુલાઈમાં રૂા.500 ની પરોક્ષ સબસિડી ભોગવી હતી.
આ ઉપરાંત, ‘ઉજ્જવલા યોજના’ના 10.5 કરોડથી વધુ ગરીબ પરિવારોને 300 ની સીધી સબસિડી આપીને આ સિલિન્ડર માત્ર 642 માં પૂરો પાડવામાં આવી રહ્યો છે.

