Dhoraji,તા.10
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે એક કરુણ બનાવ સામે આવ્યો છે. વાડીમાં વિષપાન કરી લેનાર પિતાને જોઈ 18 વર્ષીય પુત્રએ પણ ઝેરી દવા ગટગટાવી વખ ઘોળી લેતા બંનેના મોત નીપજ્યા હતા. એક જ પરિવારમાંથી બે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું. જયારે આપઘાતનું કારણ જાણવા પાટણવાવ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં પિતા પુત્રનું ઝેરને કારણે મોત થવાનો મામલો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે આ ઘટના બની જેમાં ખેડૂત પિતા અને પુત્રનું કરુણ મોત નિપજ્યું છે. મોટી મારડ ગામના અને કૃષ્ણ નગર સોસાયટીમાં રહેતા 42 વર્ષીય ખેડૂત જીજ્ઞેશ ભાઈ દલસાણીયા ભાગીયાની વાડીએ ઝેરી દવા ગટગટાવી લેતા મોત નિપજ્યું હતું.
જયારે પિતાને વાડી ખાતે 18 વર્ષીય પુત્ર મીત જીજ્ઞેશ ભાઈ દલસાણીયા પોતાના ઘરેથી તે બંને માટે ટીફીન લઈને વાડીએ ગયો હતો. ત્યાં પિતાને મૃત હાલતમાં જોઈ તેને લાગી આવ્યું હતું અને તે ડઘાઈ જતાં તેણે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ મીતને મોટી મારડ હોસ્પિટલ અને ત્યાંથી ધોરાજી પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને ત્યાંથી જુનાગઢ તરફ જવા રવાના થતા વચ્ચે જ મીતનું મોત નિપજ્યું હતું.
પિતા અને પુત્રના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે મોટી મારડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પરીવારજનો, મિત્રો, સંબંધીઓ, પોલીસ તંત્ર અને રાજકીય આગેવાનો સહિત સૌ કોઈ મોટી મારડ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. મામલામાં પાટણ વાવ પોલીસ મથકના પીએસઆઈ અનિરુદ્ધ કામળીયાની ટીમે સામુહિક આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.