Johnsburg,તા.15
દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નતાલ પ્રાંતમાં નિર્માણાધીન ચાર માળનું મંદિર ધરાશયી થવાની ઘટનામાં ૫૨ વર્ષીય ભારતીય મૂળના શખ્સ સહિત ચાર લોકોનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
ઇથેકવિની (અગાઉ ડરબન)ના ઉત્તરમાં રેડક્લિફના એક પર્વત પર ન્યૂ અહોબિલમ ટેમ્પલ ઓફ પ્રોટેકશનનું વિસ્તાર કરવામાં આવી રહ્યું હતું ત્યારે શુક્રવારે ઇમારતનો એક ભાગ તૂટી પડયો હતો. મંદિરના કાટમાળમાં કેટલા અધિકારીઓ અને કામદારો દટાયેલા છે તે હાલમાં ચોક્કસપણે કહી શકાય તેમ નથી. શુક્રવારે એક મજૂર અને એક શ્રદ્ધાળુનાં મોતને સમર્થન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શનિવારે બચાવ ટીમને વધુ બે મૃતદેહો મળી આવતા મૃતકોની સંખ્યા વધીને ચાર થઇ ગઇ છે.
અધિકારીઓએ સ્થાનિક મીડિયાના સંદર્ભથી જણાવ્યું હતું કે ચાર મૃતકો પૈકી એકની ઓળખ વિક્કી જયરાજ પાંડે તરીકે કરવામાં આવી છે જે મંદિર ટ્રસ્ટના એક્ઝિક્યુટીવ સભ્ય અને નિર્માણ પ્રોજેકટના મેનેજર હતાં. મીડિયા રિપોર્ટ અનુસાર પાંડે લગભગ બે વર્ષ પહેલા મંદિરની સ્થાપના સમયથી જ તેના વિકાસ કાર્યોમાં સામેલ હતાં. રિએક્શન યુનિટ સાઉથ આફ્રિકાના પ્રવક્તા પ્રેમ બલરામે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે બચાવ ટીમને કાટમાળમાં ફસાયા લોકોને બહાર કાઢવાનું કામ રોકવાની ફરજ પડી હતી.

