Vadtal, તા. 15
વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવની ઐતિહાસિક ઉજવણી થઇ રહી છે ત્યારે આ ભવ્યાતિત મહોત્સવના સાતમા દિવસે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ જળ શકિત વિભાગના મંત્રી સી.આર.પાટીલ અને આઠમા દિવસે ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી રાજદ્વારી મહેમાન બની પધાર્યા હતા.
સાંજના સત્રમાં આમંત્રણને માન આપી ખાસ હાજરી આપી મહોત્સવમાં સહભાગી થઇ અને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તેમજ વકતા નિત્યસ્વરૂપદાસજી સ્વામી આદિ વડિલ સંતોના આશિર્વાદ મેળવ્યા હતા ત્યારે પૂર્વ મંત્રી દેવુસિંહ ચૌહાણ, મુખ્ય નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયા, ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ, જનકભાઇ તળાવીયા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ અગ્રણી ચેતનભાઇ રામાણી વિગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સી.આર.પાટીલે હરિભકતોને સંબોધતા કહ્યું કે, કોઇપણ સંપ્રદાયની વાત આવે ત્યારે કેટલાક લોકો પોતાને નાસ્તિક ગણાવવામાં ધન્ય સમજતા હોય છે અને વિશેષ કરીને જયારે તેઓ મુશ્કેલીઓ હોય, કુદરત તરફથી તેઓ આપદામાં હોય અને જયારે એને સારો રસ્તો ભગવાન દેખાડે છે ત્યારે પછીથી તેઓ આસ્તિક થવા લાગે છે પણ સ્વામિનારાયણ સંપ્રદાય દેશ-વિદેશમાં સર્વત્ર રીતે ફેલાયેલો સંપ્રદાય છે.
હું જયારે લંડન મંદિરે ગયો ત્યારે આપણા ગુજરાતના લગભગ પ000 લોકો સભામાં ઉપસ્થિત હતા અને નવાઇ એ લાગી કે સર્વ રીતે સુખી સંપન્ન હોવા છતાં તેઓ સ્વયં સેવક તરીકે કામ કરી પોતાની નૈતિક ફરજ અદા કરી સંપ્રદાયની સમૃધ્ધિ માટે કામ કરે છે. તેમજ નાનપણથી બાળકો, યુવાનો, મહિલાઓ સર્વની અંદર સંસ્કાર સિંચોનું કામ સંપ્રદાયની અંદર થાય છે અને એના પરિણામ સામાજિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે જોવા મળે છે.
ધર્મનો સંદેશ ખુબ મહત્વનો હોય છે જયારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે છું ત્યારે ધર્મને માનતા કાર્યકરોને બિરદાવું છું કેમ કે ધર્મના માનતા કાર્યકો અનિતીથી કયારેય ન ચાલે અને એના કારણે સમાજમાં નુકસાન નથી થતું તેમજ અંતમાં જળ શકિત મંત્રાલય દ્વારા થતા કાર્યને હરિભકતો સમક્ષ મુકી મદદરૂપ થવા આહવાન કર્યુ હતું.
રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી એ હરિભકતોને સંબોધતા કહ્યું કે, આ નવ દિવસના મહોત્સવમાં દરરોજ લાખોની સંખ્યામાં ભકતો આવી રહ્યા છે. ત્યારે આ સંસ્થા દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે, રહેવા જમવાથી લઇ પાર્કિંગ સુધીના તમામ પ્રકારનું આયોજન ખુબ જ સુંદર છે. આ ર00 વર્ષના ઐતિહાસિક પળના આયોજનનાં હું સાક્ષી બન્યો એ મારૂ સાંભાગ્ય છે.
સમાજને વ્યસન મુકત કરવા હાંકલ કરતા તેમણે કહ્યું કે આ સંસ્થા દ્વારા વ્યસન મુકિતની અનેક પ્રવૃતિ કરાઇ રહી છે. વધુમાં તેમણે કહ્યું કે, સાળંગપુર હનુમાનજીના આશિર્વાદ સાથે ગદા લઇને અમે ડ્રગ્સ સામે લડી રહ્યા છે અને દાદાના આશિર્વાદ સદાય સાથે છે. સંપ્રદાયના અનુયાયીઓને રાષ્ટ્રની દેશ ભકિત સાથે જોડાવવા હાકલ કરી છે. આજે મહોત્સવનું સમાપન થશે.
દરરોજ 4 લાખ લોકો ભોજન લેતા હોય ત્યારે વળી આજે આ દિવ્ય મહોત્સવમાં શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જેમાં પ000થી વધુ બહેનો સવારથી રોટલા બનાવવાની કામગીરીમાં જોતરાઇ હતી.
આ ઉપરાંત શાક સુધારવાની કામગીરી પણ કરી હતી. જે બાદ સાંજે ભવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમ મુખ્ય કોઠારી સાધુ સંત વલ્લભદાસજી મહારાજ તથા ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણીએ જણાવેલ છે.

