Ahmedabad,તા.૧૬
ગુજરાત હાઈકોર્ટે લીધેલા નળસરોવર પક્ષી અભયારણ્યના રક્ષણના કડક વલણ બાદ , તેના કાંઠે આવેલા ૧૨ થી વધુ ગામોમાં રહેતા આદિવાસી પઢાર સમુદાયમાં વ્યાપક ગુસ્સો અને ચિંતા છે.નળસરોવર પક્ષી અભયારણ્યના રક્ષણ માટે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી કડક ટકોર બાદ સ્થાનિક પઢાર આદિવાસી સમાજમાં ભારે ખળભળાટ મચી ગયો છે. કારણકે તેમના જીવનની એક માત્ર આજીવિકાના સ્રોત (માછીમારી) પર હાઈકોર્ટે પ્રતિબંધ મૂકવા સૂચના આપી છે.નળસરોવરને પિકનિક સ્પોટ તરીકે ગણવાને બદલે, માછીમારી અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાના હાઈકોર્ટના આ સૂચનથી પેઢીઓથી તળાવ પર નિર્ભર પરિવારોની આજીવિકા જોખમમાં મુકાઈ ગઈ છે.
આ પરિસ્થિતિની ચર્ચા કરવા માટે આજે (૧૬ ફેબ્રુઆરી)ના રોજ બાવળાના ધરજી ગામમાં આવેલા ઝુમ્પલી માતા મંદિરમાં એક મોટી સભા યોજાઈ હતી.ધરજી , મેણી, કાયલા, વેકરિયા, દેવદાથલ, શિયાળ, રાણાગઢ, કઠેચી અને શાહપુર સહિત ૧૨ થી વધુ ગામોના લોકો એકઠા થયા હતા. અહીં વસતો પઢાર આદિવાસી સમાજ મુખ્યત્વે માછીમારી, જીતોલા અને થેક કાઢવી તેમજ પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે કોંગ્રેસના ભૂતપૂર્વ જિલ્લા પંચાયત સભ્ય બાબુભાઈ પઢારે આ બાબતે મુખ્યમંત્રીને લેખિત આવેદનપત્ર સુપરત કર્યું છે.
આ મામલે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો સરકાર કોઈ પરિપત્ર બહાર પાડે અને પક્ષી અભયારણ્ય વિસ્તારમાં માછીમારી કે અન્ય કોઈ પણ ધંધા રોજગાર કરવા પર કડક પ્રતિબંધ મૂકશે તો ગરીબ પરિવારો સામે ભૂખમરાની સ્થિતિ સર્જાશે. ધરજી ગામના ઝૂંપાળી માતાના મંદિરે મળેલી આ સભામાં ગ્રામજનોએ ન્યાય માટે છેક ઉપર સુધી રજૂઆત કરવાની અને જો ધંધા રોજગાર પર અસર પડશે તો છેક સુધી લડી લેવાની અને આંદોલન કરવાની તૈયારી બતાવી છે.
બાબુભાઈ પઢારે કહ્યું કે નળસરોવરના કિનારે રહેતા આદિવાસી લોકો સંપૂર્ણપણે તળાવ પર નિર્ભર છે. જો માછીમારી અને અન્ય નોકરીઓ છીનવાઈ જશે, તો આ હજારો લોકો ભૂખમરાનો સામનો કરશે. પઢાર સમુદાયે માંગ કરી છે કે પર્યાવરણના રક્ષણ અને તેમની આજીવિકા જાળવવા માટે યોગ્ય નિર્ણયો લેવામાં આવે.

