બેન્ચે મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું કે, મોબાઈલ રાખનાર દરેક વ્યક્તિ અત્યારે મીડિયા બની ગઈ છે
New Delhi, તા.૨૧
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો અપલોડ કરવાની વધતી જતી ઘેલછા અને તેનાથી ન્યાયિક પ્રક્રિયા પર પડતી નકારાત્મક અસરો અંગે સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે શુક્રવારે મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું કે, મોબાઈલ રાખનાર દરેક વ્યક્તિ અત્યારે મીડિયા બની ગઈ છે, જે આરોપીઓની નિષ્પક્ષ સુનાવણી (હ્લટ્ઠૈિ ્િૈટ્ઠઙ્મ) માટે મોટો ખતરો છે.
જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે એક જનહિત અરજીની સુનાવણી દરમિયાન જણાવ્યું કે, જ્યારે રસ્તા પર કોઈ અકસ્માત થાય છે અથવા કોઈ વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં હોય છે, ત્યારે લોકો તેની મદદ કરવાને બદલે કન્ટેન્ટ બનાવવા માટે મોબાઈલ કાઢીને વીડિયો ઉતારવા લાગે છે. આ એક સંક્રામક રોગ જેવી વૃત્તિ બની ગઈ છે.
અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પોલીસ ધરપકડ કરાયેલા આરોપીઓના ફોટા અને વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર અપલોડ કરે છે. આનાથી જનતાના મનમાં પૂર્વગ્રહ બંધાય છે અને જ્યારે પુરાવાના અભાવે આરોપી નિર્દોષ છૂટે છે, ત્યારે લોકો ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવે છે. જસ્ટિસ બાગચીની ટિપ્પણીઃ “પોલીસે બ્રીફિંગ દ્વારા આરોપીઓ સામે પૂર્વગ્રહ પેદા ન કરવો જોઈએ. ટીવી ચેનલો છતાં અમુક હદ સુધી સંયમિત છે, પરંતુ સોશિયલ મીડિયાનું એટોમાઇઝ્ડ સોશિયલ મીડિયા મોટી સમસ્યા છે.”
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આકરા શબ્દોમાં કહ્યું કે, સોશિયલ મીડિયા પર એવા ટેબ્લોઇડ્સ (પેજ/ચેનલો) છે જેમને ટૂંકમાં બ્લેકમેલર્સ કહી શકાય. ચીફ જસ્ટિસે પણ ઉમેર્યું કે, નાના શહેરો અને ગામડાના લોકો મીડિયાકર્મી હોવાનું નકલી ઓળખપત્ર બતાવીને પોતાના વાહનો પર ખોટા લખાણો પ્રદર્શિત કરે છે.
સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોમાં તપાસની પારદર્શિતા અને આરોપીઓના અધિકારો વચ્ચે સંતુલન જાળવવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (ર્જીંઁ) તૈયાર કરવા માટે ૩ મહિનાનો સમય આપ્યો છે. કોર્ટે અરજદારને કહ્યું કે એપ્રિલ પછી આ અરજી વધુ વ્યાપક મુદ્દાઓ સાથે ફરી દાખલ કરવામાં આવે.

