આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક રીતે ટેકનિકલ ખામી અથવા સુરક્ષામાં બેદરકારીને કારણે આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે
Ranchi,તા.૧૪
છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં ભયાનક વિસ્ફોટ થયો છે. રિપોર્ટ મુજબ, આ ઘટનામાં ૧૦થી વધુ શ્રમિકોના મોત થયા હોવાની અને ૩૦થી ૪૦ શ્રમિકો દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે મોતનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના સક્તિ જિલ્લામાં સિંઘીતરાઈ ગામમાં વેદાંતાના પાવર પ્લાન્ટમાં આજે અનેક શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક બોઇલર ફાટ્યા બાદ જોરદાર ધડાકો થયો હતો. જેના કારણે અહીં આખા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ છે.
ઘટનામાં ૧૦થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ૩૦થી ૪૦ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાથી મોતનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, દૂર દૂર સુધી તેનો અવાજ સંભળાયા બાદ આસપાસના ગામડાંઓમાં દહેશત ફેલાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ટીમે તુરંત રાહત અને બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં પહોંચાડી રહ્યા છે. કેટલાક ઈજાગ્રસ્તોની સ્થિતિ અત્યંત ખરાબ હોવાની માહિતી સામે આવી છે. પ્લાન્ટ મેનેજમેન્ટના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. પોલીસે ઘટનાના કારણોની તપાસ કરવાના આદેશ આપી દીધા છે. હાલ કેટલા લોકોના મોત થયા અને કેટલાક લોકોને ઈજા થઈ છે, તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.હાલ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક રીતે ટેકનિકલ ખામી અથવા સુરક્ષામાં બેદરકારીને કારણે આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને આગળ વધુ માહિતી બહાર આવવાની શક્યતા છે

