ફાલ્ગુની વસાવડા
2025 માં જુલાઈ મહિનામાં બુદ્ધપૂર્ણિમાનાં દિવસે માનસ સંબંધની રાજસ્થાનની વાગડ ભૂમિ ખડગદામાં, ગોવર્ધન વિદ્યાવિહાર સંસ્કૃત સંસ્થા દ્વારા આ કથાનું આયોજન થયું હતું, અને એનાં પ્રથમ દિવસે કથાની પ્રસ્તુતિ કરતાં પૂજ્ય બાપુએ આ કથા 36 વર્ષે થઈ રહી છે, એનું સ્પષ્ટીકરણ કર્યું, અને પછી કથાનાં મુખ્ય વિષયમાં પ્રવેશ કર્યો. એમણે કહ્યું કે રામાયણનાં લગભગ મોટાભાગનાં પાત્રો પર કથા થઈ ગઈ છે, પરંતુ કબંધ પર કથા થઈ નથી, તો આ કથાનો મુખ્ય વિષય માનસ કબંધ રહેશે! આમ તો રામાયણ પ્રબંધ કાવ્ય છે, જેમાં આરંભમાં રામ છે, મધ્યમાં રામ છે, અને અંતમાં પણ રામનું જ પ્રતિપાદન છે. પરંતુ આ રામકથા સાથે કેટલીયે કથા જોડાયેલી છે, રામની કથા સાથે સીતાની કથા છે, મહારાજ દશરથની કથા છે, ત્રણેય રાણીઓની કથા છે, પ્રગટ અપ્રગટ રૂપમાં સમગ્ર રઘુવંશની કથા છે, કથામાં ઋષિમુનિઓની પણ કથા છે, આ કથામાં ભક્તો અને સંતોની પણ કથા છે, રામકથામાં વાનર રીંછની કથા પણ છે, રાવણ આદિ રાક્ષસોની કથા પણ છે, એટલે આ બધી કથાઓનું સંમિલન રામકથા છે, જેનાં કેન્દ્રમાં ભગવાન રામ છે. માનસ સંબંધોની કથા છે, એ રીતે પણ જોઈ શકાય. રામકથામાં ભાઈ ભાઈનો સંબંધ, પતિ પત્નીનો સંબંધ, પિતા પુત્રનો સંબંધ, મિત્ર મિત્રનો સંબંધ, જાતિ પ્રજાતિનો સંબંધ, રાજા અને પ્રજાનો સંબંધ, સ્વામી અને સેવકનો સંબંધ, લોક અને શ્લોકનો સંબંધ, તો આ સંબંધોની કથા છે, એટલા માટે આજે કળિકાળમાં પણ પ્રાસંગિક છે. કેવળ શબ્દની શૃંખલામાં અનુબંધ, નિબંધ, પ્રબંધ, સંબંધ એ સંદર્ભમાં આપણે સાથે મળીને રામકથાના કબંધની ચર્ચા કરીશું કે ભગવાન રામ નો કબંધ સાથે શું અનુબંધ છે? એક નાનો એવો પ્રસંગ વિસ્તારથી કહેવાનો અવસર મળ્યો છે. રામાયણનું એક પાત્ર તો છે જ, અસુર છે, પૂર્વ એ ગંધર્વ હતો, અને રામકાળમાં એ રાક્ષસ બને છે. જેવી રીતે રાવણ નામનો રાક્ષસ છે, મારિચ નામનો રાક્ષસ છે, સુબાહુ નામનો રાક્ષસ છે, બિલકુલ એ જ રીતે કબંધ પણ એક રાક્ષસ છે, અને તુલસી પણ એને એક બે લાઈનમાં ગાઈને છોડી દે છે.
થોડી પૂર્વભૂમિકા સમજી લઈએ કબંધનો ઉલ્લેખ તુલસીદાસજી અરણ્યકાંડમાં કર્યો છે. માનસનાં અરણ્ય કાંડમાં રાવણે યોજના બનાવી, અને સીતાનું અપહરણ કર્યું. મારિચ નામનો રાક્ષસ મૃગ બનીને આવ્યો, અને ભગવાન મારિચને મારવાં એની પાછળ ગયાં, શૂન્યતા જોઈને રાવણ યતીના વેશમાં ભગવતી સીતાની છાયાનું અપહરણ કરીને ચાલ્યો જાય છે. પોતાના પરમ પ્રિતમને પામીને મારિચ ધન્ય થઈ ગયો, ભગવાન જ્યારે પાછા ફર્યા, ત્યારે પંચવટીમાં જાનકીનું અપહરણ થઈ ગયું હતું, અને રામ અને લક્ષ્મણ જાનકીજીની શોધમાં નીકળે છે, અને આગળ ગિધરાજ જટાયુ દ્વારા જાણવા મળ્યું કે, રાવણે સીતાનું અપહરણ કર્યું છે, અને પોતે સીતાને છોડાવવા ઘણી મહેનત કરી, અને ઘાયલ થયાં. ભગવાન રામ જટાયુને દિવ્ય ગતિ આપી, અને અહીં ભૂશુંડીજી કબંધનું સ્મરણ કરતાં બોલ્યા.
પુની પ્રભુ ગીધ ક્રિયા જિમિ કિન્હીં,
બધી કબંધ શબરિહિ ગતિ દિન્હી,
તાહી દેઈ ગતિ રામ ઉદારા,
શબરી કે આશ્રમ પગુ ધારા.
અરણ્યકાંડમાં પ્રભુ જટાયુની અંતિમ વિધિ કરી, એને ગતિ આપીને સીતાની શોધ કરતાં કરતાં આગળ વધી રહ્યા છે એ વખતે રસ્તામાં અબંધ મળ્યો, અને ભગવાને કેટલાક રાક્ષસોને આવતાં જ નિર્માણ આપી દીધું, એ બડભાગી હશે, કોઈ જ હિસાબ કિતાબ નથી. એક એવી જ રાક્ષસી હતી જેનું નામ તાડકા, આવી અને ગઈ.
તો જેવો કબંધ આવ્યો, એવાં ભગવાન એને નિર્માણ આપે છે. મરતી વખતે કબંધ એને જે શ્રાપ લાગ્યો હતો, એ સાપની વાત કરે છે, અને એમાં જે નાની એવી કથા છે, એમાં ચાર બિંદુને નવ દિવસમાં મારી વ્યાસપીઠ સર્પશવા માંગે છે. એક તો એમાં શ્રાપની કથા કહી, બીજું તાહિ દેઈ ગતિ રામ ઉદારા, એને ગતિ પ્રદાન કરી. ત્રીજી કબંધનો વધ કર્યો, અને ચોથું ત્યારબાદ સીધા એક ભક્તિમતી શબરીના આશ્રમમાં પહોંચે છે, તો આ ચાર મુદ્દાને સ્પર્શ કરીને આપણે નવ દિવસ સત્સંગ કરીશું. કેમ કે મને લાગે છે કે આપણાં વર્તમાન જીવનમાં આચરણની થોડી સમજણ આવી જાય તો શેષ જીવનમાં આપણી પ્રસન્નતા વધી શકે, આપણે આપણા જીવનને ધન્ય સમજી શકીએ. કબંધમાં કેટલાક સદગુણ પણ છે, અને દુર્ગુણ પણ છે, અને દરેકમાં સદગુણ દુર્ગુણ બંને હોય જ છે. બિધિ પ્રપંચ ગુન અવગુન સાના. આ નાના એવા પ્રસંગથી શિપ્ર ધર્માત્મા બની શકે છે, રામાયણનો એવો એક પ્રસંગ, અણ સ્પર્શ્યો રહ્યો છે.
આવત પંથ કબંધ નિપાતા,
તેહિં સબ કહી સાપ કૈ બાતા,
તાહિ દેઈ ગતિ રામ ઉધારા,
સબરી કે આશ્રમ પગુ ધારા.
ચતવારો ધનદાયાદાઃ ધર્માગ્નિનૃપતસ્કરા.
કબંધને લાગુ પડે છે, આ શ્લોક કબંધ એનાં પૂર્વ જીવનમાં ખૂબ જ ધનવાન હતો, બહુ જ સમૃદ્ધ! જેની કોઈ સીમા નહીં. ગુરુકૃપાથી જેટલી જેટલી કથાઓ મારી સ્મૃતિમાં આવશે, એ હું આપને જણાવીશ. શાસ્ત્રકાર કહે છે કે ભગવતી લક્ષ્મીના ચાર ભાઈઓ છે. એક ભાઈ ધર્મ, બીજો ભાઈ રાજા, ત્રીજો ભાઈ અગ્નિ, અને ચોથો ભાઈ છે ચોર, લક્ષ્મીના ચાર સગા ભાઈઓ છે.
તેષાં જ્યેષ્ઠાવમાનેન ત્રયઃ કુપ્યન્તિ સોદરા. લક્ષ્મીનાં મોટાભાઈનું જો કોઈ અપમાન કરે તો પહેલાં ત્રણ ભાઈઓ અપમાન કરનારને ચેનથી રહેવાં નથી દેતાં. અહીં લક્ષ્મીનો સંદર્ભ માત્ર રૂપિયા પૈસા નથી, જેમની પાસે બૌદ્ધિક સ્ત્રી હોય, પ્રતિષ્ઠાની શ્રી હોય, કોઈપણ પ્રકારની સંપદા હોય, એ લક્ષ્મીનો ભાઈ ધર્મ છે. ધર્મ એટલે શું ? આદિ ગ્રંથોમાં ધર્મનાં ચાર ચરણ બતાવ્યા છે. શ્રુતિકાર ભગવાન મનુએ ધર્મના 10 લક્ષણની વાત કરી છે. કોઈ કોઈ ષડધર્મની પણ વાત કરે છે. ભાગવત આદિ ગ્રંથોએ ચાર લક્ષણ બતાવ્યા છે, પરંતુ વ્યાસપીઠ હજી રાહત આપે છે, અને ધર્મનાં ત્રણ લક્ષણ સત્ય, પ્રેમ, અને કરુણા. આ કોઈ દાવો નથી, આ કોઈ ગર્વ નથી. વિશ્વનો કોઈ ધર્મ આ ત્રણ સૂત્રનો ઇનકાર કરી શકે નહીં! જ્યાં સત્ય ત્યાં ધર્મ, જ્યાં પ્રેમ ત્યાં ધર્મ, ત્રીજું જ્યાં કરુણા ત્યાં ધર્મ. સત્યનું અપમાન, પ્રેમનું અપમાન, કરુણાનું અપમાન એટલે ધર્મનું અપમાન. કબંધ પાસે ખૂબ લક્ષ્મી હતી, અને એણે એવું અભિયાન છેડ્યું કે જગતમાં કોઈ દેવ દેવી નથી, અમે એટલે અસુર જ શ્રેષ્ઠ છીએ. આમ કબંધ ધર્મથી વિમુખ થવા લાગ્યો! અને એને કારણે બીજો ભાઈ રાજા એને દંડ દેતો હતો. અગ્નિ એ સજા આપી, અને તસ્કરો એ એનો ખજાનો લૂંટી લીધો. કથાનાં ક્રમમાં ગ્રંથનો મહિમા, અને રામચરિત માનસનું મહાત્મ્ય ગાતાં કહ્યું છે કે, રામાયણ કલ્પ વૃક્ષનો છાંયો છે, સાત સોપાનમાં અનુક્રમે સર્વ દેવો, અને પરિવારની વંદના, સંતોની વંદના અને અંતમાં હનુમાનજીની વંદના કરી પ્રથમ દિવસની કથાને વિરામ આપ્યો.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

