ફાલ્ગુની વસાવડા.
ભારતીય સમાજ સરખામણી કરવાની એક વિચિત્ર ખાસિયત ધરાવે છે, અને અત્યારે આ સમોવડીની માનસિકતા ધરાવતાં સમાજમાં માતા અને પિતા બંનેમાંથી કોણ મહાન? એ પણ ચર્ચાનો વિષય હોય, એમ સૌ પોતપોતાની રીતનાં મનઘડત વિચારો વાળી પોસ્ટ ફોરવર્ડ કરતાં હોય છે. પણ શું કામ કોઈ એકને મહાન આલેખવા જોઈએ? સંતાન માટે એના માતાપિતા બંને જ મહાન છે, અને એની તુલના કોઈ સાથે થઈ શકે નહીં! અને એટલે જ ભારતીય સંસ્કૃતિમાં માતૃ દેવો ભવઃ અને પિતૃ દેવો ભવઃ કહીં બંનેને ઈશ્વરનો દરજ્જો અપાયો છે. જુન મહિનાના ત્રીજા રવિવારને ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, તો એ રીતે ફાધર્સ ડે 21 મી એ આવશે. ફાધર્સ એટલે આમ જુઓ તો પરિવારનો મુખિયા!
વિદેશી સંસ્કૃતિની આ એક અનોખી ભેટ છે,આ દિવસની શરૂઆત અમેરિકામાં સોનોરા સ્માર્ટ ડોડ દ્વારા કરવામાં આવી હતી. તેમના પિતા સિવિલ વોરના પીઢ સૈનિક હતા, જેમણે પત્નીના મૃત્યુ પછી એકલા હાથે સોનોરા અને તેમના પાંચ ભાઈ-બહેનોનો ઉછેર કર્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં આવા દિવસો મનાવવાની પરંપરા હતી નહીં, કારણ કે સંયુક્ત કુટુંબોમાં એકબીજા ભાઈચારા અને પ્રેમથી રહેતાં હતાં, ત્યારે તેમનાં જન્મદિવસ, લગ્ન દિવસ, પુણ્યતિથિ, વગેરેને મહત્વ આપી એ દિવસે એ વ્યક્તિ પ્રત્યેનો આદર કરવાની આપણે ત્યાં રીત હતી,અને છે. આ ઉપરાંત વડીલોને રોજ પ્રણામ કરવાની પણ આપણે ત્યાં પ્રથા છે, પ્રણામ કરવા એટલે શું? તે આપણી કરતાં મહાન છે, એવું એક સીધુંસાદું સત્ય સ્વીકારીને તેને નમન કરવું. સંયુક્ત કુટુંબો તૂટતા ગયાં, અને પરિણામે ઘરમાં ઉછરનારા સંતાનો આ સંસ્કારથી વંચિત થતાં ગયાં, અને એને કારણે સંબંધોમાં પણ જોઈએ તેવી લાગણી રહી નહીં, અને એ લાગણીને પ્રદર્શિત કરવાં વર્ષમાં આ રીતે જુદાં જુદાં ડે ઉજવવામાં આવે છે. એક રીતે સારું છે, બાકી સ્ટ્રેસ અને સમયની ઇન્દ્રજાળમા માનવી અટવાતો જાય છે, કે તેને સંબંધનાં સ્વીકારવાનો હવે સમય નથી.
ફાધર્સ એટલે કે પિતા, પપ્પા, ડેડી, જેવાં સંબોધનોથી આપણે જેને નવાજીએ છીએ તે ચરિત્ર! લગભગ દરેક બાળક માટે તે જ તેનો આદર્શ હોય છે. જોકે આજકાલ હવે સેલિબ્રિટીઓ આદર્શ બનતાં જાય છે, કે જેનું ચરિત્ર આપણે ફક્ત ઉપરછલ્લું જ જાણીએ છીએ. પિતા, પપ્પા, કે ડેડીને આદર્શ બનાવવાનાં ઘણાં ફાયદા છે, કારણ કે તેનાં જીવનની કિતાબનાં બધાં પાનાં આપણી સમક્ષ ખુલ્લાં હોય છે, અને ત્યાં જરા પણ દંભ કે અભિનય હોતો નથી. કોઈ પિતાને પોતાનાં બાળકને વ્હાલ કરવા માટે અભિનય કરવો પડતો નથી, એ અંદરથી ઉદ્ભવતી લાગણી છે, અને એટલે તો એ અંતિમ ક્ષણ સુધી તેનું હિત ઈચ્છી, એ માટે શિખામણ દેતાં હોય છે. પપ્પા પિતા કે ડેડી એ રિયલ હીરો છે, અને એનાં યોગ્ય સંચાલનને કારણે જ પરિવારનાં દરેક સભ્યની જરૂરિયાત પૂરી થાય છે. આજે તો હવે યુગ બદલાઇ ગયો છે, અને પુરુષની સાથે સાથે સ્ત્રી પણ કમાવા લાગી છે, અને એ રીતે ઘરમાં રૂપિયા પૈસા ક્યાં વાપરવા એ માટે બંને જણા નિર્ણય કરતા હોય છે. પરંતુ પચાસ કે સાઈઠ વર્ષ પહેલાંનો યુગ જુદો હતો, અને એમાં લગભગ દરેક ઘરમાં એક જ વ્યક્તિ કમાવા માટે જતાં હતાં, અને તે પિતા. જે કંઈ કમાણી થાય, તેમાંથી સૌથી ઓછો હિસ્સો પોતાને માટે રાખે, અને અન્ય માટે વાપરે, અને છતાં એક પણ ફરિયાદ ન કરે, એ છે પિતા. આપણી સંસ્કૃતિમાં તો માતા પિતાને દેવનું સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ માતા પોતાની લાગણી વ્યક્ત કરી શકતી હોવાથી, તેનો બાળક સાથે વધુ ગાઢ નાતો સ્વીકારાયો છે. જ્યારે પિતા પુરુષ હોવાથી પ્રમાણમાં પોતાની લાગણી ઓછી વ્યક્તિ કરી શકે છે, અને એ માટે એ પાત્રને થોડો અન્યાય પણ થયો હોય એવું ક્યાંક લાગે. પરંતુ ઘરની મુખ્ય સ્ત્રી એટલે કે માતા એ પોતાના બાળકને એના પિતાનું માન સન્માન કરવું, તેમજ તેની લાગણીઓ પ્રત્યે સજાગ કરવા, અને એની મહત્તા દર્શાવવી જોઈએ. બાળકનાં જન્મથી તેની જરૂરિયાતોનું વગર માંગે ધ્યાન રાખીને ઉંમરના દરેક તબક્કે તેને જોઈતા સાધનો પૂરા પાડનાર ઉત્તમ ચરિત્ર એટલે પિતા! પછી તે શિક્ષણનું ક્ષેત્ર હોય, શોખનું ક્ષેત્ર હોય, બાળકની તમામ મનોકામના પૂરી કરવી એ જ જીવનનું લક્ષ્ય હોય. પરંતુ આજકાલ માતાપિતા બન્ને પોતાના બાળકના સુખ સગવડ પર એટલો બધો ભાર મૂકે છે, કે જેને કારણે બાળક ઘણું બધું શીખવાનું ચૂકી જતો હોય છે. તો શિસ્ત અને સંયમ શીખવે એ પિતા.
આજે પણ હ્રદયની એકદમ નજીક, એવું ચરિત્ર મારાં પપ્પા !,એનો સદાય ગર્વ છે. મારાથી સો ગણાં વધુ વિનમ્ર અને સદ્ આચરણ ધરાવનાર.હું ગુજરાતીમાં જેટલું આલંકારિક લખું છું, એનાથી પણ સુંદર ઈંગ્લીશમાં લખનારા હતાં, કારણકે અંગ્રેજોના સમયમાં તેમનો જન્મ હતો. આઝાદીની ચળવળ આંખે જોઈ હતી,અને એ માટેના આંદોલનની સભા સરઘસનો હિસ્સો પણ બન્યા હતાં. સગાં સંબંધી અમારા હુન્નર જોઈ એમ કહે, મોરનાં ઈંડા ચીતરવાના ન હોય!. સૌ કોઈ માટે એટલી જ કરુણા,અને કાયમ હાથ દેવા માટે જ લંબાયેલો એ વાતે ખરેખર પ્રાઉડ અનુભવ્યું. અમારી માટે પપ્પા જેવું બનવું એ જ કાયમ જીવન લક્ષ્ય , અને છતાંય એ તત્વ હજુ ક્ષિતિજે. સદા આસપાસ ભમતું ઈશ્વર તત્વ, આજે પણ ખાલીપાને ભરનારુ તત્વ. સમયે એમની નજાણે કંઈ કેટલીય પરીક્ષા લીધી પણ હંમેશા પ્રથમ ગુણાંક એ ઉતીર્ણ થનારાં.
પપ્પા મારા હ્રદય આકાશમાં ચમકતો અમર સિતારો, અને દૂર દૂર સુધી દિવ્ય પ્રકાશથી રાહ ચીંધનારા. શું કહું સકલ અસ્તિત્વનો આધાર, અને એ આધાર પર જન્મો કુરબાન કરવાની સદા તીવ્ર ઝંખના, પણ એ કંઈ પણ સેવા લીધાં વગર સ્વાભિમાનથી ચાલ્યા ગયા.બસ આવી જ હોય છે એ સમયના પિતા કે પપ્પા ની કહાની, એટલે તો કહેવાય છે કે માતા પિતા બન્યા વગર એમની ઉત્કૃષ્ટ ભાવના સમજાતી નથી. પપ્પા તમને અને ઈશ્વર બંને માંથી પસંદ કરવાના હોય તો હું તમને જ કરું, તમે જ અમારા દેહને ટટ્ટાર રાખો છો, અરે એમ કહો કે જીવન સ્તંભ છો! ડર કે ભય નામના શબ્દ ને પણ કોસો દૂર રાખનાર અને છતાં આવી પડેલી પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેતા શીખવે,અને સત્યનાં આચરણથી નીડરતા આવે છે, માટે એવું જ આચરણ કરવું જે ડરપોક બનાવે નહીં! વીતેલા વર્ષો યાદ કરું તો અછતમાં છત કરનારા અને કેટકેટલા લાડ બાપરે!! આજે તો એ બધું યાદ આવે છે, અને પેલું ફ્રોક લેવાની જીદ કરી હતી, પણ હવે મેં જીદ કરવાનું છોડી દીધું, કારણ તમે નથી… પપ્પા વિશે કેટલું લખું! સૌ સાથે મૌલિક રહેવું, સૌનો આદર કરવો, જ્ઞાતિ ભેદ મનમાં પણ ન લાવવો,અને એટલું ધન નહોતું છતાં કોઈની મદદ ન થાય તો એ ધન નકામું છે, આંસુ એ ગમે ત્યારે વેડફાય નહિ,એ નબળાઈ નથી, આપણી તાકાત છે, અને ઈશ્વર પાસે પણ માંગવાનો ઈરાદો લઈને ક્યારેય જવું નહીં, મને મારી હેસિયત કરતાં પણ ઘણું આપ્યું, બસ મીઠું રોટલી આપતો રહેજે! એ પરમ સંતોષની શીખ.
દરેકે દરેક સંતાન એ પોતાનાં માતાપિતાને મહત્વ આપવું જોઈએ, અને પોતાનાં ઉછેર માટે તેમણે કરેલાં ત્યાગ બલિદાનની મહત્તા સમજી, તેને કાયમ વંદન કરવાં જોઈએ. છતાં સમયનો અભાવ હોય, સાથે રહેતાં હોઈએ નહીં, કે પછી અન્ય કોઈ કારણ હોય, તો આ રીતે તેમનાં જીવનને સ્પેશિયલ બનાવવાનો મોકો વારંવાર મળશે નહીં, એ યાદ રાખી આજે એમનું જીવન વ્યર્થ નથી ગયું, તેઓ પણ કોઈની માટે ખાસ છે! આદર્શ છે! તેવું જતાવી આજે તેમને એક અનોખી ભેટ આપવી. મારે તો આ રીતે, એમને આજે યાદ કરી, અને આત્મસાત કરેલા તેમનાં ગુણો, તથા સંસ્કારોનું વહન કરી, તેમને શ્રદ્ધાંજલિ આપવાની છે! ભલે એ જીવતાં આવી એક પણ તક જવા નથી દીધી એનો સંતોષ છે. પણ પિતા જેવું ઉચ્ચ ચરિત્ર બનાવવાનો કાયમ પ્રયત્ન થવો જરૂરી છે, અને એની મુક સંવેદના આજીવન જીવંત રાખવાનો સંકલ્પ પૂરો કરી શકીએ તોય ઘણું. પિતૃદેવો ભવ:.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

