હું હંમેશા એ દિવસનું સપનું જોતી હતી જ્યારે ફિલ્મમેકર્સ મારી ઉપર વિશ્વાસ રાખશે અને મારા માટે ખાસ રોલ લખશે
Mumbai,, તા.૧૫
મૃણાલ ઠાકુર હાલમાં તેમની નવી રિલીઝ થયેલી ફિલ્મ ‘ડકેતૈ’ માટે મળી રહેલી પ્રશંસાની મજા લઈ રહી છે. હૈદરાબાદમાં યોજાયેલી એક ઇવેન્ટ દરમિયાન મૃણાલે તેની કારકિર્દીની સફરને યાદ કરીને ફિલ્મમેકર્સનો આભાર વ્યક્ત કર્યો કે જેમણે તેમની અભિનય ક્ષમતા પર વિશ્વાસ રાખ્યો અને તેમને યોગ્ય રોલ આપ્યા. મૃણાલે પોતાની સંઘર્ષભરી સફરને યાદ કરતાં કહ્યું, “મારા ગયા જન્મના કર્મ છે કે મને આટલો પ્રેમ મળે છે અને આટલા વખાણ થાય છે.”મૃણાલે આગળ કહ્યું, “હું ખરેખર ખૂબ જ ભાવવિભોર થઈ ગઈ છું. આ બધાં વર્ષોમાં જે સંઘર્ષ અને રિજેક્શન મળ્યા, તે બધું આ દિવસ માટે જ હતું અને હવે મને લાગે છે કે એ બધું સંપૂર્ણપણે યોગ્ય હતું.”મૃણાલે ખાસ નોંધ્યું કે ‘ડકેતૈ’ની સફળતા પાછળ અનેક વિભાગોની મહેનત છે. “લેખકો, દિગ્દર્શક, સિનેમેટોગ્રાફર, એડિટર, સાઉન્ડ, મ્યુઝિક વગર આ ફિલ્મ અધૂરી છે. જો આમાંથી એક પણ બાબત હટાવી દો, તો ફિલ્મનું અસરકારક પરિણામ ન આવ્યું હોત. મને લાગે છે કે અમારી પાસે એક અદ્ભુત ટીમ છે અને અમે સાથે મળીને સુંદર યાદો બનાવી છે. હું આપ સૌ પ્રતિભાશાળી લોકોનો આભાર માનું છું કે તમે મારી ઉપર વિશ્વાસ રાખ્યો.”મૃણાલે આગળ કહ્યું, “હું હંમેશા એ દિવસનું સપનું જોતી હતી જ્યારે ફિલ્મમેકર્સ મારી ઉપર વિશ્વાસ રાખશે અને મારા માટે ખાસ રોલ લખશે. આજે જ્યારે મને કેમેરા સામે પર્ફોર્મ કરવાની તક મળે છે અને કંઈક ખાસ સર્જવાની તક મળે છે, ત્યારે મને લાગે છે કે આ જ સ્થિતિ મેં સ્વપ્નમાં જોઈ હતી અને મારા બધા સપનાં હવે સાચાં થઈ રહ્યાં છે.”‘ડકેતૈ’ એક એક્શન રોમેન્ટિક ડ્રામા છે, જે સુપ્રિયા યાર્લગડ્ડા દ્વારા અન્નપૂર્ણા સ્ટુડિયોઝ હેઠળ પ્રોડ્યૂસ કરવામાં આવી છે. ફિલ્મમાં અદિવી શેષ, મૃણાલ ઠાકુર અને અનુરાગ કશ્યપ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે પ્રકાશ રાજ, સુનીલ, ઝૈન મેરી ખાન અને અતુલ કુલકર્ણી સહાયક ભૂમિકાઓમાં જોવા મળે છે.

