Ahmedabad,તા.16
ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે સરકારી કર્મચારીઓને કટોકટીની સ્થિતિમાં મળેલી તબીબી સારવારના વળતરનો લાભ માત્ર ટેકનિકલ કારણોસર નકારી શકાય નહીં.
ચીફ પોસ્ટમાસ્ટર જનરલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે જીવનું જોખમ હોય ત્યારે સારવાર ક્યાં લેવામાં આવી તેના કરતા સારવાર લેવામાં આવી છે તે તથ્ય વધુ મહત્વનું છે.
આ કેસની વિગતો મુજબ, પોસ્ટ વિભાગના કર્મચારી ગણેશભાઈ ગોમનભાઈ રાઠોડને અચાનક છાતીમાં સખત દુખાવો ઉપડતા તેમના પરિવારે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. દર્દીની ગંભીર હાલતને જોતા તબીબોની સલાહ મુજબ તેમને તાત્કાલિક વધુ સારી સારવાર માટે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ સારવાર બાદ જ્યારે કર્મચારીએ મેડિકલ રિઇમ્બર્સમેન્ટ માટે અરજી કરી, ત્યારે પોસ્ટ વિભાગે તે ફગાવી દીધી હતી. વિભાગની દલીલ હતી કે આ સારવાર સરકાર દ્વારા માન્ય હોસ્પિટલના બદલે ખાનગી હોસ્પિટલમાં લેવામાં આવી હતી.
સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT) એ આ અગાઉ કર્મચારીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ એન. એસ. સંજય ગૌડા અને જસ્ટિસ જે. એલ. ઓડેદરાની ડિવિઝન બેન્ચે આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ‘શિવકાંત ઝા વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા’ના ઐતિહાસિક ચુકાદાનો હવાલો આપ્યો હતો.
અદાલતે અવલોકન કર્યું કે કટોકટીના સમયે દર્દી કે તેના સંબંધીઓ પાસે સરકારી નિયમો જોવાનો સમય હોતો નથી; તેમનું પ્રાથમિક લક્ષ્ય જીવન બચાવવાનું હોય છે. નિષ્ણાત તબીબોની સલાહ મુજબ લેવાયેલી સારવારને માત્ર એટલા માટે નકારી ન શકાય કે હોસ્પિટલનું નામ સરકારી યાદીમાં નથી.
કોર્ટે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે આ ચુકાદાથી સરકારને કોઈ આર્થિક નુકસાન થતું નથી, કારણ કે વળતરની રકમ ખાનગી હોસ્પિટલના વાસ્તવિક બિલ મુજબ નહીં, પરંતુ સરકારના 2010ના ઓફિસ મેમોરેન્ડમ (OM) માં નિર્ધારિત દર મુજબ જ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ ચુકાદો રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ માટે મોટી રાહત સમાન છે, જે સુરક્ષિત કરે છે કે કટોકટીના સમયે લીધેલી યોગ્ય સારવારના વળતર માટે તેમને વહીવટી અવરોધોનો સામનો કરવો પડશે નહીં.

