Jamnagar તા.21
જામનગરમાં પાંચ દિવસ અગાઉ નવીવાસ મસ્જિદ પાસે 20 રૂપિયા જેવી મામૂલી રકમની બળજબરીથી ઉઘરાણી કરી આરોપીએ ફ્રૂટની રેંકડી ચલાવતા વૃદ્ધ ઉપર છરીના ઘા ઝીંક્યા હતા.
આ દરમિયાન ઘાયલ વૃદ્ધને તત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતાં જો કે ટૂંકી સારવાર કારગત ન નીવડતા વૃદ્ધે હોસ્પિટલ બીછાને આખરી શ્વાસ લીધા હતાં જેથી બનાવ હત્યામાં પલટાયો છે. બીજી બાજુ આરોપી જેલ હવાલે છે. જેથી આ પ્રકરણમાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
જામનગર શહેરમાં ફુટની રેકડી રાખી વેપાર કરતાં રમેશભાઈ નારણભાઈ દતાણી (ઉ.વ.65 રહે. નવીવાસ મસ્જીદ પાસે, મુળ પોરબંદર) તા 15 એપ્રિલના રોજ નવીવાસ મસ્જીદ પાસે બાકડા ઉપર સુતા હતા.
ત્યારે વહેલી સવારના ચાર વાગ્યે આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે ભોપો યુનુશભાઈ ગામેતી (રહે. નવીવાસ ખાદી ભંડાર સામે) ત્યાં ઘસી આવી બળજબરીથી 20 રૂપીયાની માંગણી કરી હતી.
રમેશભાઈએ પૈસા આપવાની ના પાડતા આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે ભોપોએ ઉશ્કેરાય છરી વડે હુમલો કર્યો હતો. બાદમાં વૃદ્ધને જી.જી. હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
આ દરમિયાન વૃદ્ધના ભત્રીજા એવા પોરબંદર રહેતા યુવાનની ફરિયાદના આધારે પોલીસે જે તે વખતે આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે ભોપો યુનુશભાઈ ગામેતી (રહે. નવીવાસ ખાદી ભંડાર સામે) હત્યાના પ્રયાસ સહિતની કલમોનો ઉમેરો કર્યો હતો. જો કે, સારવાર દરમિયાન વૃદ્ધે હોસ્પિટલ બીછાને આખરી શ્વાસ લેતા બનાવ હત્યામાં પલટાયો હોવાથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો છે.

