Jamnagar તા.૧૩
ધ્રોલની ભાગોળે ખારવા રોડ પર આવેલી ગણેશ સ્કૂલમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય વિદ્યાર્થીની પ્રજ્ઞા બાબુભાઈ પરમારના ગળેફાંસાથી થયેલા મૃત્યુના બનાવમાં પ્રાથમિક તપાસ દરમિયાન પ્રેમપ્રકરણનો એંગલ સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે પોલીસે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી અને તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે.સૂત્રોના જણાવ્યા મુજબ અરવલ્લી જિલ્લાના ધાનપુર તાલુકાના કાકડખીલા ગામની રહેવાસી પ્રજ્ઞાને તેના વતનના મિલન નામના યુવાન સાથે પ્રેમસંબંધ હતો. વેકેશન દરમિયાન તે પોતાના પ્રેમી સાથે થોડા દિવસ માટે ચાલી ગઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
મળતી વિગતો અનુસાર ૨૭ મેના રોજ વેકેશન પૂર્ણ થયા બાદ પ્રજ્ઞા પોતાની બે સહપાઠી યુવતીઓ સાથે બસમાં ધ્રોલ પરત ફરી રહી હતી. દરમિયાન તે રસ્તામાં જ રોકાઈ ગઈ હતી અને પોતાની સહપાઠીઓને ધ્રોલ મોકલી આપી હતી. ત્યારબાદ તે પોતાના પ્રેમી સાથે ચાલી ગઈ હોવાનું સામે આવ્યું છે.આ ઘટનાના અનુસંધાને તેના પિતાએ ૩૦ મેના રોજ પોતાના વતનમાં પુત્રી ગુમ થઈ હોવાની નોંધ કરાવી હતી. બાદમાં ૯ જૂને પ્રજ્ઞા પોતાના ઘરે પરત ફરી હતી. પરિવાર સાથે વાતચીત અને સમાધાન થયા બાદ ૧૦ જૂને તેના પિતા તેને ધ્રોલ ખાતે હોસ્ટેલમાં મૂકી ગયા હતા.
જોકે બીજા જ દિવસે, ૧૧ જૂને બપોરના સમયે પ્રજ્ઞાએ હોસ્ટેલના રૂમમાં ચુંદડી વડે પંખા સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વિદ્યાર્થીનીએ આ પગલું કયા સંજોગોમાં ભર્યું અને તેની પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા પરિવારજનો, સહપાઠીઓ તથા અન્ય સંબંધિત વ્યક્તિઓના નિવેદનોના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવામાં આવી રહી છે.

