Morbi , તા.22
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કારખાનામાં કોલસા મીલના મશીનના પટ્ટામાં સગીર ફસાઈ જતાં તેને ગંભીર ઇજા થઇ હતી. જોકે, સારવાર દરમિયાન સગીરનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક સગીરના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મશીનના ઓપરેટર સામે ફરિયાદ કરી છે.
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને ત્યાં બરવાણી કોતવાલી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રશાંત મિશ્રાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બ્રિજેન્દ્ર રાજાવત રહે. કજારીયા સલ્ફર ટાઇલ્સ ફેક્ટરી લખધીરપુર રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે ગત તા. 18/11/2025 ના રોજ વિશાલ, સુરેશ અને ફરિયાદીનો સગીર ભાઈ લખધીરપુર રોડ પર આવેલ કજારીયા સલ્ફર ટાઇલ્સ ફેક્ટરીમાં હતા.
ત્યારે કોલસા મિલમાં મશીનના ઓપરેટર આરોપી બ્રિજેન્દ્ર દ્વારા બેદરકારી રાખવામાં આવી હતી અને ફરિયાદીનો ભાઈ વિશ્વાસ (11) કોલસા મિલના પટ્ટામાં ફસાઈ ગયો હતો જેથી તેને ગંભીર ઈજા થઈ હતી માટે તેને સારવારમાં પ્રથમ મોરબી અને ત્યાંથી રાજકોટ અને ત્યાર બાદ તેના વતનમાં લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન સગીરનું મોત નીપજયું હતું.
હાલમાં ભોગ બનેલા સગીરના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મશીનના ઓપરેટર સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

