Jamnagar,તા.28
જામનગર જિલ્લાના લાલપુર વિસ્તારમાં સેલ્સમેન વચ્ચે ધંધાકીય અદાવતને પગલે મારામારીનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે લાલપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવ્યો છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ તા.ગત 21 ના રાત્રે આશરે નવ વાગ્યાના સમયે લાલપુર ગરબી ચોક ખાતે ફરિયાદી વિપુલકુમાર જુવાનસિંહ ચૌહાણ (ઉંમર 32 વર્ષ) ના નિવાસસ્થાને આરોપીઓ પહોંચી ગયા હતા. ફરિયાદી અને આરોપીઓ અલગ અલગ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા હોવાથી ધંધાકીય અદાવત રાખી આરોપીઓએ ઝગડો કર્યો હતો.
ફરિયાદ મુજબ આરોપી કરણભાઈ મોરીએ લાકડાના ધોકા વડે ફરિયાદીને જમણા હાથમાં ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ અન્ય આરોપીઓ ભરતભાઈ મોરી, વેલુભાઈ વાળા અને જસવંતભાઈ ખેરએ મળીને ફરિયાદીને ઢીકા-પાટુનો માર મારી શરીરના ભાગોમાં ઇજા પહોંચાડી હતી. સાથે જ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

