New Delhi,તા.28
ઈરાન યુદ્ધના કારણે દેશના અર્થતંત્રની સાથે વ્યાપાર-ધંધા સામે પણ હવે નવો પડકાર સર્જાયા છે તથા અનેક ક્ષેત્રોમાં એ.આઈ.ના કારણે નોકરીઓનું જોખમ પણ દેખાવા લાગ્યુ છે.
તેમાં હવે બેન્કોની પર્સનલ લોનથી લઈને વ્યાપાર-ધંધાના ધિરાણના રીપેમેન્ટની કટોકટી સર્જાઈ શકે છે તેની સામે તૈયાર રહેલા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ તમામ બેન્કોને સુચના આપી છે તથા સંભવિત ડિફોલ્ટ સામે પુરતુ ભંડોળ એક બાજુ રાખવા જણાવ્યું છે અને તે પણ ધિરાણ લેનાર ખરેખર હપ્તા કે રીપેમેન્ટ મીસ કરે તેની રાહ જોવાને બદલે બેન્કો તેના સંભવિત ડીફોલ્ટની ગણતરી કરીને તે રકમ રિઝર્વ ભંડોળ તરીકે અલગ રાખવા જણાવાયું છે.
આ નવી પદ્ધતિ તમામ બેન્કોએ અમલી બનાવવી ફરજીયાત છે. અત્યાર સુધી બેન્કો કોઈ ધિરાણ લેનાર ડીફોલ્ટ થાય પછી જ તેના સંદર્ભમાં જોગવાઈ કરતી હતી પણ નવી સીસ્ટમમાં હવે બેન્કોએ આગોતરી જોગવાઈ કરવી પડશે અને તેને સંભવિત ધિરાણ-નુકશાન તરીકે દર્શાવવાનું રહેશે.
રિઝર્વ બેન્કે આ માટે બેન્કોને એક સંતુલીત અભિગમ અપનાવવા પણ તાકીદ કરી છે. આ નવા નિયમનો અમલ પણ વ્યાપક બનાવ્યો છે. અત્યાર સુધી આ નિયમો મોટી કોમર્શિયલ બેન્કોને જ લાગુ થતા હતા. હવે નાની બેન્કો જેને સ્મોલ ફાયનાન્સ બેન્ક તરીકે દરજજો મળ્યો છે. તેને પણ લાગુ થશે. જો કે પેમેન્ટ બેન્ક કે સ્થાનિક- રીજયોનલ રૂરલ બેન્કોને હજુ બાકાત રખાઈ છે.
બેન્કોને તમામ ધિરાણો માટે એક સમાન માપદંડ લાગુ નહી કરવા પણ જેઓ જામીનગીરીમાં સોનુ, બેન્ક, થાપણો કે સરકારી સિકયોરિટી હોય તેને અલગથી ટ્રીટ કરવા તાકીદ કરી છે. આ પ્રકારની લોનમાં પણ જામીનગીરી કરતા ધિરાણનું પ્રમાણ ઉંચુ જતુ હોય તો તેને ખાસ ટ્રીટ કરવા સૂચના આપી છે.
બેન્કો આ નવી સીસ્ટમ 1 એપ્રિલ 2027થી લાગુ થશે અને હાલ તે માર્ચ 2030 સુધી અમલી બનશે તથા નિયમો લાગુ કરતા પુર્વ બેન્કોને તેના તમામ ધિરાણનું રી-એસેસ પુનઃ મુલ્યાંકન કરવા પણ જણાવાયું છે અને પછી તેના અમલ કરવાનો રહેશે.
બેન્કીંગ સૂત્રોના જણાવ્યા મુજબ આ નવા માપદંડથી બેન્કોના નફા પર એક સાથે 5-10%ની અસર થશે પણ લાંબાગાળે બેન્કોનું એનપીએ પ્રોવિઝન સમતોલ થશે. આ ઉપરાંત જે ધિરાણ લેનાર ડિફોલ્ટ થયા બાદ જો ફરી રેગ્યુલર થઈ જાય તો તે ખાતાને નિયમિત તરીકેના વર્ગમાં મુકવા સુચના આપી છે જે સ્ટાન્ડર્ડ કેટેગરી ગણાય છે.

