કોર્ટે આસામ પોલીસની કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન (હિરાસતમાં પૂછપરછ) કરવાની માંગને પણ ફગાવી દીધી છે
New Delhi,તા.૧
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી છે. આસામ પોલીસ દ્વારા નોંધાયેલા છેતરપિંડી અને માનહાનિના કેસમાં સર્વોચ્ચ અદાલતે તેમને આગોતરા જામીન મંજૂર કર્યા છે. જસ્ટિસ જે.કે. માહેશ્વરી અને જસ્ટિસ એ.એસ. ચંદુરકરની પીઠે ગુવાહાટી હાઈકોર્ટના અગાઉના આદેશને રદ કરતા આ નિર્ણય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, આ કેસની પરિસ્થિતિઓ ’રાજકીય પ્રતિસ્પર્ધા’ તરફ ઈશારો કરે છે, તેથી પવન ખેડાની વ્યક્તિગત સ્વતંત્રતાની રક્ષા થવી જોઈએ. કોર્ટે આસામ પોલીસની કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન (હિરાસતમાં પૂછપરછ) કરવાની માંગને પણ ફગાવી દીધી છે.પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે આસામના મુખ્યમંત્રી હિમંત વિશ્વ શર્માની પત્ની રિનિકી ભુઈયા પાસે અનેક વિદેશી પાસપોર્ટ છે અને વિદેશમાં અઘોષિત સંપત્તિ છે.પોલીસ કાર્યવાહીઃ આ નિવેદન બાદ તેમની સામે માનહાનિ, છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધાયો હતો. આસામ સરકારનો આરોપ છે કે ખેડાએ પાસપોર્ટની નકલી અને છેડછાડ કરેલી નકલો રજૂ કરી હતી.
ઘટનાક્રમની ટાઈમલાઈન :
૭ એપ્રિલઃ આસામ પોલીસની ટીમ દિલ્હી સ્થિત ખેડાના નિવાસે પહોંચી, પણ તેઓ મળ્યા નહીં.
૧૦ એપ્રિલઃ તેલંગાણા હાઈકોર્ટે ખેડાને એક સપ્તાહ માટે ટ્રાન્ઝિટ આગોતરા જામીન આપ્યા.
૧૫ એપ્રિલઃ સુપ્રીમ કોર્ટે તેલંગાણા હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી.
૨૪ એપ્રિલઃ ગુવાહાટી હાઈકોર્ટે ખેડાની આગોતરા જામીન અરજી ફગાવી અને કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનને જરૂરી ગણાવી.
૧ મેઃ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો નિર્ણય પલટી નાખ્યો અને પવન ખેડાને આગોતરા જામીન મંજૂર કર્યા.
કોર્ટમાં પક્ષકારોની દલીલોઃ
અભિષેક મનુ સિંઘવી (ખેડાના વકીલ)ઃ તેમણે આ કેસને ’રાજકીય વેર’ ગણાવતા કહ્યું કે મુખ્યમંત્રી ખેડાને જેલમાં મોકલવાની ધમકી આપી રહ્યા છે. તેમણે દલીલ કરી કે પવન ખેડા કોઈ આતંકવાદી નથી કે તેમની ધરપકડ માટે ૫૦-૬૦ પોલીસ કર્મચારીઓ આવે.
તુષાર મહેતા (આસામ સરકારના વકીલ)ઃ તેમણે દલીલ કરી હતી કે ખેડાએ મુખ્યમંત્રીની પત્નીના નકલી દસ્તાવેજો બનાવ્યા છે. આ પાછળ કયા વિદેશી તત્વોનો હાથ છે તે જાણવા માટે હિરાસતમાં પૂછપરછ જરૂરી છે.
જામીન માટેની શરતો
સુપ્રીમ કોર્ટે પવન ખેડાને જામીન આપવાની સાથે કેટલીક શરતો પણ મૂકી છેઃ
તપાસમાં સહયોગઃ પવન ખેડાએ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવો પડશે અને જ્યારે પણ પોલીસ બોલાવે ત્યારે હાજર થવું પડશે.
પુરાવા સાથે છેડછાડ નહીંઃ તપાસ કે સુનાવણી દરમિયાન તેઓ કોઈ પુરાવા સાથે છેડછાડ કરી શકશે નહીં કે સાક્ષીઓને પ્રભાવિત કરી શકશે નહીં.
વિદેશ પ્રવાસ પર પ્રતિબંધઃ કોર્ટની પરવાનગી વગર તેઓ ભારત છોડી શકશે નહીં.
વધારાની શરતોઃ જો ટ્રાયલ કોર્ટને યોગ્ય લાગે, તો તે પોતાની રીતે અન્ય વધારાની શરતો પણ લાદી શકે છે.

