(નયના દવે દ્વારા) Jamnagar તા.૯
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામની આઈસ ફેક્ટરીમાં સાત વર્ષ પૂર્વે રૂ.૧૯. લાખ ૨૪ હજાર ની પાવર ચોરી ઝડપાઈ હતી .જે અંગે ની ફરિયાદના આધારે નો કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે આઈસ ફેક્ટરીના સંચાલકને ત્રણ ગણી રકમનો દંડ ફટકાર્યો છે અને જો આ રકમ ૩૦ દિવસમાં ભરપાઈ ન કરે તો એક વર્ષ ની જેલ સજા નો પણ આદેશ કર્યો છે.
આ કેસ ની હકીકત એવા પ્રકારની છે કે ગત તા. ૦૪/૦૪/૨૦૧૯ ના રોજ વીજ કંપની ના ચેકીંગ અધિકારી કે.જી. પટેલ અને તેના સ્ટાફ ધ્વારા સીકકા સબ ડીવીઝન હેઠળ આવતાં પડાણા ગામમાં આઈસ ફેકટરીમાં હિરાભાઈ માધાભાઈ મકવાણા ની હાજરીમાં વીજ કનેકશન ચેક કરતાં તેઓ ધ્વારા ડાયરેકટ બીનઅધિકૃત રીતે પાવરચોરી કરતાં હોવા નું જણાઈ આવ્યું હતું.જેથી ચેકીંગ અધિકારી ધ્વારા તપાસણી અહેવાલ તૈયાર કરવામાં આવેલ અને ત્યાર પછી વીજ મીટર રાજકોટ પીજીવીસીએલ. માં ચેક કરવા માટે મોકલતા મીટર ની સીટી કોયલ ઓપન કરીને જોતા તે કપાયેલ હાલતમાં હોય અને ખરેખરનો વપરાશ મીટર માં ઓછો નોંધાતો હોય,. તે રીતે પાવરચોરી પકડાયેલ .આથી ફરીયાદી ચીમનલાલ વિરજીભાઈ ભલાણી કે જેઓ સીકકા સબ ડીવીઝનમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા તેઓ એ આરોપી હિરાભાઈ માધાભાઈ મકવાણા વિરૂધ્ધ જીયુવિએનએલ પો. સ્ટે. માં રૂા. ૧૯,૨૪,૯૪૪.૫૦ ની વિજચોરી અંગે ઈન્ડીયન ઈલેક્ટ્રીસીટી એકટની કલમ – ૧૩૫ મુજબની ફરીયાદ દાખલ કરવી હતી.
આ પછી સ્પે. કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવતા સરકાર ધ્વારા કુલ – ૧૦ સાક્ષી અને ૪૪ – દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલ હતા અને સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર હાજર થઈ એવી દલીલ કરેલ કે આરોપી ની હાજરીમાં વીજ ચેકીંગ કરવામાં આવેલ છે., અને હાલ ગુજરાતમાં પાવરચોરીના કેસ વધતા જાય છે જેથી આવા કેસો અટકે માટે આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી જોઈએ એવી ભારપૂર્વક દલીલ કરતાં સરકારી વકીલ રાજેશ કે. વસીયર ની દલીલો ધ્યાને લઈ સ્પે. જજ વી.પી. અગ્રવાલ ધ્વારા આરોપી હીરાભાઈ માધાભાઈ મકવાણા ને રૂા. ૫૭,૭૪,૮૩૨ એટલે કે પાવરચોરી ની રકમ કરતા ત્રણ ગણો દંડ ફટકારેલ છે. અને જો આરોપી ધ્વારા ૩૦ દિવસ માં દંડની રકમ જમા ન કરાવાસમાં આવે તો તેને એક વર્ષની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર ઉપસ્થિત રહયાં હતાં.

