New Delhi,તા,18
દેશની શિક્ષણ વ્યવસ્થા અને નીટ પેપર લીકને લઈને રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીનો આરોપ છે કે સરકારના નિર્ણયોએ દેશના કરોડો યુવાનો અને બાળકોના ભવિષ્યને ઊંડી અનિશ્ચિતતામાં ધકેલી દીધું છે. તેમણે શિક્ષણ મંત્રાલયને ‘આપત્તિઓનો વિભાગ’ ગણાવ્યો છે.
રાહુલ ગાંધીએ ત્રણ અલગ-અલગ વયજૂથના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા ગંભીર મુદ્દાઓ વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે, આ ભૂલો માટે જવાબદાર લોકો પર અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.
નીટ પરીક્ષાનું સંકટ : રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, નીટ-યુજી પરીક્ષામાં થયેલા પેપર લીકે દેશના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડ્યું છે. આ મોટી ગેરરીતિ બાદ પરીક્ષા રદ થવાના કારણે વિદ્યાર્થીઓ સામે ભવિષ્યનું સંકટ ઊભું થયું છે.
સીબીએસઈ ધોરણ-12નું માર્કિંગ : તેમણે આરોપ લગાવ્યો કે, સીબીએસઈ ધોરણ-12ની ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ સંપૂર્ણપણે ખામીયુક્ત રહી છે. આના કારણે ઘણા હોનહાર વિદ્યાર્થીઓને અપેક્ષા કરતાં ખૂબ ઓછા માર્ક્સ મળ્યા છે અને તેઓ કોલેજમાં એડમિશન મેળવવાની પાત્રતા ગુમાવી ચૂક્યા છે.
ધોરણ-9 પર નવો નિયમ : રાહુલ ગાંધીએ ધોરણ-9ના લાખો વિદ્યાર્થીઓ પર અચાનક લાગુ કરવામાં આવેલી ત્રિ-ભાષા ફોર્મ્યુલાની પણ ટીકા કરી છે. તેમણે દાવો કર્યો કે, પૂરતા શિક્ષકો અને નવા પુસ્તકો વગર 1 જુલાઈથી આ નિયમ થોપી દેવામાં આવ્યો છે. 14 વર્ષના બાળકોને વિકલ્પ તરીકે ધોરણ-6ના પુસ્તકો આપવામાં આવી રહ્યા છે, જેને તેમણે અત્યંત નબળી વહીવટી વ્યવસ્થા ગણાવી છે.રાહુલ ગાંધીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ દરેક વયજૂથના વિદ્યાર્થીઓને સંભાળવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર #SackPradhan અભિયાનનું સમર્થન કરીને સરકારની જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. આ સાથે જ તેમણે પીએમ મોદીને સીધો સવાલ કર્યો કે, શું તેઓ આ વહીવટી નિષ્ફળતા માટે દેશના લાખો પ્રભાવિત બાળકોની માફી માંગશે?

