New Delhi, તા.26
દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મું પગાર પંચ હાલમાં સૌથી ચર્ચિત વિષય છે. જેમ જેમ કમિશનની પ્રક્રિયા આગળ વધી રહી છે, તેમ તેમ કર્મચારી સંગઠનોની આશાઓ અને સરકારની નાણાકીય મર્યાદાઓ વચ્ચેનો સંઘર્ષ સપાટી પર આવી રહ્યો છે.
આ કડીમાં, આગામી 22 અને 23 જૂનના રોજ લખનૌ ખાતે એક અત્યંત મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે, જ્યાં પગાર પંચના સભ્યો ઉત્તર પ્રદેશના વિવિધ સરકારી સંગઠનો અને કર્મચારી યુનિયનો સાથે સીધો સંવાદ કરશે.
જોકે, આ દરમિયાન એવા સંકેતો મળી રહ્યા છે કે સરકાર કર્મચારીઓની કેટલીક મુખ્ય માંગણીઓ પર ‘કાતર’ ફેરવી શકે છે. લખનૌમાં યોજાનારી બે દિવસીય બેઠક 8મા પગાર પંચની કાર્યવાહીમાં એક મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે.
આ બેઠકમાં રેલવે, ટપાલ વિભાગ અને અન્ય કેન્દ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ કમિશન સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરશે. યુનિયનોની કોશિશ રહેશે કે તેઓ સરકારને પગારમાં મોટા ઉછાળા માટે રાજી કરે, પરંતુ અહેવાલ મુજબ વરિષ્ઠ યુનિયન નેતાઓ ખાનગીમાં સ્વીકારી રહ્યા છે કે પ્રવર્તમાન નાણાકીય દબાણને જોતા સરકાર બધી માંગણીઓ સ્વીકારે તેવી શક્યતા ઓછી છે.

