યશપાલસિંહ ટી વાઘેલા
માનવજીવનની સૌથી મોટી વિડંબના એ છે કે આપણને બીજાનાં દોષ તરત દેખાય છે, પણ પોતાની ભૂલ શોધવા માટે આખી જિંદગી ઓછી પડે છે. આંખ બહાર જુએ છે, અંદર નહીં. જે ક્ષણે મનુષ્યને પોતાની મર્યાદા, પોતાનો અહંકાર અને પોતાનો દોષ દેખાવા લાગે, તે જ ક્ષણે સમજવું કે ઈશ્વરની અહેતુકી કૃપા વરસી છે.એ દર્શન જ કૃપાનું પહેલું સ્પંદન છે.એ જ કૃપાના પ્રથમ સ્પંદનની કથા છે.
મહર્ષિ વ્યાસ જેમને સાક્ષાત્ નારાયણના અવતાર કહ્યા છે, જેમણે વેદોનું વિભાજન કર્યું, અઢાર પુરાણો રચ્યાં, મહાભારત જેવો ઇતિહાસગ્રંથ આપ્યો, છતાં એમનું હૃદય અશાંત હતું. કેમ?કારણ કે શાસ્ત્રનું જ્ઞાન,યોગ ની ચર્ચા,કર્મ અને ધર્મનું વિસ્તૃત નિરૂપણ કરવા છતાં,એ બધાનાં મૂળમાં જે શ્રીકૃષ્ણપ્રેમ છે તેની સરવાણી વહેતી નહોતી. બુદ્ધિ તૃપ્ત થઈ,હૃદય તરસ્યું રહ્યું.નારદજીના આગમનથી વ્યાસજીને સમજાયું કે કેવળ જ્ઞાન મસ્તકને ભારે કરે, પણ હૃદયને ભીંજવે નહીં. હૃદય ભીંજાય તો જ ભક્તિ પ્રગટે, અને ભક્તિ વિના જ્ઞાન પણ અહંકારનું કારણ બને છે. જ્ઞાન દીવો છે, પણ પ્રેમના તેલ વિના એ દીવો પ્રગટતો નથી.
*જ્ઞાન, ધન અને માન: સુપાત્રની કસોટી આપણી પરંપરા એક સનાતન સત્ય શીખવે છે: જ્ઞાન, ધન અને માન સુપાત્રને મળે તો સુખ આપે, અનાધિકારીને મળે તો વિનાશ નોતરે. અનાધિકારીનું જ્ઞાન બીજાનાં છિદ્ર શોધવામાં વપરાય.તેની દૃષ્ટિ દોષદૃષ્ટિ બની જાય છે.તે શાસ્ત્ર ભણીને વાદ કરે,જીતવા મથે, સાબિત કરવા મથે.જ્યારે સાધકની સાધના ગુણદૃષ્ટિ કેળવવાની છે. જગતમાં દૂધ અને પાણી ભેળાં છે. હંસ દૂધ ગ્રહણ કરે, પાણી ત્યજે. સાધક પણ ગુણ ગ્રહણ કરે,દોષ ત્યજે. બ્રહ્માની સૃષ્ટિ જ ગુણદોષથી ભરેલી છે.સંપૂર્ણ નિર્દોષ તો એક ઈશ્વર જ છે. તેથી ઋષિઓ કહે છે:કોઈનો દોષ જોશો નહીં,કોઈનું પાપ બોલશો નહીં.આ ઉપદેશ કળિયુગમાં સંતત્વની પહેલી સીડી છે. જે બીજાનો દોષ જુએ છે તે પોતાનો સમય બાળે છે. જે પોતાનો દોષ જુએ છે તે પોતાનો ઉદ્ધાર સાધે છે.
*સંત મળે તો દોષ દેખાય
વ્યાસજી જેવા જ્ઞાનીને પણ પોતાની ભૂલ ન દેખાઈ. તેમણે સંતની ઝંખના કરી.સંકલ્પમાત્ર થી પ્રભુએ નારદજીને મોકલ્યા. આ ઘટના સૂચવે છે કે સત્સંગ વિના આત્મનિરીક્ષણ અશક્ય છે. આયનામાં મોઢું જોઈએ તો જ ડાઘ દેખાય.સંત એ આપણા જીવનનો આયનો છે.સંત આપણી સામે ઊભા રહીને આપણું પ્રતિબિંબ બતાવે. એ પ્રતિબિંબ ક્યારેક કડવું લાગે, પણ હિતકારી હોય છે.
નારદજી વ્યાસજીને ખટકા વિના કહે છે: તમે બધું લખ્યું, પણ શ્રીકૃષ્ણની પ્રેમલક્ષણા લીલા ન લખી. તમે ધર્મનો વિસ્તાર કર્યો, કર્મની ગતિ સમજાવી, મોક્ષનો માર્ગ બતાવ્યો.પણ જેનાથી હૃદય પીગળે,આંખ ભીની થાય, જીવ કૃષ્ણનો બને,એ પ્રેમની કથા બાકી રહી ગઈ.કળિયુગના જીવો કર્મજડ કે શુષ્ક જ્ઞાનથી તરશે નહીં.એમને તો મધ્યમમાર્ગ જોઈએ:પ્રેમમાર્ગ.આ યુગમાં તપ નહીં થાય,યજ્ઞ નહીં થાય,કઠોર વૈરાગ્ય નહીં સધાય.અહીં તો નામ જ આધાર છે. અને નામમાં પ્રીતિ હોય તો જ નામ ફળે.
*કળિયુગનો એકમાત્ર ઉપાય: શ્રીકૃષ્ણપ્રેમ નારદજીનો સંદેશ સ્પષ્ટ છે:કર્મ,યોગ,જ્ઞાન બધું જ શ્રીકૃષ્ણપ્રેમ વિના વ્યર્થ છે. પ્રભુને ધન નથી જોઈતું, પાંડિત્ય નથી જોઈતું,એ તો માત્ર નિષ્કપટ પ્રેમ માગે છે.જેમ આપણે તિજોરીનું રહસ્ય પ્રિય જન આગળ જ ખોલીએ, તેમ પ્રભુ પણ પોતાનું સ્વરૂપપ્રેમી ભક્ત આગળ જ પ્રગટ કરે છે. પ્રેમ એ ચાવી છે.એ ચાવી વિના હૃદયનું દ્વાર ઊઘડતું નથી.
આજે વિચિત્ર દશા છે.બૂટ મોજાં સાથે, પૈસા સાથે,પદ સાથે પ્રેમ કરનારો માણસ પોતાને જ્ઞાની માને છે.પુસ્તક વાંચીને લોકો બ્રહ્મજ્ઞાની થઈ જાય છે, પણ ગુરુસેવા કે બ્રહ્મચર્ય વિના એ જ્ઞાન પાંખું છે.એ જ્ઞાન ચોપડી પૂરતું રહે. આચરણમાં ઊતરે નહીં.શબ્દો મોઢે ચડે, પણ હૃદય અડે નહીં.તેથી જ નારદજી ચેતવે છે:વાતો બ્રહ્મ જ્ઞાનની અને પ્રેમ પૈસા સાથે? તો પરમાત્મા ન મળે.
*ભાગવતના પ્રાગટ્યનું બીજ
આ સંવાદ એ શ્રીમદ્ ભાગવત મહાપુરાણના સર્જનની પૂર્વ ભૂમિકા છે.વ્યાસજીની અશાંતિ દૂર કરવા નારદજીએ કહ્યું:એવી કથા લખો કે સાંભળનારને કનૈયો વહાલો લાગે,સંસાર પરથી સુગ ઊઠી જાય.બસ, અહીંથી જન્મ થયો પ્રેમશાસ્ત્રનો ભાગવતનો.જેમાં કર્મકાંડનું વિવરણ નથી,શુષ્ક જ્ઞાનનું પ્રતિપાદન નથી,માત્ર કૃષ્ણની લીલાનું ગાન છે. ગોપીનો પ્રેમ છે,યશોદાની મમતા છે,અર્જુનની શરણાગતિ છે.
કળિયુગમાં નામસંકીર્તન અને કથાશ્રવણ જ ઉદ્ધારનો સેતુ છે. ભાગવત કહે છે: કલૌ નાસ્ત્યેવ નાસ્ત્યેવ નાસ્ત્યેવ ગતિરન્યથા. હરિનામ સિવાય બીજો આરો નથી.પણ એ નામ દિલથી લેવાય તો.દિલમાં કૃષ્ણ માટે જગ્યા થાય તો.
આજે આપણે સૌ વ્યાસ છીએ. માહિતીથી ભરેલા, ડિગ્રીઓથી લદાયેલા,છતાં અશાંત. મોબાઈલમાં આખું જગત છે, પણ મનમાં શાંતિ નથી. સોશિયલ મીડિયાનો યુગ દોષદૃષ્ટિનો યુગ છે.આંગળી ચીંધવામાં આપણે એક સેકન્ડ નથી લગાવતા. કોમેન્ટ કરવી સહેલી છે,ક્ષમા આપવી અઘરી છે. પણ મારાથી ક્યાં ભૂલ થઈ એ સવાલ પૂછવાની હિંમત નથી.
નારદ સંવાદ આપણને રોકીને અંદર ઝાંખવાનું કહે છે. તે કહે છે: દલીલ છોડો, પ્રેમ કેળવો. બીજાને માપવાનું છોડો, પોતાને તપાસો. ભોગાસક્તિ તનને અને દ્રવ્યાસક્તિ મનને બગાડે છે. જ્યાં સુધી મારું મટીને તારું ન થાય, ત્યાં સુધી શાંતિ અશક્ય છે. અને તારું એટલે શ્રીકૃષ્ણનું. મારા ઘરનું,મારા પૈસાનું,મારા મતનું જ્યારે કૃષ્ણનું થાય ત્યારે ભાર હળવો થાય.
*દીવામાં પ્રેમનું તેલ પૂરો આ પ્રસ્તાવનાનો ઉદ્દેશ માત્ર વ્યાસ નારદ સંવાદને દોહરાવવાનો નથી, પણ દરેક વાચકના હૃદયમાં એક નારદ જગાડવાનો છે જે આપણને આપણી ભૂલ બતાવે.અને એક વ્યાસ જગાડવાનો છે જે ભૂલ સમજી ને કૃષ્ણપ્રેમની કથા રચવા તત્પર થાય. કારણ કે અંતે તો પ્રશ્ન એક જ છે:આપણે શાસ્ત્ર ભેગાંકરવા જન્મ્યાછીએકે શ્રીકૃષ્ણનેભેટવા? જ્ઞાનનો દીવો કરો,પણએ દીવામાં પ્રેમનું તેલ પૂરો.તો જ અંધારું મટશે.તો જ અશાંતિ શમે.તો જ જીવનમાં નિજદોષ દર્શન થશે, અને એ જ હરિ કૃપાની સાચી નિશાની છે. એ જ સત્ય અને આપણા જીવનનો મર્મ છે.અસ્તુ.
યશપાલસિંહ ટી વાઘેલા દરબારગઢ શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા ૯૪૨૮૬ ૭૮૬૯૯

