New Delhi,તા.01
સોશ્યલ મીડીયામાં જબરો ક્રેઝ સર્જી ગયેલ કોકરોચ જનતા પાર્ટી અંગે એક તરફ સરકાર અને ભાજપ તેને વિદેશી હાથ અને વિપક્ષનું કાવતરુ ગણાવી રહ્યા છે તથા મોદી સરકારને અસ્થિર કરવાનું પણ ષડયંત્ર હોવાનું કહેતા ખચકાતા નથી.
તે સમયે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પ્રથમ વખત આ મુદા પર મૌન તોડતા જણાવ્યું કે લોકતંત્રમાં તમામ અવાજો અને ભાવનાઓને સાંભળવી જોઈએ અને તેના માટે જગ્યા પણ છે. આ પ્રકારના અવાજ સામે ચિંતા કરવાની કોઈ વાત નથી.
આરએસએસની આ સલાહ ભાજપ અને સરકારના વલણ સામે ટકોર હોવાનું માનવામાં આવે છે. સંઘના વરિષ્ઠ નેતા સુનિલ આંબેકરએ એક વાતચીત દરમ્યાન જણાવ્યું કે લોકતાંત્રીક સમાજમાં અલગ અલગ મંતવ્ય આવતા હોય છે અને તેની જાહેર ચર્ચા એ સ્વાભાવિક પ્રક્રિયા છે તેને કોઈ ચિંતા કે આંચકાની રીતે જોવી જોઈએ નહી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોકરોચ જનતા પાર્ટી સોશ્યલ મીડીયામાં ફોલોઅર્સની સંખ્યામાં ભાજપથી પણ આગળ નીકળી ગઈ છે. અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ તરીકે સંઘમાં જવાબદારી સંભાળી રહેલા શ્રી આંબેકરે જણાવ્યું કે આપણે એક જાગૃત સમાજ છીએ અને લોકતાંત્રીક પ્રક્રિયાનું પાલન કરીએ છીએ.
આપણે પારદર્શી ચુંટણી, સ્વતંત્ર મીડીયા અને સોશ્યલ મીડીયા પણ મૌજૂદ છે જયાં રોજ ખુલ્લી ચર્ચા થાય છે અને મને લાગે છે કે લોકતંત્રમાં કોઈપણ પ્રકારની ચર્ચા કે અલગ મંતવ્યથી હેરાન થવુ જોઈએ નહી.
સંઘનું આ નિવેદન એ સમયે આવ્યું છે કે જયારે સરકારના કહેવાથી સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ એકસ એ કોકરોચ જનતા પાર્ટીનું હેન્ડલ પણ બ્લોક કરાવી દીધુ છે. આંબેકરે કહ્યું કે દેશના રાજકીય પક્ષો આ પ્રકારે આવતા મંતવ્યો અને ભાવનાને સમજવા તથા સ્વીકારવા સક્ષમ છે. આપણી સીસ્ટમ તે તાકાત રાખે છે. તેમણે એ પણ કહ્યું કે યુવાઓ જેને ઝેન-જી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પણ ઘણી આશાઓ રાખે છે.

