યશપાલસિંહ ટી વાઘેલા
અધિક માસ આવે ત્યારે હૃદયનું સરવૈયું તપાસો,અને પાંચમી જૂન આવે ત્યારે ધરતીનું દેવું તપાસો.
આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ ત્યાં બે પ્રકારની ભૂખ સૌથી વધુ દેખાય છે.આત્માની શુદ્ધિની ભૂખ અને ધરતીની સુરક્ષાની ભૂખ. ઉપરથી ભિન્ન લાગતા આ બે વિષયો વચ્ચે એક અદૃશ્ય સેતુ છે:નિઃસ્વાર્થ કર્મ. પુરુષોત્તમ અધિક માસનો ૧૯મો અધ્યાય અને ૫ જૂને ઉજવાતો વિશ્વ પર્યાવરણદિવસ બંને આપણને એક જ સત્ય સમજાવે છે.નાનામાં નાનું સત્કર્મ પણ બ્રહ્માંડના હિસાબમાં નોંધાઈ જાય છે, અને તેનું ફળ અવશ્ય મળે છે.
*અધિક માસ સમયનો વધારાનો પ્રસાદ હિન્દુ પંચાંગમાં અધિક માસને ‘મળ માસ’ કે ‘પુરુષોત્તમ માસ’ કહેવાય છે. જ્યારે સૂર્ય સંક્રાંતિ વગરનો ચંદ્રમાસ આવે ત્યારે કાળચક્રમાં એક માસ વધે છે.આ વધારો માત્ર ગણિત નથી, ભગવાને આપેલો ‘બોનસ સમય’ છે.આ માસનું અધિપતિત્વ સ્વયં શ્રી પુરુષોત્તમએ સ્વીકાર્યું, તેથી અહીં કરેલું જપ,તપ,દાન,કથા શ્રવણ અનેકગણું ફળ આપે છે.
૧૯મા અધ્યાયની ‘ચાર ચકલીની વાર્તા’ કે ‘અઢિયા બ્રાહ્મણની વાર્તા’ આ જ સિદ્ધાંતનું દૃષ્ટાંત છે.ચાર ચકલીઓએ અજાણતા માં પણ અધિક માસના વ્રત-કથા નો ધ્વનિ સાંભળ્યો.તેમણે નિયમ જાણ્યા, ન સંકલ્પ કર્યો,છતાં શ્રવણમાત્રથી તેમના જન્મો જન્મના કર્મ બંધન તૂટ્યાં.આ કથા કહે છે કે પુણ્ય માટે પદવી જોઈએ નહીં, માત્ર પવિત્રતાનો સ્પર્શ પૂરતો છે. જેમ તુલસીનું એક પાન ગંગાજળનો સ્પર્શ પામીને પાવન થાય, તેમ અધિક માસનો એક ક્ષણ પણ જો પ્રભુ- સ્મરણમાં વીતે તો તે આત્માને ઊર્ધ્વગતિ આપે છે.
અઢિયા બ્રાહ્મણની કથા બીજી બાજુ બતાવે છે.દરિદ્રતા,સમાજ નો તિરસ્કાર,ભૂખ બધી કસોટી ઓ વચ્ચે તેણે શ્રદ્ધા ન છોડી. અધિક માસના નિયમો પાળ્યા, અન્નદાન કર્યું,અને અંતે ભગવાને સ્વયં તેની ઝૂંપડીએ પધરામણી કરી. આ પ્રસંગ શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી કપરી હોય,જો હૃદયમાં ‘હું નિમિત્ત છું, કર્તા પ્રભુ છે’ એ ભાવ હોય તો રક્ષા નિશ્ચિત છે.અહીં દાનનો મહિમા પણ છે દાન એટલે માત્ર ધન આપવું નહીં, સમય, ક્ષમા, પ્રેમ, જ્ઞાન જે આપણી પાસે હોય તે બીજાને માટે વાપરવું. અધિક માસમાં કરેલું દાન ‘વૈકુંઠનું વિઝા’બની જાય છે, કારણકે તે અહંકારને ઓગાળેછે
*આત્મશુદ્ધિના ત્રણ સોપાન આ અધ્યાય ત્રણ શબ્દ આપે છે: શ્રદ્ધા,સત્કર્મ,શરણાગતિ.શ્રદ્ધા તર્કથી પરનું બળ.ચકલીઓને શાસ્ત્ર ખબર નહોતું,પણ ધ્વનિ પ્રત્યેની સહજ આકર્ષણ શ્રદ્ધા હતી.
*સત્કર્મ ક્રિયામાં કરુણા. બ્રાહ્મણે પોતે ભૂખ્યો રહીને અતિથિને જમાડ્યો. કર્મ જ્યારે બીજાના કલ્યાણ માટે થાય ત્યારે તે ‘પુરુષોત્તમ કર્મ’ બને. *શરણાગતિ ફળની ચિંતા છોડવી. ‘મેં કર્યું’ એ ભાવ જતાં જ પ્રભુ ‘હું કરું છું’ એ સૂત્ર સ્વીકારે છે.
આ ત્રણ સોપાન ચડે એટલે જીવ ‘પાપ-પુણ્યના દ્વંદ્વ’માંથી છૂટી ‘પ્રસાદ-ભાવ’માં આવે. અધિક માસ એટલે આ ત્રણેયની સઘન સાધનાનો વર્કશોપ.
*વિશ્વ પર્યાવરણ દિવસ: બાહ્ય સૃષ્ટિનું અધિક માસ હવે દૃષ્ટિ બહાર તરફ વાળીએ.૧૯૭૨માં સ્ટોકહોમ કોન્ફરન્સમાં માનવીએ પહેલી વાર સ્વીકાર્યું કે વિકાસની દોટમાં આપણે ધરતીનું દેવું વધારી દીધું છે. પરિણામે ૫ જૂન ૧૯૭૩એ પહેલો ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઉજવાયો વિષય હતો ‘ફક્ત એક ધરતી’. એક જ ધરતી, એક જ આકાશ, એક જ શ્વાસ આ બોધ અધિક માસની કથા સાથે કેટલો મળતો આવે છે!
ચકલીએ અજાણતા પુણ્ય મેળવ્યું,તેવી રીતે એક પ્લાસ્ટિક ની બોટલ ઓછી વાપરવી, એક ઝાડ વાવવું, એક ટીપું પાણી બચાવવું આ‘અજાણતા’લાગતા કાર્યો પણ ધરતીનું કર્મ-ખાતું સુધારે છે. અધિક માસ કહે છે ‘નાનું પુણ્ય નિષ્ફળ ન જાય’, પર્યાવરણ દિવસ કહે છે ‘નાની કાળજી નકામી ન જાય’.૧૪૩થી વધુ દેશો, સરકારો, એનજીઓ, વિદ્યાર્થીઓ, સંતો સૌ એક મંચ પર આવે છે કારણ કે સૃષ્ટિ સામે આપણે સૌ ‘અઢિયા બ્રાહ્મણ’ છીએ.સાધન ઓછા, પણ સંકલ્પ મોટો.
ગ્લોબલ વોર્મિંગ,દરિયાઈ પ્રદૂષણ,વન્યજીવન ગુના આ બધી આધુનિક ‘આપત્તિઓ’ છે. તેની સામે લડવા માટે કાયદો જોઈએ, ટેક્નોલોજી જોઈએ, પણ સૌથી વધુ જોઈએ ‘ભક્તિ ભાવ’. જેને આપણે ‘ધરતીમાતા’ કહીએ છીએ તેની સામે ભક્તિ જાગે તો દોહનને બદલે દોહ્યલા પણું આવે.ઝાડ કાપતા પહેલા વિચાર આવે કે‘આમાં પણ હરિ નો વાસ છે’.આ ભાવ જ ૧૯મા અધ્યાયનું હાર્દ છે.
*બે માસ, એક સંદેશ: કર્તાપણું છોડો,નિમિત્ત બનો અધિક માસ સમયનું વિસ્તરણ છે,પર્યાવરણ દિવસ જાગૃતિનું વિસ્તરણ છે.બંનેમાં ‘વધારાનું’ મળે છે એકમાં પુણ્ય કમાવાનો વધારાનો સમય,બીજામાં ધરતી ને પાછું આપવાનો વધારાનોમોકો ચાર ચકલીને મુક્તિ મળી કારણ કે તેમણે કથા ‘સાંભળી’.આજે આપણે ધરતીની ચીસ ‘સાંભળી એ’ તો આપણા નગર, નદી,હવા ને મુક્તિ મળે.
અઢિયાબ્રાહ્મણ પાસે ધન નહોતું પણ દાનની ભાવના હતી. આપણી પાસે કદાચ સમય ઓછો હશે,પણ એક રવિવાર સફાઈ અભિયાન માટે, એક પોસ્ટ જાગૃતિ માટે, એક વૃક્ષ બાળકના જન્મદિને આ ‘અઢિયા દાન’ જ કાલે ઓક્સિજન બની ને પાછું મળશે.
*વૈકુંઠ અહીં જ છે અધિક માસ નું અંતિમ ફળ વૈકુંઠ-પ્રાપ્તિ કહેવાયું છે. વૈકુંઠ એટલે જ્યાં ‘કુંઠા’ નથી સંકુચિતતા નથી. જ્યારે ઘરનું આંગણું સ્વચ્છ હોય,નદી નિર્મળ વહેતી હોય, પંખી ચહેકતાં હોય,અને પાડોશી ભૂખ્યો ન સૂતો હોય ત્યારે વૈકુંઠ બીજે ક્યાં શોધવો? તેથી આ લેખની પ્રસ્તાવના બે હાથ જોડીને નમ્ર વિનંતી કરે છે: અધિક માસ આવે ત્યારે હૃદયનું સરવૈયું તપાસો,અને ૫ જૂન આવે ત્યારે ધરતીનું દેવું તપાસો. શ્રદ્ધાથી એક માળા ફેરવો, અને જવાબદારીથી એક કચરો ઉપાડો.કારણ કે ચકલીનું પુણ્ય હોય કે બાળકનું વાવેલું લીમડાનું રોપ બ્રહ્માંડમાં કંઈ જ વ્યર્થ જતું નથી.નાનું કર્મ,મોટો સંકલ્પ, અડગ શ્રદ્ધા આ ત્રિવેણી જીવને વૈકુંઠ અને સૃષ્ટિને સ્વર્ગ બનાવી દે છે.અસ્તુ.
યશપાલસિંહ ટી વાઘેલા દરબારગઢ શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા ૯૪૨૮૬ ૭૮૬૯૯

