ફાલ્ગુની વસાવડા
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. 31/5 એ અમદાવાદ નાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારે જનમેદની વચ્ચે આઈપીએલની ફાઈનલ રમાઈ! આઈપીએલમાં તો એકદંરે ભારતનાં જ ખેલાડીઓ હોય, એટલે હાર જીત ગમે તેની થાય પ્રેક્ષકોને તો આનંદ જ લેવાનો હોય, અને એટલે વિરાટ કોહલીનાં ચાહકોને મજા આવી ગઈ. વૈભવ સુર્યવંશી રમતો હોય ત્યારે આપણને એ રાજસ્થાન રોયલ્સનો ખેલાડી છે, એવું દેખાવું ન જોઈએ! પણ ભવિષ્યમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, અથવા તો સચીન તેંડુલકર જેવું ફરી કોઈ મળી ગયું એવો ભાવ થવો જોઈએ! એક એવોર્ડ જે મહંમદ સિરાજને સૌથી વધુ ડોટ બોલ નાંખવા માટે મળ્યો, એ વાત ખૂબ ગમી, ગમે તે રીતે પ્રકૃતિ સંવર્ધન આજની સૌથી મોટી માંગ છે. વિદેશી ખેલાડીઓ પણ કોઈ મેલ વગર ટીમમાં ઓતપ્રોત થઈ ગયા હતાં! ભલે રુપિયા માટે પણ આવું દ્રશ્ય કે જ્યાં સૌ હળીમળીને રહે એ સદા આવકાર્ય છે. ટૂંકમાં વિશ્વ જો શાંતિ ઈચ્છતું હોય તો એણે યેનકેન પ્રકારે આંતર બાહ્ય એકતા સાધવી પડશે. ભારતીય સંસ્કૃતિ તો વસુધૈવ કુટુંબની જ છે! અને વિશ્વ આખું આપણો જ પરિવાર છે! આજનાં સમયમાં આ સત્ય ઘણું અઘરું છે! પણ ઈતિહાસ ગવાહી આપે છે કે, આપણે ત્યાં એવું વિચારવા અને આચરવા વાળાની કમી નહોતી! ભગવત્ ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણ આ જ કહે છે કે સૌમાં ઈશ્વરનાં દર્શન કરીને જીવો! પણ સમાજની અશાંતિ બતાવે છે, કે આપણે એવું જીવતાં નથી. તો આજે મંગળવારે ગીતા જ્ઞાનમાં ગીતાનાં છઠ્ઠા અધ્યાયનાં 30 શ્લોકનું ચિંતન કરીએ.
યઃ માં પશ્યતિ સર્વત્ર, સર્વં ચ મયિ પશ્યતિ;
તસ્યાહં ન પ્રણશ્યામિ, સ ચ મે ન પ્રણશ્યતિ.
જે મનુષ્ય મને સર્વત્ર જુએ છે અને સર્વ વસ્તુઓને મારામાં જ જુએ છે, તે મારા માટે ક્યારેય અદ્રશ્ય થતો નથી, અને હું પણ તેના માટે ક્યારેય અદ્રશ્ય થતો નથી.
સંસ્કૃતના સાવ સીધાં શબ્દો છે, છતાં અમુક શબ્દનો અર્થ ત્રિપરિમાણીય રીતે કરીને ભગવાન હજી વધુ શું કહેવાં માગે છે એનો તાગ મેળવીએ.
**પશ્યતિ સર્વત્ર, અત્ર તત્ર સર્વત્ર એમ વિરાટ બ્રહ્માંડમાં! મને જુવે છે. પરંતુ બહુ સ્વાભાવિક આપણે સંસારીઓ એટલે જઈ ન શકીએ, તો આપણી આસપાસનાં પરિસરમાં જે જે વસે છે, એટલે કે નાત જાત કે અમીર ગરીબ જેવી અસમાનતા ભૂલીને સૌને ઈશ્વર સમ ગણી પ્રેમ કરે! અને જે જડ પ્રકૃતિ છે, એ સર્વમાં જો આપણને ઈશ્વર દર્શન થાય! અથવા તો આત્મિયતાનો અનુભવ થવો એ શ્લોકની પહેલી શરત છે.
**મયિ પશ્યતિ, મયિ મારાં માં પશ્યતિ એટલે જુવે છે, બાહ્ય પ્રકૃતિમાં કે જગતમાં ઈશ્વરનાં દર્શન કરવાં એ કદાચ પણ સહેલું છે! પણ ઈશ્વરમાં આ જગતનાં દર્શન કરવાં એ અઘરું છે. દાખલા તરીકે આપણે મંદિરમાં જઈએ છીએ, ત્યારે આપણને આંખ બંધ કરવાથી ઈશ્વર પણ ભાગ્યે જ દેખાય છે, બાકી તો આપણી પ્રાર્થનામાં સમસ્યાથી છુટકારાનું જ પ્રાધાન્ય હોય, તો ક્યારેક જીવ સાંસારિક અભિવ્યક્તિ અને ઉપલબ્ધિઓને મમળાવતો હોય!
**તસ્યાહં પ્રણશ્યામિ, તેવાં જીવ માટે હું! આગળનાં શબ્દનું અનુસંધાન સાધવા માટેનો આ શબ્દ છે. એટલે કે જે જીવ સર્વમાં ઈશ્વરનુ સમ દર્શન કરે છે, અને એવાં જગતનું મારામાં દર્શન કરી શકે, તેવા જીવ માટે હું અદ્રશ્ય નથી. પરંતુ અહીં ખુદની આંતર પ્રકૃતિમાં ચૈતન્યની અનૂભૂતિ કાયમ રહે છે, એ ક્યાંય જતી નથી! એ વાત દ્રઢ કરે છે.
** ન મે પ્રણશ્યતિ, હું અદ્રશ્ય નથી. જે સમ દર્શન કરનારા મારા ભક્તો છે, એનાથી હું ક્યારેય અળગો રહી શકતો નથી! કારણકે એની ચેતના નો વિસ્તાર પણ અમાપ છે. એ સતત દિવ્ય અનૂભૂતિથી મારી સાથે જોડાયેલ રહે છે. આ ઉપરાંત એવાં ભક્તે પોતાનાં અહંકાર પર કાબૂ મેળવી લીધો છે, એટલે સારી નરસી પ્રત્યેક પરિસ્થિતિમાં હું એની દ્રષ્ટિમાં રહું છું, અને એ મારી દ્રષ્ટિમાં રહે છે.
આધ્યાત્મિક સત્ય તો એ છે, કે આપણે અનુભવીએ કે ન અનુભવીએ, ઈશ્વર તો આપણી અંદર જ છે! અને એ આપણી સારી નરસી પ્રત્યેક ક્રિયાનો સાક્ષી છે! બસ જો આ સત્ય હરક્ષણ યાદ રહે, અને આસાનીથી સ્વીકારી શકાય, તો યોગીઓને જે મેળવવામાં વર્ષો લાગી જાય, ત્યાં આપણે મિનિટોમાં પહોંચી શકીએ! પરંતુ જાણવાં છતાં, માનવાં છતાં, હું કરું! હું કરું છૂટતું નથી! અને એટલે ઈશ્વર અનુભવાતો નથી, અને સદીઓથી સાક્ષાત નો સાક્ષાત્કાર કરવાં માટેની આ આધ્યાત્મિક યાત્રા કેટલાંય કરવા નીકળી પડે છે. રામ ચરિત માનસમાં તુલસીદાસજી પણ આ જ વાત કરે છે, રાવણ ઈત્યાદિ રાક્ષસોનો પૃથ્વીને ભાર લાગે છે, અને એ દેવતાઓનાં શરણમાં જાય છે, ત્યારે ભગવાન શંકર એ કહ્યું હતું કે, પરમેશ્વર સમસ્ત જગતમાં વ્યાપ્ત છે, એને પોકારવા ક્યાંય જવાની જરૂર નથી, જ્યાં છીએ ત્યાંથી જ પોકારીએ ! એ જરુર આપણી પ્રાર્થના સાંભળશે!
ઈશ્વર કોઈ તત્વ ને આધિન નથી, એણે જ જગત બનાવ્યું, અને એમાં માયાને મૂકી છે! એટલે સંસારી ઓની મર્યાદા ઈશ્વર જાણે છે! આવો જ પહેરવેશ! આ જ સ્થાન! આ જ સમય! કે આ જ ધર્મ! આ જ પદ્ધતિ! એ બધું ગૌણ છે! માત્ર ને માત્ર મંત્ર જરુરી છે! મંત્ર એટલે શુદ્ધ અને શુભ નો વિચાર, બસ જેનાં હ્રદયમાં સૌનાં હિત નો અને સૌનાં શુભનો વિચાર નિત્ય રહેશે! એની દ્રષ્ટિમાંથી ઈશ્વર ક્યારેય ઓઝલ નહીં થાય! કેટલું આસાન છે! પણ થતું નથી! કારણકે અંતઃકરણ ચતુષ્કોણનાં ચાર પરિબળ જંપ લેવા દેતાં નથી. ક્યારેક મનની ચંચળતા, તો ક્યારેક બુદ્ધિની વિષમતા! ચિત્તમાં ભૂત ભવિષ્યની મંડરાતી ભાવના, અને હું નો એરુ તો સૌથી ઉપર! ઉપરાંત બાહ્ય પ્રકૃતિમાં પણ આટલી વિષમતા! એમાં સમ કેમ રહેવું?
આપણે ગયાં મંગળવારે જે અપરં લાભં વાળા શ્લોકનું ચિંતન કર્યું, એ પછીનાં 25 માં શ્લોકમાં ભગવાન અર્જુનને આ જ વાત સમજાવે છે કે, હે અર્જુન, એમ તાત્કાલિક તું અંતઃકરણ ચતુષ્કોણની વૃત્તિને શાંત કે સમ રાખી શકીશ નહીં ! એની માટે એનો ક્રમે ક્રમે અભ્યાસ કરવો પડશે! એટલે કે અંતરમાં કોઈ વિકાર પ્રવેશે નહીં, એની માટે ક્ષણેક્ષણ જાગૃત રહેવું પડશે! અને અત્યાર સુધીના લાભ, લોભ, લાલચ, ઈત્યાદિને કારણે વેર, ઈર્ષા, નિંદા, દ્વેષ, જેવો જે કચરો છે, એ દૂર કરી! અને લાભની બદલે આપણી વૃત્તિમાં શુભ પ્રસ્થાપિત થાય! ત્યારે આપણે સમ દર્શન કરી શકીએ! બસ દ્રષ્ટિમાં પ્રવેશી ગયેલ એક લાભની વૃત્તિ છોડીએ તો પણ ઘણું જ સારું પરિણામ મળે! અને પછી ઈશ્વર ક્યારેય અદ્રશ્ય થતો નથી! તેમજ ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે સતત રહીએ છીએ અને એની કૃપા પામી ધન્ય થઈ જઈએ છીએ, આપણે સૌ લાભ, લોભ, અને લાલચ, છોડી આ રીતે ઈશ્વરનું સમ દર્શન કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

