ફાલ્ગુની વસાવડા
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. અમુક ખાસિયત યુગો યુગોથી માનવ નામની પ્રજાતિ સાથે જોડાયેલી છે! જેમકે ગુરુતાગ્રંથી અને લઘુતાગ્રંથી! એટલે કે કોઈ કોઈમાં અહમ્ કુટીને કુટીને ભર્યો હોય, એમ આસપાસનાં વર્તુળમાં પોતે કંઈક છે, થી શરૂ કરીને પોતે શ્રેષ્ઠ છે, અને પોતે જ દુનિયામાં મહાન છે, એવી વૈચારિક વૃત્તિ ધરાવે છે! જ્યારે કોઈ કોઈ વગર કારણે પોતે હિન છે! રાંક છે! દિન છે! એવું વિચારીને કોઈ સાથે કમ્પીટ કરતાં નથી! હાલાકી સ્પર્ધા કરવી હોય તો ખુદ સાથે જ કરવી જોઈએ! સ્પર્ધા અન્ય સાથે કરવાથી જ હું કંઈક વિશેષ છું, એવી ભાવના વધે છે, અને જે અન્યને તિરસ્કૃત કરનાર બને છે. જોકે આજનો આપણો મુદ્દો કંઈ ગ્રંથી સારી કે ખરાબ! એનું વિશ્લેષણ કરવાનો નથી, પરંતુ ઘણીવાર માનવી કોઈ પ્રયત્ન કર્યા વગર હાર માની લે છે! અને પાછળથી ઘણીવાર એવું થાય છે કે, મેં થોડો પ્રયત્ન કર્યો હોત તો હું સફળ થઈ શક્યો હોત; બસ થોડી હિંમત કરવાની જરૂર હતી! ખાસ કરીને આજની પેઢી કે જેને ડગલેને પગલે સ્પર્ધાનો સામનો કરવો પડે છે, અને કાયમ ડર રહે છે, કે ક્યાંક એ અસફળ રહેશે, તો જગ હસાઈનું કારણ બનશે!; અને આવું વિચારીને એ ઘણીવાર પ્રયત્ન જ નથી કરતાં, અથવા તો પરિણામ પહેલાં ડિપ્રેશનનો ભોગ બની આત્મહત્યા પણ કરે છે. જીવનમાં વધુ પડતાં મહત્વાકાંક્ષી હોવું પણ પતનનું કારણ બની શકે છે! અથવા તો પોતાની જાત પર વિશ્વાસ ન્હોય એ પણ યોગ્ય નથી! હકીકતમાં યોગ્યતા કેળવીને જ યોગ પંથે પ્રયાણ થાય છે, અને પછી યોગીની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકાય છે! અને આજ વાત ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ભગવત્ ગીતાનાં છઠ્ઠા અધ્યાયનાં 45 માં શ્લોકમાં કહે છે, અને આજે મંગળવારે સદગુરુ કૃપાથી ગીતા જ્ઞાનનું ચિંતન કરીશું.
પ્રયત્નાદ્યતમાણસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ।
અનેક જન્મસંસિદ્ધસ્તતો યાતિ પરાં ગતિમ્॥૪૫
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે યોગી સતત પ્રયત્ન કરતો રહે છે, તે પોતાનાં પાપો અને દોષોથી ધીમે ધીમે શુદ્ધ બને છે. અનેક જન્મોની સાધનાના સંચિત પુણ્ય અને અભ્યાસના બળથી તે અંતે પરમ ગતિ એવંમ મોક્ષને પ્રાપ્ત કરે છે.
**પ્રયત્નાદ્યતમાણસ્તુ, શબ્દની સંધિ છૂટી પાડીએ તો પ્રયત્નાત્ + યતમાણ+ સ્તુ. પ્રયત્ન દ્વારા સતત કોઈ સાધનમાં રમમાણ રહેનાર, પરંતુ અહીં ભગવાને પાછળ યોગી શબ્દ પ્રયોજ્યો છે, એટલે અધ્યાત્મમાં રમમાણ! સર્વ પ્રથમ તો અધ્યાત્મ વિશે જીજ્ઞાસા થવી કે સ્વ તત્વ વિશેની ખોજ માટે વિચારવું એ પૂર્વ જન્મમાં કરેલ કોઈ યોગ કર્મનું જ ફળ છે, બાકી દુનિયા આખી જ્યારે તમારી ઈર્તગીર્ત ભોગમાં જ રમમાણ હોય, એ સમયમાં તત્વતઃ જ્ઞાનની જીજ્ઞાસા કોને થાય! અને આ વાત ભગવાન આગળનાં ત્રણ શ્લોકમાં કરે છે, અને એ પણ કહે છે કે જ્યાંથી સાધના છૂટી, એટલું જ્ઞાન એનું બીજા જન્મમાં સહજ હોય છે. જીવનમાં કોઈપણ લક્ષ્યને યેનકેન પ્રકારે પ્રાપ્ત કરવું એ આજનાં સમયની ખાસિયત છે, પણ લક્ષ્ય સારું હોવું એ પાછળનાં જન્મનો સંસ્કાર છે.
**સંશુદ્ધકિલ્બિષઃ, સંશુદ્ધ + કિલ્બિષઃ એટલે કે જે પાપ કર્મથી સંશુદ્ધ થયેલો છે. આપણે જીંદગીભર મહેનત કરીને કરોડ રૂપિયા ભેગા કરીએ, અને એ ભેગાં કરવાં માટે કેટલાંય પાપ કરીએ છીએ, કારણ કે પૈસો પાપ કરાવે! લાભ, લોભ, લાલચ, અને એ રુપિયા ભોગવવાની લાલસા, આ ચાર ‘લ’ જ પાપનું કેન્દ્ર છે. પરંતુ કરોડ હોય કે બે કરોડ, એને અહીં જ મુકીને જવાનું છે! સાથે આવશે પેલી પાપની પોટલી! જેને વિશે આપણે વિચારતાં જ નથી! અને જેટલાં મુકીને જશો, એ વધુ હશે તો પરિવાર પાછો ચાર ‘લ’ ના ચક્રવ્યૂહમાં ફસાઈ પાપ કરશે! પરંતુ જો પાપની બદલે પુણ્ય કર્યું હશે તો એ પુણ્ય સાથે આવશે! બિલકુલ ફીક્સ ડિપોઝિટની જેમ સમયે એનકેશ કરી શકાશે! એટલે કે આવતે જન્મે કોઈ સંઘર્ષ વગરનું જીવન રહે, એવાં ઘરમાં જન્મ થાય છે, અને યોગ માર્ગે આગળ વધે છે.
**અનેક-જન્મ-સંસિદ્ધઃ અનેક જન્મોની સાધનાથી પરિપક્વ બનેલો. સામાન્ય રીતે જેમ જેમ ઉંમર વધે એમ માનવી પરિપક્વ બને, કારણ કે એની બુદ્ધિ ધીરેધીરે સ્થિર થાય છે, અને સારા નરસાનો ભેદ પારખી શકે છે, બિલકુલ એ જ રીતે આ ભોગનાં યુગમાં જો કોઈ યોગ વિશે એટલે કે ઈશ્વર પ્રાપ્તિ વિશે દેખાડા પુરતું નહીં પણ ખરેખર વિચારે તો એ અનેક જન્મોની સિદ્ધ છે.
**તતઃ + યાતિ+ પરાં ગતિ, એટલે કે ત્યારબાદ એ પરમ ગતિ એવંમ મોક્ષને પ્રાપ્ત કરે છે. પરાં ગતિ! એટલે કે પરમ તરફની ગતિ! પરમ એટલે ઈશ્વર, અને ઈશ્વર એટલે સત્ય! ઈશ્વર એટલે આનંદ, ઈશ્વર એટલે શાંતિ! આ રીતે ઈશ્વર તત્વને સમજીને શું આપણાં જીવનમાં સત્ય છે? શું આપણાં જીવનમાં સુખ નહીં પણ આનંદ છે? શું આપણાં જીવનમાં શાંતિ છે? આ પ્રશ્નોના જવાબ ‘હાં ‘ હોય તો આપણી ગતિ પરમ ગતિ છે! અને ઉંમરનાં આ મુકામે સ્વયંને આ સવાલ નહીં પુછીએ તો ક્યારે પુછીશું? મૃત્યુ સમયે? તો શક્ય છે, આ જીવનમાં કર્યો એ સંઘર્ષ આવતાં જન્મે પણ કરવો પડે! કદાચ આથી પણ વધુ!
ટૂંકમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનનાં માધ્યમથી સંસારનાં તમામ ભોગી જીવને કહે છે, કે સ્થૂળ રૂપે તું અહીંથી કંઈ જ લઈ જઈ શકતો નથી! એટલે કે તારું ધનનું ઐશ્વર્ય, કે સાંસારિક પદ પ્રતિષ્ઠા, કે પછી પારિવારિક સંબંધો બધું જ એક દિવસ છૂટવાનું છે! વિષય વસ્તુ કે વ્યક્તિમાં ગમે તેટલો મોહ હોય,એ નષ્ટ થયાં વગર રહેશે નહીં!: પરંતુ જો તું એક ડગલું મારી તરફ આગળ વધીશ, તો આવનારી યાત્રા તારી એક ડગલાં પછીની રહેશે! બે ડગલાં ભરીશ તો એ મુજબ! આ એક ડગલું એટલે શું? મારાં દ્વારા જે કંઈ થયું એ બધું અંતે તારી ઈચ્છા શક્તિથી થયું, તું જ કર્તા છો! એવું જ્ઞાન થવું! અને પછી સહજ સ્વીકારી શકાય, તો એ બીજું ડગલું છે! કારણકે ઈશ્વર જ કર્તા છે, એ જાણવાં અને માનવાં છતાં સ્વીકારી શકાતું નથી, એ આધ્યાત્મિક બાધા છે! અને એનું કારણ આપણો અહમ્ છે! આ અહંકારને તુલસીએ “ડમરુઆ” એટલે કે કેન્સરનાં રોગ સાથે સરખાવ્યો છે. આપણી વિશે કે સામેની વ્યક્તિ વિશેની ગ્રંથીઓ જ આપણાં જીવનની સૌથી મોટો અવરોધ છે! પછી એ સામાજિક સાંસારિક કે પારિવારિક વાત હોય! અને અધ્યાત્મમાં તો તન મન શુદ્ધિ વગર પ્રવેશ જ શક્ય નથી. આ ઉપરાંત શ્રીકૃષ્ણ આ શ્લોકનાં માધ્યમથી બીજી એક વાત એ પણ કહે છે કે, પરમ તરફની ગતિ, એ લાંબી અવધિ માંગી લે છે! શક્ય છે જન્મોજન્મ લાગે! પરંતુ સાચા હૃદયથી કરેલો આધ્યાત્મિક પ્રયત્ન ક્યારેય નષ્ટ થતો નથી. સતત સાધના કરનાર યોગી, ભલે ધીમે ધીમે આગળ વધે, પરંતુ અંતે પરમાત્માની પ્રાપ્તિ અવશ્ય કરે છે. તો ભગવાને કરેલા આ સાદને સાંભળીને આપણે સૌ એ પંથે પગલાં પાડી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

