વિશેષ અહેવાલ:- ભાવિકા લીંબાસીયા
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યોગ બન્યો વૈશ્વિક અને જનભાગીદારીનું અભિયાન
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્રી અને અમેરિકાના જાણીતા જિરિયાટ્રિશિયન ડો. શેણી મેઘાણી સાથે ખાસ સંવાદ
વધતી ઉંમરે શરીર અને મનને રોજેરોજ રિચાર્જ કરવા યોગ જ સર્વોત્તમ માધ્યમ: ડો. શેણી મેઘાણી
યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ સ્વસ્થ અને સક્રિય જીવન જીવવાની એક સનાતન જીવનશૈલી છે. આજના ઝડપી યુગમાં વધતી ઉંમર સાથે આવતા શારીરિક-માનસિક પડકારો સામે યોગ એક અમોઘ કુદરતી ઉપાય છે, જેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આજે વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. ચાલુ વર્ષે વિશ્વ યોગ દિવસ-૨૦૨૬ની વૈશ્વિક થીમ ‘Yoga for Healthy Ageing’ એટલે કે ‘સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ’ નિર્ધારિત કરવામાં આવી છે. આ જ વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં વ્યાપક સ્તરે યોગ અને જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
૨૧ જૂન વિશ્વ યોગ દિવસના આ ખાસ અવસરે અમેરિકામાં છેલ્લા ૩૦ વર્ષથી સ્થાયી થયેલા, મૂળ ગુજરાતની દીકરી અને પ્રખ્યાત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્રી તેમજ વયોવૃદ્ધ વડીલોના જાણીતા ડોક્ટર જિરિયાટ્રિશિયન ડો. શેણી મેઘાણીએ ડિજિટલ માધ્યમથી ખાસ સંવાદ સાધ્યો હતો. ડો. શેણી મેઘાણીએ વિશ્વ યોગ દિવસની સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ઉંમર વધવાની સાથે શરીર, મન અને મગજ પર તેની અસરો સ્વાભાવિક રીતે જોવા મળે છે. જેમ આપણે મોબાઈલ ફોનને નિયમિત રીતે રિચાર્જ કરવો પડે છે, તેમ વધતી ઉંમરે શરીર અને મનને પણ રોજેરોજ રિચાર્જ કરવું અત્યંત અનિવાર્ય બને છે. આ માટે જીવનશૈલીમાં કોઈ અઘરા કે અટપટા ફેરફારો કરવાની જરૂર નથી, પરંતુ રોજિંદા જીવનમાં નાના અને સરળ ફેરફારો લાવીને તેને નિયમિતપણે અપનાવવાથી સ્વાસ્થ્યમાં મોટો સકારાત્મક બદલાવ લાવી શકાય છે.
વડીલો માટે સૌથી મહત્વની બાબત શારીરિક હલનચલન છે તેમ ભારપૂર્વક જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, આ માટે કોઈ દોડવાની કે અખાડામાં જઈ દંડ-બેઠક કરવાની જરૂર નથી, પરંતુ ઘરમાં, શેરીમાં કે બગીચામાં નિયમિત ચાલવું જોઈએ. જો એકલા ચાલવામાં કંટાળો આવે, તો મિત્રો, પડોશીઓ કે પરિવારના સભ્યોને સાથે રાખી શકાય છે, જેથી મન પ્રસન્ન રહેશે, સામાજિક સંબંધો મજબૂત બનશે અને વડીલો ક્યારેય બેઠાડું જીવન તરફ નહીં ધકેલાય. આહારની બાબતમાં તેમણે જણાવ્યું હતું કે, દરેક વડીલોએ ડોક્ટરની સલાહ મુજબ પોતાના શરીરને અનુકૂળ આવે તેવો ખોરાક યોગ્ય પ્રમાણમાં લેવો જોઈએ. શારીરિક સ્વાસ્થ્યની સાથે મન અને મગજને તેજ તેમજ સચેત રાખવું પણ એટલું જ જરૂરી છે. ગમે તે ઉંમરે નવું જાણવું અને નવું શીખવું એ મગજની તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક છે. વડીલોએ પોતાની રુચિ પ્રમાણે વાંચન, સંગીત, ગરબા, રમત-ગમત કે પ્રવાસ-યાત્રા જેવા શોખમાં મન પરોવી રાખવું જોઈએ, જે તેમના માનસિક સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે.
ડૉ. શેણી મેઘાણીએ વધુમાં જણાવ્યું કે વધતી ઉંમર કોઈ રોગ નથી, પરંતુ જીવનનો એક અત્યંત સ્વાભાવિક તબક્કો છે. આજકાલ વડીલોમાં સાંધાના દુખાવા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ઊંઘની સમસ્યા અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ સામાન્ય બની રહી છે, જેમાં યોગ એક ઉત્તમ સહાયક ઉપચાર તરીકે કાર્ય કરે છે. યોગ શરીર અને મન વચ્ચેનું અદભુત સંતુલન જાળવે છે. પ્રાણાયામ અને ધ્યાન જેવી પદ્ધતિઓ વડીલોમાં ફેફસાંની કાર્યક્ષમતા વધારવા, એકાગ્રતા સુધારવા અને માનસિક શાંતિ પ્રદાન કરવામાં ખૂબ મદદરૂપ બને છે. નિયમિત યોગાભ્યાસથી શરીરની લવચીકતા જળવાઈ રહે છે, સ્નાયુઓ મજબૂત બને છે અને મોટી ઉંમરે પડી જવાની શક્યતાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે. ‘Healthy Ageing’નો અર્થ માત્ર લાંબું આયુષ્ય જીવવું એવો નથી, પરંતુ જીવનની ગુણવત્તા જાળવી રાખવી તે છે. ખાસ કરીને નિવૃત્તિ બાદ એકલતા અને ચિંતા જેવી માનસિક સમસ્યાઓનો સામનો કરતા વડીલો માટે યોગ અને ધ્યાન સંજીવની સમાન સાબિત થાય છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વસ્થ ભારત’ અને ‘મેદસ્વિતામુક્ત ભારત’ના સંકલ્પને આગળ ધપાવતા ગુજરાત સરકાર પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ વડીલોના સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે સતત કાર્યશીલ છે. વિશ્વભરમાં વધતી વૃદ્ધ વસ્તી વચ્ચે યોગને દૈનિક જીવનનો ભાગ બનાવીને આરોગ્યપ્રદ અને સન્માનજનક વૃદ્ધત્વ પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રસંગે ડૉ. મેઘાણીએ યુવાનોને પણ ખાસ અપીલ કરી છે કે, તેઓ આજથી જ યોગને પોતાની દિનચર્યામાં અપનાવે જેથી ભવિષ્યમાં સ્વસ્થ, સક્રિય અને દીર્ઘાયુ જીવનનો મજબૂત પાયો તૈયાર થઈ શકે.
આમ, યોગને માત્ર એક દિવસની ઉજવણી પૂરતો મર્યાદિત ન રાખવો જોઈએ. જો દરેક વ્યક્તિ રોજના થોડા મિનિટ યોગ અને ધ્યાન માટે ફાળવે તો સ્વસ્થ શરીર, શાંત મન અને સક્રિય વૃદ્ધત્વનું સ્વપ્ન સરળતાથી સાકાર થઈ શકે છે. વિશ્વ યોગ દિવસ–૨૦૨૬નો સંદેશ પણ એ જ છે કે, યોગને જીવનશૈલી બનાવીએ અને સ્વસ્થ, સક્રિય તથા આનંદમય વૃદ્ધત્વ તરફ આગળ વધીએ.

