(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૩
Jamnagar-ખંભાળિયા હાઇવે પર મેઘપર નજીક ગઈકાલે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક પરપ્રાંતીય યુવાનનું મૃતયજ નિપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે ટ્રક ટેન્કરના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના મૂળ વતની અને હાલ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામની સીમમાં રહેતા કિલ્ડીયા લોગસિંહ કિકરીયા (૩૬)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. ૨૨ જૂન ૨૦૨૬ના રોજ તેઓ તથા તેમના કુટુંબીભાઈ રમેશ સીડી ડીલક્સ મોટરસાયકલ લઈને રામોદ-ગોંડલ તરફથી નીકળ્યા હતા. તેમની સાથે તેમના બનેવી મુકેશ ભીમલા આદિવાસી પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ (રજી. નં. જીજે-૩૪-એમ-૪૪૦૪) લઈને આગળ ચાલી રહ્યા હતા.
સવારે આશરે નવ વાગ્યાના સમયે જામનગરથી ખંભાળિયા તરફ જતા હાઇવે પર સિક્કા પાટિયા નનજીક દેશ દેવી હોલ પહેલાં પહોંચતા પાછળથી આવી રહેલા ટ્રક ટેન્કર (રજી. નં. આરજે-૨૫-જીએ-૮૫૪૭)ના ચાલકે બેફામ અને ગફલતભરી રીતે વાહન હંકારી મુકેશભાઈની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી.જે ટક્કરના કારણે મુકેશભાઈ મોટરસાયકલ સાથે રોડ પર પટકાયા હતા. ત્યારબાદ ટ્રકનું પૈડું તેમના શરીર પર ફરી વળતાં તેમને સાથળ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે મુકેશભાઈનું ઘટનાસ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.જે બનાવ બાદ મૃતદેહ ને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર અકસ્માત ટ્રક ટેન્કરના ચાલકની બેદરકારી, ગફલત અને પુરઝડપે વાહન ચલાવવાને કારણે બન્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ટ્રક ટેન્કર નં. આરજે-૨૫-જીએ-૮૫૪૭ના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.)ની કલમ ૨૮૧, ૧૦૬(૧) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭ અને ૧૮૪ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

