સોલાર અને જે.સી.બી.- લોડરના ધંધામાં ભાગીદારી દર્શાવી રોકાણ કરાવ્યા બાદ વિશ્વાસઘાતની ફરિયાદ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૩
Jamnagarમાં એરફોર્સ કર્મચારીએ સોલાર પ્લાન્ટ અને જેસીબી-લોડર ધંધામાં નફાની લાલચ આપી કરોડોની નજીકની રકમ રોકાણ કરાવી વિશ્વાસઘાત અને ઠગાઈ આચરવામાં આવી હોવાની ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી ધનંજય ચંદ્રીકા પ્રસાદ મિશ્રા (ઉં.વ. ૪૦), એરફોર્સમાં નોકરી કરે છે અને છેલ્લા પાંચ વર્ષથી Jamnagarમાં ફરજ બજાવે છે. ફરિયાદ મુજબ આશરે ત્રણ વર્ષ પહેલાં તેમની ઓળખ ધર્મેન્દ્રસિંહ માનભા જાડેજા સાથે થઈ હતી. ધર્મેન્દ્રસિંહે તેમને વક ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી વાત કરી હતી. ત્યારબાદ પોતાના સાળા અર્જુનભાઈ મારફતે પણ રોકાણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ફરિયાદ મુજબ ધનંજય મિશ્રાએ ૪ ઓગસ્ટ ૨૦૨૪થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન પોતાના એચડીએફસી, એસબીઆઈ તેમજ મિત્ર અમિત તિવારીના બેંક ખાતાઓ મારફતે અને રોકડ મળી કુલ રૂ. ૮૧ લાખ ૭૧ હજાર ૮૩૨ ધર્મેન્દ્રસિંહ જાડેજાને આપ્યા હતા. શરૂઆતમાં આશરે રૂ. ૧૦ લાખ નફો પણ મળ્યો હતો.ત્યારબાદ બંને પક્ષો વચ્ચે લાલ બંગલા વિસ્તારમાં કરાર કરીને જેસીબી-લોડર ખરીદી ધંધામાં ૫૦ ટકા ભાગીદારી નક્કી કરવામાં આવી હતી. જોકે થોડા સમય પછી ધર્મેન્દ્રસિંહે નફાની રકમ આપવાનું બંધ કરી દીધું હતું. જેમાં ત્રીજા આરોપી સચિન પંચોલીની પણ સંડોવણી હોવાનું જાહેર કરાયું છે
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યારે પોતાની મૂડી પરત માંગવામાં આવી ત્યારે આરોપીએ રકમ પરત નહીં મળે તેમ કહી ગાળો આપી ધમકીઓ આપી હતી. પોતાની સાથે થયેલી છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે ફરિયાદીએ કરારના દસ્તાવેજો સાથે પોલીસમાં અરજી કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.પોલીસે ઉપરોક્ત ફરિયાદના આધારે જામનગરમાં જ રહેતા ધર્મેન્દ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ અને સચિન પંચોલી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમમાં હેઠળ ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

