Surat,તા.૨૩
શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી એક હોટેલમાં પ્રેમી દંપતીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા સર્જાયેલી દુઃખદ ઘટનામાં યુવતી બાદ હવે યુવકનું પણ મોત થયું છે. બંનેએ બે વર્ષ પહેલાં કોર્ટ મેરેજ કર્યા હતા અને પરિવારની સંમતિ બાદ સગાઈ પણ થઈ ગઈ હતી, પરંતુ સામાજિક લગ્નની તારીખ નક્કી ન થતાં તેઓએ આ અંતિમ પગલું ભર્યાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, સરથાણા વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય માનસી ઉમરેટીયા અને નાના વરાછાના ૨૩ વર્ષીય અભય ત્રાડા વચ્ચે લાંબા સમયથી પ્રેમસંબંધ હતો. બંનેએ બે વર્ષ પહેલાં કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ પરિવારોની સંમતિથી દોઢ વર્ષ પહેલાં તેમની સગાઈ પણ કરવામાં આવી હતી. જોકે, સામાજિક રીત-રિવાજ મુજબ લગ્નની તારીખ નક્કી થવામાં વિલંબ થતાં બંને માનસિક રીતે પરેશાન હતા.
૨૨ જૂનના રોજ બંને સરથાણા વિસ્તારની એક હોટેલમાં મળ્યા હતા. ત્યાં તેમણે ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માનસીને મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે અભયની હાલત ગંભીર હોવાથી તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. જોકે, આજે સારવાર દરમિયાન અભયનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે.
આત્મહત્યાનું પગલું ભરતા પહેલાં બંનેએ પોતાના પરિવારજનોને ભાવુક મેસેજ મોકલ્યા હતા. માનસીએ તેના પિતાને માતાની સંભાળ રાખવાની વિનંતી સાથે પ્રેમ વ્યક્ત કર્યો હતો, જ્યારે અભયે પોતાના ભાઈને મોકલેલા સંદેશમાં સામાજિક લગ્નની તારીખ નક્કી ન થતાં આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, બંને એકબીજા સાથે જીવન વિતાવવા માટે પ્રતિબદ્ધ હતા. લગ્ન પ્રક્રિયામાં વિલંબ અને ભવિષ્ય અંગેની અનિશ્ચિતતાએ તેમને આકરો નિર્ણય લેવા પ્રેર્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
માનસી છેલ્લા કેટલાક મહિનાથી ખાનગી ઓફિસમાં નોકરી કરતી હતી, જ્યારે અભય મકાન દલાલી સાથે સંકળાયેલો હતો. ઘટનાએ બંને પરિવારોને ભારે આઘાતમાં મૂકી દીધા છે. સમગ્ર સરથાણા અને વરાછા વિસ્તારમાં પણ આ બનાવને લઈને શોકની લાગણી વ્યાપી ગઈ છે. હાલ સરથાણા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઘટનાની હકીકત જાણવા પ્રયાસ કરી રહી છે.

